પૃષ્ઠ:Sardar Vallabhbhai Part II.pdf/૨૬૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૬૦
સરદાર વલ્લભભાઈ


“સરદાર સામેની શ્રી નરીમાનની ફરિયાદોનો સાર કાઢીએ તો તે આટલો નીકળે છે. તા. ૩જી માર્ચે સરદારે નરીમાનને કહ્યું કે તેમને તેઓ મદદ કરી શકશે નહીં. અને એ પ્રમાણે તેમણે મદદ કરી પણ નહીં. એ તો સ્પષ્ટ છે કે સરદારના જેટલી લાગવગ ધરાવનાર માણસ જ્યારે નિષ્ક્રિય રહે ત્યારે તેમનું એ વલણ જરૂર શ્રી નરીમાનની વિરુદ્ધમાં જાય. પણ તે માટે સરદારને દોષ દઈ શકાય નહીં. મને તો લાગે છે કે શ્રી નરીમાન ભૂલી જાય છે કે મુંબઈ શહેર એટલે આખો મુંબઈ પ્રાંત નથી. જો ખરેખર મહારાષ્ટ્ર અને કર્ણાટકનો તેમના ઉપર વિશ્વાસ હોત તો સરદારની નિષ્ક્રિયતા તેમને જરાય બાધા કરત નહીં. આજે પણ ધારાસભ્યો શ્રી ખેરને રાજીનામું આપવાનું કહે અને તેમની જગ્યાએ શ્રી નરીમાનની ચૂંટણી કરે તો તેમ કરતાં તેમને કોઈ અટકાવી શકતું નથી. સરદારની જબરદસ્ત લાગવગને કારણે આવો કશો ફેરફાર થવો અશક્ય છે એમ સૂચવવું એ વિચારહીન છે. એક માણસ ગમે તેટલો શક્તિશાળી હોય પણ ૯૦ માણસોને લાંબા વખત સુધી દબાવી શકે નહીં.
“પરિસ્થિતિનું મારું પૃથક્કરણ એ છે કે શ્રી નરીમાને ધારાસભ્યો ઉપરના પોતાના પ્રભાવની વધારે પડતી આંકણી કરી અને પોતાને મળેલી હારથી તીવ્ર નિરાશા અનુભવી. તેમની વિવેકશક્તિ બહેર મારી ગઈ. મારી આગળ કરેલાં તેમનાં નિવેદનથી આ વસ્તુ સાબિત થાય છે. પણ તેમના સલાહકારોએ અને વર્તમાનપત્રોના પ્રચારે તેમના આ ભ્રમને ઉત્તેજન આપ્યું. આ શબ્દો લખતાં મને જરાય ખુશી થતી નથી. પણ જે તેમનો એક મિત્ર છે અને તેમનો હિતચિંતક છે અને કૉંગ્રેસની કારોબારીમાં તેમને દાખલ કરવામાં જેનો કંઈક હિસ્સો છે તે પોતાનું ઉદ્વિગ્ન હૃદય ખોલે, જેથી તેમની આંખો ખૂલે એ આશાએ જ મેં આ શબ્દો લખ્યા છે.”

તા. ૧૪મીએ, ફેંસલાને દિવસે શ્રી નરીમાનને વર્ધા બોલાવવામાં આવ્યા હતા પણ તેઓ આવી ન શક્યા. એટલે શ્રી બહાદુરજીની સાથે મહાદેવભાઈ મુંબઈ ગયા. તા. ૧પમીએ શ્રી નરીમાનને શ્રી બહાદુરજીની ઑફિસે પોતાના બેરિસ્ટરને સાથે લાવવા હોય તો લઈને બોલાવ્યા. એ પ્રમાણે શ્રી નરીમાન શ્રી બહાદુરજીની ઑફિસમાં પોતાના બેરિસ્ટર સાથે ગયા. ગાંધીજીની એવી સૂચના હતી કે શ્રી નરીમાન ફેંસલો વાંચીને પોતાના વર્તન બદલ જાહેરમાં દિલગીરી દર્શાવવાનું કબૂલ કરે તો ફેંસલો બહાર ન પાડવો, પણ ગાંધીજીએ શ્રી નરીમાનની દિલગીરી સાથે પોતાનું એક નિવેદન બહાર પાડવું. શ્રી નરીમાન કાળજીપૂર્વક ફેંસલો વાંચી ગયા અને પોતાના બૅરિસ્ટર સાથે મસલત કરી તેમણે ગાંધીજીની સૂચના માન્ય રાખી. એટલે તા. ૧૬મીએ ગાંધીજીએ વર્ધાથી નીચે પ્રમાણે નિવેદન બહાર પાડ્યું :

“નરીમાન–સરદાર કેસમાં શ્રી બહાદુરજી તથા હું એકબીજાથી સ્વતંત્ર રીતે વિચારપૂર્વક જે નિર્ણય ઉપર આવ્યા છીએ તે બહાર પાડવાને બદલે શ્રી નરીમાને કરેલું નિવેદન પ્રજા આગળ મૂકતાં મને આનંદ થાય છે. મેં એક દુઃખદાયક