પૃષ્ઠ:Sardar Vallabhbhai Part II.pdf/૨૭૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૭૧
હરિપુરા કૉંગ્રેસ — ૧

એક સ્થળેથી બીજે સ્થળે જવા માટે નગરની અંદર થોડે થોડે વખતે દોડતી બસ સર્વિસની વ્યવસ્થા રાખવામાં આવી હતી તથા નેતાઓ માટે અમદાવાદ અને મુંબઈથી મળીને પંદરેક મોટરો મંગાવી હતી.

પ્રદર્શનની આખી વ્યવસ્થા ચરખા સંઘ તથા ગ્રામ-ઉદ્યોગ સંઘને સોંપેલી હતી. તેમણે દેશના બધા પ્રાંતોની જુદી જુદી જાતની ખાદીના તથા ગ્રામઉદ્યોગના નમૂના એકઠા કરીને આકર્ષક રીતે ગોઠવ્યા હતા. તે ઉપરાંત બધી વસ્તુઓ બનાવવા માટેની તમામ ક્રિયાઓ પણ ત્યાં પ્રત્યક્ષ બતાવવામાં આવતી. પ્રદર્શનની સાથે એક વિશાળ સ્વદેશી બજાર ઊભું કરવામાં આવ્યું હતું. પ્રદર્શન જોઈને તો લોકો રાજી થતા જ હતા. એ ઉપરાંત ખાદી અને ગ્રામ-ઉદ્યોગો આપણાં ગામડાંની બેકારી શી રીતે નાબૂદ કરી શકે એમ છે અને શી રીતે આપણાં ભાંગતાં ગામડાંમાં નવો પ્રાણ ફેંકી શકે એમ છે તેનો શાસ્ત્રીય અભ્યાસ કરવા ઇચ્છનારને મબલક સામગ્રી આ પ્રદર્શન પૂરી પડતું હતું.

કૉંગ્રેસનાં રસોડાંમાં દરરોજ ટકે વીસથી પચીસ હજાર માણસ જમતું. આપણો દેશ વિશાળ હોઈ જુદા જુદા પ્રાંતના માણસોનો રોજનો ખોરાક જુદો જુદો હોય છે. વસ્તુ એક હોય તો પણ રાંધવાની રીતમાં જુદા જુદા પ્રાંતમાં ઘણો ફરક હોય છે. કૉંગ્રેસમાં બધા પ્રાંતના પ્રતિનિધિઓ આવતા હોઈ તેમની જુદી જુદી અભિરુચિઓને સંતોષવા ખાતર ઘણી કૉંગ્રેસમાં પ્રાંતવાર રસોડાં જુદાં રાખવામાં આવે છે. હરિપુરામાં એવી સગવડ રાખી હતી ખરી, પણ એક જ પ્રાંતે જુદું રસોડું કર્યું. મુખ્ય રસોડામાં જ એટલો સરસ ખોરાક આપવામાં આવતો કે એ જુદા રસોડામાં જમનારની સંખ્યા બીજે જ દિવસેથી ઘણી ઘટી ગઈ. ફૈઝપુરના અનુભવ ઉપરથી જણાયું હતું કે આસપાસનાં ગામડાંમાંથી આવનારા લોકો માટે કંઈક સાદી વ્યવસ્થા રાખવાની જરૂર હતી. એટલે ગામડાંમાંથી આવનારા લોકો માટે મોટા માંડવા બાંધી તેમાં તેમની જમવાની તથા સૂવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. આ ગ્રામરસોડામાં ચોખા, દાળ અને શાકનું ભોજન બંને ટંક આપવામાં આવતું અને તેના ટંકના છ પૈસા લેવામાં આવતા. આ રસોડામાં પણ દરરોજ આઠથી દસ હજાર માણસ જમતું. આ ઉપરાંત પોતાનાં ગાડાં ત્યાં રાખીને તેમાં જ રહેનારા ઘણા લોકની ગણતરી કરવામાં આવી હતી. લોકો માટે એક વિશાળ ચોક રાખવામાં આવ્યો હતો. માણસો માટે તો પાણીની વ્યવસ્થા ત્યાં રાખી જ હતી. ઉપરાંત બળદ માટે પણ ઘાસ દાણાની તથા પાણીની વ્યવસ્થા રાખી હતી. એનો લાભ પણ ઘણા માણસોએ લીધો. આ આખા વિભાગની દેખરેખ શ્રી રવિશંકર મહારાજે રાખી હતી.