પૃષ્ઠ:Sardar Vallabhbhai Part II.pdf/૨૬૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૬૧
નરીમાન પ્રકરણ — ૨
ફરજ માથે લીધી હતી. અને મારી વિનંતીથી શ્રી બહાદુરજીએ તેમાં મને સાથ આપવાનું સ્વીકાર્યું હતું. તેમની કીમતી મદદ વિના અને તેમણે જે અસાધારણ શ્રમ ઉઠાવ્યો છે તે વિના, અત્યારની મારી તબિયતમાં આ બોજો ઉપાડતાં હું તૂટી જાત. મારી આગળ થોકબંધ પુરાવો રજૂ કરવામાં આવ્યો છે. તેની એકેએક લીટી હું વાંચી ગયો છું. એ બધાં કાગળિયાં મેં બહાદુરજીને મોકલી આપ્યાં. તેમાં તમામ પુરાવાની એકેએક લીટી વાંચી ગયા એટલું જ નહીં પણ તેમાંથી તેમણે લાંબી નોંધ પણ કરી છે. ૧૯૩૪ની ચૂંટણીના અટપટા કેસને લગતો કાયદો પણ તેઓ વાંચી ગયા છે અને મારાથી સ્વતંત્ર રીતે પોતાને ચુકાદો તેમણે આપ્યો છે. તે લઈને તેમણે સેવાગ્રામ આવવાની કૃપા કરી.
“તા. ૧૪મીનો આખો દિવસ એમણે લખેલો ફેંસલો વાંચવામાં અને વિચારવામાં અમે ગાળ્યો. પછી મેં મારી સંમતિદર્શક નોંધ લખી. એ આશા રાખી હતી કે શ્રી નરીમાન પણ તે દિવસે અમારી સાથે હશે. પણ તેઓ આવી શક્યા નહીં. પછી મેં સૂચવ્યું કે મુંબઈ જઈને શ્રી બહાદુરજી, શ્રી નરીમાનને પોતાની પાસે બોલાવે. ફેંસલો તથા મારી નોંધ વાંચીને પ્રતીતિપૂર્વક તેઓ તેનો સ્વીકાર કરે. અને પોતાના તરફથી જાહેર નિવેદન કાઢે, તો અમારે એ ફેંસલો જાહેર ન કરવો પણ પક્ષકારોને એક એક નકલ આપીને સંતોષ માનવો, એવી મેં સૂચના કરી. એ શ્રી બહાદુરજીને ગમી. ગુરુવારે રાત્રે શ્રી મહાદેવ દેસાઈને, શ્રી નરીમાનને મળવા મેં મુંબઈ મોકલ્યા. શ્રી નરીમાન પોતાના બૅરિસ્ટર સાથે શ્રી બહાદુરજીની ઓફિસે ગયા અને એ ફેંસલો વાંચ્યો. હવે શ્રી નરીમાનનું નિવેદન જાહેર આગળ મૂકતાં મને ઘણો આનંદ થાય છે. મને પૂર્ણ આશા છે કે લોકો અને વર્તમાનપત્રો ભૂતકાળની તીખી અને અશોભતી ચર્ચા ભૂલી જશે. એ ચર્ચાને લીધે મુંબઈની પ્રવૃત્તિમાંથી તેનો રોજનો ઉત્સાહ અને આનંદ લુંટાઈ ગયો હતો.
“શ્રી નરીમાને વિચારપૂર્વક અને પૂરા હૃદયપૂર્વક જે એકરાર કર્યો છે તે માટે હું તેમને અભિનંદન આપું છું. શ્રી બહાદુરજીએ પણ ઊંચી કર્તવ્યબુદ્ધિથી અને મારા પ્રત્યેના પ્રેમને લીધે, મારી ઉપરના બોજામાં જે ભાગ લીધો છે તે માટે હું તેમનો અત્યંત ઋણી છું. શ્રી નરીમાનનું નિવેદન નીચે પ્રમાણે છે:
“ગાંધીજીએ મને વિશ્વાસમાં લઈને તેમણે કરેલી તપાસનો ચુકાદો મને બતાવ્યો તે માટે હું તેમનો આભારી છું. એ ચુકાદાનો મેં કાળજીપૂર્વક અભ્યાસ કર્યો છે. મારી પસંદગીના ન્યાયાધીશો જેમને મારા મિત્રો ગણવાનો અધિકાર હું ભોગવું છું, તેમણે આપેલા ચુકાદાને મારે સ્વીકારી લેવો જોઈએ. એ ચુકાદો બહાર પાડવાનો તેમને અધિકાર હતો પણ તેમણે મને ઉદારતાપૂર્વક કહ્યું કે તેમના ચુકાદાથી મને સંતોષ થયો છે એવું હું જાહેર નિવેદન કરૂં તો તેઓ એ બહાર નહીં પાડે. મેં એમની સૂચના સ્વીકારી લીધી છે અને તે પ્રમાણે જાહેરમાં આ નિવેદન કરું છું. મારી ખાતરી થઈ છે કે ૧૯૩૪ની વડી ધારાસભાની ચૂંટણીની બાબતમાં કૉંગ્રેસના એક જવાબદાર હોદ્દેદાર તરીકે મારી ફરજમાં હું ચૂક્યો છું.