પૃષ્ઠ:Sardar Vallabhbhai Part II.pdf/૨૭૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૬૪
સરદાર વલ્લભભાઈ
તેઓ જો ગુનેગાર માલુમ પડશે તો તેઓ પોતે જ કોઈ પણ હોદ્દા અથવા જવાબદારીના સ્થાન માટે પોતાને નાલાયક ગણશે.
“મારો એવો અભિપ્રાય છે કે શ્રી નરીમાને પોતાના વર્તનથી પોતાને કોઈ પણ જવાબદારીનું સ્થાન ધરાવવાને નાલાયક સાબિત કર્યા છે. એટલા જ ખાતર નહી કે ૧૯૩૪ની ચૂંટણીમાં ગંભીર વિશ્વાસભંગ કર્યો માટે તેઓ ગુનેગાર ઠર્યા છે અને સરદાર વલ્લભભાઈ સામે મૂકેલા આક્ષેપો તેઓ સાબિત કરી શક્યા નથી, પણ એટલા માટે કે તેમના પત્રવ્યવહારમાં દેખાઈ આવતા તેમના પાછળના વર્તનથી અને ખાસ કરીને તો પોતાના બૅરિસ્ટરની હાજરીમાં સ્વતંત્રપણે કરેલા એકરારને તેઓ આવી કમનસીબ રીતે નામક્કર જાય છે તેથી તેમની એવી નાલાયકી સાબિત થાય છે.”

કલકત્તામાં મળેલી કૉંગ્રેસ કારોબારીએ તે જ દિવસે આ વિષે નીચે પ્રમાણે ઠરાવ કર્યો :

“શ્રી નરીમાને ઉઠાવેલા મુદ્દા વિષે મહાત્મા ગાંધી તથા શ્રી બહાદુરજીના રિપોર્ટ ઉપર કારોબારીએ વિચાર કર્યો. તેની સાથે લખેલો મહાત્મા ગાંધીનો કાગળ તથા તપાસ સમિતિના રિપોર્ટની બાબતમાં શ્રી નરીમાને કરેલાં બે નિવેદનો પણ કારોબારીએ ધ્યાનમાં લીધાં. પંચે આપેલો ફેંસલો, શ્રી નરીમાને કરેલો તેનો સ્વીકાર તથા પાછળથી કરેલી તેની નાકબૂલાત, એ બધું જોતાં કમિટીનો એવો અભિપ્રાય થાય છે કે શ્રી નરીમાનનું વર્તન એવું છે કે કૉંગ્રેસમાં કોઈ પણ જવાબદારીનું કે વિશ્વાસનું સ્થાન ધરાવવાને તેમને કમિટી નાલાયક ઠરાવે છે.”

આ ઠરાવ બહાર પડ્યો તેની સાથે જ શ્રી નરીમાન વીફર્યા. ગાંધીજી ઉપર પક્ષપાત કર્યાના તથા પોતે આપેલા વચનો નહીં પાળ્યાના આક્ષેપો તો તેમણે કર્યા જ. પણ સાથે શ્રી બહાદુરજીને તથા પંડિત જવાહરલાલજીને પણ છોડ્યા નહીં. ઉપરાઉપરી નિવેદનો બહાર પાડીને, એની એ વાત તેમણે ફરી ફરીને લખ્યાં કરી. પછી શ્રી વેલીંકર બૅરિસ્ટર પાસે ગાંધીજી અને બહાદુરનો ફેંસલો ફરી તપાસાવ્યો અને તેમનો અભિપ્રાય પોતાના લાભમાં મેળવ્યો. એ વિષે મહાદેવભાઈ એ તા. રપ–૧૧–’૩૭ના રોજ સરદાર ઉપર લખેલા કાગળમાંથી નીચેનો ઉતારો આપવા જેવો છે :

“બેરિસ્ટર વેલીંકરે આપેલો અભિપ્રાય ટાંકીને શ્રી નરીમાને જે નિવેદન બહાર પાડ્યું છે તે છાપાંમાં બાપુજીએ જોયું. એમને પોતાને તો લાગે છે કે વેલીંકરનો અભિપ્રાય મચરડેલો છે. મુખ્ય મુદ્દાની વાત છોડીને જે વાતની બહુ કિંમત નથી તે વાત ઉ૫૨ જ તેણે ભાર મૂક્યો છે. બાપુ કહે છે કે તમારે આ અભિપ્રાયનો બરાબર જવાબ અપાવવો જોઈએ. શ્રી ભૂલાભાઈને અથવા શ્રી મોતીલાલ સેતલવડને લખવું જોઈએ. તેમણે આખી વસ્તુનો કાયદાની દૃષ્ટિએ અભ્યાસ કરીને પોતાનો અભિપ્રાય આપવો જોઈએ એમ બાપુ કહે છે. બીજી બે બાબતો, કે નરીમાને તપાસ માગી જ નહોતી અને જજમેન્ટ વગેરે છાપવામાં ગાંધીજીએ