પૃષ્ઠ:Sardar Vallabhbhai Part II.pdf/૨૬૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૫૮
સરદાર વલ્લભભાઈ
તેમણે અભિપ્રાય આપ્યો અને પોતાના અભિપ્રાય માટેનાં કારણો પણ જણાવ્યાં. તેમણે પોતાના નિવેદનમાં જણાવ્યું છે કે વર્ધામાં શ્રી ખેરના નામની વાત નીકળી હતી અને પંડિત જવાહરલાલજી અથવા ગાંધીજીએ તેમને વિષે નાપસંદગી બતાવી ન હતી. મહારાષ્ટ્ર તથા કર્ણાટકના મોટા ભાગના ધારાસભ્યોનાં નિવેદનો મારી પાસે આવ્યાં છે. તેઓ દેશપાંડે, દેવ અને પટવર્ધનની વાતનું સમર્થન કરે છે.
“તા. ૧૨મી માર્ચે આખા પ્રાંતના ધારાસભ્યોની મુંબઈમાં જે સભા થઈ તેમાં છાપાવાળાઓને હાજર રહેવા દેવામાં આવ્યા નહોતા. શ્રી નરીમાન પણ એ સભામાં ગેરહાજર હતા. એટલે એ સભા વિષે છાપાઓના અથવા શ્રી નરીમાનના અહેવાલ ઉપર આધાર રાખી શકાય નહીં. સભામાં હાજર રહેલા માણસોનો આપેલો અહેવાલ એ જ યોગ્ય પુરાવો ગણાય. હાજર રહેલા ધારાસભ્યનાં નિવેદનો કાળજીપૂર્વક વાંચી જતાં ચોખ્ખું જણાય છે કે સભાનું કામ બહુ વ્યવસ્થિત રીતે અને ૧૦મી માર્ચે મુંબઈની સભાએ જે ઠરાવ કર્યો હતો તેને અનુસરીને જ ચાલ્યું હતું. પહેલાં અવૈધ રીતે જાણી લેવાનો પ્રયત્ન કરવામાં આવ્યો કે મોટી બહુમતી કોની તરફેણમાં છે. બધા જ ધારાસભ્યો જેમણે મારી પાસે નિવેદનો રજૂ કર્યા છે તેઓ કહે છે કે બહુમતી શ્રી ખેરની તરફેણમાં હતી, અને સરદાર વલ્લભભાઈએ કોઈના ઉપર અસર પાડવાનો પ્રયત્ન કર્યો ન હતો. માત્ર બે કે ત્રણ ધારાસભ્યો જણાવે છે કે શ્રી નરીમાનને કેમ ન ચૂંટવા જોઈએ એવું સરદાર વલ્લભભાઈને પૂછવામાં આવતાં તેમણે જવાબ આપેલ કે શ્રી નરીમાન નેતા થાય એ મને પસંદ નથી, પણ તમારે બધાને નરીમાનને નેતા બનાવવા હોય તો બનાવી શકો છો. આને સરદારે ગેરવાજબી દબાણ વાપર્યું એમ કહી શકાય નહીં. રજૂ થયેલાં નિવેદનો ઉપરથી એમ પણ જણાય છે કે મોટી બહુમતી શ્રી ખેરની તરફેણમાં હોઈને એમના નામની રીતસ૨ દરખાસ્ત મૂકવામાં આવી અને કોઈના પણ વિરોધ વિના તે પસાર થઈ. એટલે સરદાર વલ્લભભાઈએ કે બીજા કોઈએ ગેરવાજબી દબાણ વાપર્યુંં એમ સાબિત થતું નથી. તા. ૯મી માર્ચે સરદાર વલ્લભભાઈએ શ્રી ગંગાધરરાવ દેશપાંડેને તથા શ્રી શંકરરાવ દેવને તાર કરીને મુંબઈ આવવા કહ્યું એ વસ્તુ ઉપર શ્રી નરીમાન બહુ ભાર મૂકે છે. પણ રજૂ થયેલા પુરાવા ઉપરથી શ્રી નરીમાન તારમાંથી જે અર્થ કાઢે છે તે અર્થ કાઢવાને કોઈ જ કારણ મળતું નથી. એ તારનો હેતુ શો હતો તે બાબત શ્રી દેવ તથા શ્રી પટવર્ધને તા. ૯મી જૂને અને શ્રી ગંગાધરરાવ દેશપાંડેએ તા. ૧૬મી જૂને પોતાનાં નિવેદન બહાર પાડ્યાં છે, તે શ્રી નરીમાનના અનુમાનની વિરુદ્ધ જાય છે. વળી તા. ૧૬મી જૂને એક નિવેદન બહાર પાડીને અને તા. ૧૭મી જૂને કાગળ લખીને પંડિત જવાહરલાલજીએ આ તારોનો ખુલાસો આપ્યો છે. આ નિવેદનો ઉપરથી અને શ્રી જવાહરલાલજીના ખુલાસા ઉપરથી કોઈ પણ સમજદાર માણસને સંતોષ થવો જોઈતો હતો.
“મારી (શ્રી બહાદુરજીની) પાસે કુલ ૮૩ નિવેદનો આવ્યાં છે. તે બધાં મેં શ્રી નરીમાનને બતાવ્યાં છે. તે બધાં તેઓ કાળજીપૂર્વક વાંચી ગયા છે અને કુલ