પૃષ્ઠ:Sardar Vallabhbhai Part II.pdf/૩૧૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૩૦૩
પાર્લમેન્ટરી કમિટીના ચૅરમૅન

તેમણે ધ્યાન પર લીધી નહીં. તેમનો વિચાર તો પોતાને ન ફાવતા પ્રધાનોને દૂર કરી પોતાની પસંદગીનું નવું પ્રધાનમંડળ રચી, બધું રંધાઈ ગયા પછી એ વસ્તુ કારોબારી સમિતિ તથા પોતાના પક્ષ આગળ લાવવાનો હતો. આ બધું કારોબારી સમિતિ મળવાની હતી તે અગાઉ બે જ દિવસ પહેલાં તેમણે કરી નાખ્યું. આ સ્થિતિમાં તેમના વર્તન વિષે કારોબારી સમિતિ કશું પગલું ન ભરે તો પોતાની ફરજમાં એ ચૂકી ગણાય.”

ડો. ખરેએ કેટલીક હકીકત વિકૃત રૂપમાં અને કેટલીક હકીકત ખોટા રૂપમાં પોતાનાં ભાષણોમાં રજૂ કરવા માંડી હતી એટલે તેના ખુલાસા આપવા માટે તા. ૫મી ઓગસ્ટે સરદારે નીચે પ્રમાણે નિવેદન બહાર પાડ્યું :

"મધ્ય પ્રાંતના પ્રધાનમંડળમાં બની ગયેલી બીના વિષે પાર્લમેન્ટરી કમિટીએ બહુ વિગતવાર નિવેદન બહાર પાડ્યું છે. તે જોતાં કઈ વધુ બોલવાનો મારો ઇરાદો ન હતો. પરંતુ ડૉ. ખરે હમણાં પૂના, મુંબઈ વગેરે સ્થળોએ ફરી ભાષણ કરી આવ્યા તેમાં તેમણે સત્યથી વેગળી એવી કેટલીક હકીકતો રજૂ કરી છે અને અમારા ઉપર ગંભીર આક્ષેપ કર્યો છે, એટલે તે વિષે સ્પષ્ટીકરણ કરવાની મારે માટે જરૂર ઊભી થઈ છે.

“ ડૉ. ખરે કહે છે કે મધ્ય પ્રાંતના વડા પ્રધાનનું પદ તેમના ઉપર પરાણે ઠોકી બેસાડવામાં આવ્યું હતું. એ વાત તદ્દન ખોટી છે. શરૂઆતથી જ મધ્ય પ્રાંતની ધારાસભામાંના કૉંગ્રેસ પક્ષના નેતા થવા તેઓ ઇંતેજાર હતા. પક્ષના નેતાની ચૂંટણી માટે બોલાવવામાં આવેલી સભામાં પ્રમુખ થઈને પોતાને મદદ કરવા તેમણે પ્રથમ મને અને પછી પંડિત જવાહરલાલજીને વિનંતી કરેલી. મહાકોશલની પ્રાંતિક સમિતિના પ્રમુખે પરિસ્થિતિ વિશે અમને ચેતવેલા હોવાથી અમે બંનેએ પ્રમુખ થવા ના પાડી. તે વખતે રવિશંકર શુકલ અને પંડિત દ્વારકાપ્રસાદ મિશ્ર વચ્ચે ખટરાગ ચાલતો હતો. તેનો લાભ લઈ પંડિત મિશ્રને તેમણે પોતાના પક્ષમાં લીધા. ડૉ. ખરેની વડા પ્રધાનપદને ચીટકી રહેવાની ઇંતેજારી ન હોત તો તેમને એવી તક તો ઘણી વખત સાંપડી હતી જ્યારે તેમની જગ્યાએ બીજો કોઈ હોય તો એ પદનું રાજીનામું આપી દે.

“ જ. શરીફના પ્રકરણમાં ગાંધીજીને અને મને વચન આપ્યાં છતાં તેમણે જ. શરીફને માટે પક્ષનો વિશ્વાસ હોવાનો મત મેળવ્યો અને કૉંગ્રેસની કારોબારી સમિતિની આગળ એ વસ્તુ સિદ્ધ રૂપમાં રજૂ કરી. તેઓ કારોબારી સમિતિને ધમકી આપવાની હદ સુધી પણ ગયેલા કે જ. શરીફની બાબતમાં પક્ષના નિર્ણયની વિરુદ્ધ તમે કોઈ પણ પગલાં ભરશે તો હું રાજીનામું આપીશ. પણ કારોબારી સમિતિએ ડૉ. ખરે અને તેમના પક્ષની એ વાત મંજૂર ન રાખી, જેને પરિણામે જ. શરીફને રાજીનામું આપવું પડ્યું. આજે ડૉ. ખરેને પ્રધાનમંડળની સંયુક્ત જવાબદારીનું ઘેલું લાગ્યું છે. તો જે વખતે જ. શરીફે રાજીનામું આપ્યું તે વખતે શું કામ તેઓ વડા પ્રધાનપદ ઉપર ચાલુ રહ્યા ? ત્યાર પછી તેમની કુશળતાના મુદ્દા ઉપર જ્યારે તેમના ત્રણ સાથીઓએ રાજીનામું આપ્યું ત્યારે ડૉ. ખરેને રાજીનામું આપવાની બીજી તક મળી હતી.