પૃષ્ઠ:Sardar Vallabhbhai Part II.pdf/૨૬૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૫૯
નરીમાન પ્રકરણ — ૨
૫૮ નિવેદનોની તો તેમણે નકલ કરી લીધી છે અથવા તેમાંથી ઉતારા લીધા છે. પોતાના કેસની દલીલો કરવાની પણ તેમને તક આપવામાં આવી છે. એ બધા ઉપરથી મારો નિર્ણય એ છે કે ૧૯૩૪ની વડી ધારાસભાની ચૂંટણી બાબતમાં શ્રી નરીમાન ઉપર જે આક્ષેપો મૂકવામાં આવ્યા છે તે સાબિત થાય છે અને ૧૯૩૭ની નેતાની ચૂંટણી બાબતમાં શ્રી નરીમાને સરદાર વલ્લભભાઈ ઉપર જે આક્ષેપ મૂક્યો છે તે પુરવાર થતો નથી.”

ગાંધીજીએ આ ફેંસલાની સાથે પોતાની સંમતિ દર્શાવતી નીચે પ્રમાણેની નોંધ લખી છે :

“શ્રી નરીમાન–સરદાર કેસની બાબતમાં શ્રી બહાદુરજી પોતાનો ફેંસલો લઈને મારી પાસે આવ્યા છે. આ કેસ મેં સાર્વજનિક હિતની ખાતર જ હાથમાં લીધો. તેમાં બહુ સંકોચપૂવક મેં શ્રી બહાદુરજીની મદદ માગી અને તે તુરતાતુરત એમણે આપી. પોતે માથે લીધેલા કામને ન્યાય આપવાને માટે કેટલી મહેનત કરવી પડશે તેનો તેમને પ્રથમ ખ્યાલ નહીં હોય. તેમની કીમતી મદદ વિના હું શું કરી શક્યો હોત તે હું જાણતો નથી. તેમનો ચુકાદો અમે સાથે વાંચી ગયા. મેં થોડા ફેરફાર સુચવ્યા તે તેમણે તરત જ સ્વીકારી લીધા. એ બાદ કરતાં આખો ચુકાદો પૂરેપૂરો એમનો પોતાનો જ છે. મારી સાથે અગાઉથી કોઈ પણ જાતની મસલત કર્યા વિના તેઓ એ નિર્ણય પર આવ્યા છે. તેમણે આપેલી દલીલ તથા નિર્ણયો સાથે હું સંમત થાઉં છું.
“લોકો જોશે કે તેમના નિર્ણયો શુદ્ધ ન્યાયયુક્ત છે. બંને પક્ષકારોને રજૂ થયેલો પુરાવો જોઈ જવાની, તેની નકલો લેવાની તથા કોઈ સાક્ષીની સરતપાસ અથવા ઊલટતપાસ કરવી હોય તો કરવાની બધી તકો આપવામાં આવી હતી. પણ એવી મૌખિક તપાસ કરવાની પક્ષકારોએ ના પાડી. કેસમાં કુલ ૮૦ સાક્ષીઓ છે અને તેમનો પુરાવો જથ્થાબંધ છે. જોકે તેમાંનો ઘણોખરો અમારી સામેના બે મુદ્દા સાથે બિલકુલ અપ્રસ્તુત છે. શ્રી નરીમાનને પોતાની પાસે જે પુરાવો હોય તે મારી આગળ લાવવાની પૂરી છૂટ આપવામાં આવી હતી. જે જે માણસોનાં તેમણે નામ આપ્યાં, તેમને અંગત કાગળો મેં લખ્યા છે. પુરાવા માટે મેં જાહેર અપીલ કરી તેના જવાબમાં મોટા ભાગના ધારાસભ્યોએ પોતાનાં નિવેદનો મોકલી આપ્યાં છે.
“મારે આથી વિશેષ ફરજ બજાવવાની ન હોત તો વધુ કશું કહેવાપણું રહેતું નથી. પણ મને જે પુરાવો મોકલવામાં આવ્યો તેમાંથી કેટલીક વસ્તુઓ મને જાણવા મળી છે તેનો ઉલ્લેખ મારે કરવો જોઈએ. શ્રી નરીમાને છાપાંઓમાંના ઉતારાની ઘણી કાપલીઓ મને મોકલી છે. તે વાંચતાં બહુ દુઃખ થાય એવું છે. આ કેસમાં સરદાર કોમી વલણથી પ્રેરાયા હતા એવો છાંટાભાર પુરાવો ન હોવા છતાં વર્તમાનપત્રોએ એવાં સૂચન કર્યા છે કે શ્રી નરીમાનને નેતા નહી ચુંટવામાં કોમી વલણે ભાગ ભજવ્યો છે. આવાં સૂચનો કરીને વર્તમાનપત્રોએ મુંબઈના સાર્વજનિક જીવનની ભારે અસેવા કરી છે. મને ખુશી થાય છે કે શ્રી નરીમાને પાતે આવાં સૂચનોનો ઇન્કાર કર્યો છે.