પૃષ્ઠ:Sardar Vallabhbhai Part II.pdf/૩૧૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૩૦૭
પાર્લમેન્ટરી કમિટીના ચૅરમૅન

અચૂક પાલન કૉંગ્રેસે કરાવવું જ જોઈએ. લડત બીજી કોઈ રીતે ચલાવી જ ન શકાય.”

૧૯૩૭ના માર્ચમાં જ્યારે કૉંગ્રેસ પક્ષના બધા ધારાસભ્યોએ કૉંગ્રેસને વફાદાર રહી કૉંગ્રેસના આદેશ પ્રમાણે ધારાસભામાં કામ કરવાની પ્રતિજ્ઞા લીધી ત્યારે ઉપરના સિદ્ધાંત તેમણે સ્વીકારી લીધા હતા. તે અનુસાર ગાંધીજી કહે છે કે,

“ ડૉ. ખરે જો એમના જક્કી અને કહ્યું ન માનનારા સાથીઓથી કંટાળી ગયા હતા તો તેમણે ગવર્નર પાસે નહીં, પણ કારોબારી સમિતિ પાસે જઈને પોતાનું રાજીનામું આપવું જોઈતું હતું. એ સમિતિના નિર્ણયથી સંતોષ ન થાય તો તેઓ મહાસમિતિ પાસે જઈ શકે, પણ કોઈ પણ કૉંગ્રેસ પ્રધાનને કોઈ પણ પ્રસંગે માંહોમાંહેના કજિયા ગવર્નરની પાસે લઈ જવાની અને કારોબારી સમિતિની અગાઉથી સંમતિ મેળવ્યા વિના ગવર્નર મારફતે રાહત મેળવવાની છૂટ નથી. ડૉ. ખરેએ આ સાદા ઇલાજની અવગણના કરી અથવા એથીયે વધારે ખરાબ તો એ ઇલાજનું અજ્ઞાન બતાવ્યું અને કારોબારી સમિતિ થોડા જ દિવસ પછી મળવાની હતી છતાં પોતાની મુશ્કેલીઓનો અંત આણવા ગવર્નર પાસે દોડી ગયા એમાં એમણે ગંભીર ભૂલ કરી છે.”

કારોબારી સમિતિના નિર્ણયની યથાર્થતા વિષે ગાંધીજી લખે છે :

“ ડૉ. ખરેએ પાર્લમેન્ટરી કમિટીની સુચનાઓની અવગણના કરવામાં ભચંકર શિસ્તભંગનો અપરાધ કર્યો એટલું જ નહીં પણ ગવર્નરને હાથે પોતાને બેવકૂફ બનવા દીધા તથા પોતાના ઉતાવળિયા પગલાથી પોતે કૉંગ્રેસને હલકી પાડતા હતા એ વાતની ખબરદારી ન રાખી. તેથી તેમણે નેતા તરીકે પોતાની નાલાયકી પુરવાર કરી આપી છે. પોતાના દોષની નિખાલસપણે કબૂલાત કરવાની અને નેતાપદમાંથી ખસી જવાની જે સલાહ કારોબારી સમિતિએ આપી તે સ્વીકારવાની ના પાડીને તેમણે શિસ્તભંગના પ્રમાણમાં ઉમેરો કર્યો છે. ડૉ. ખરેના આ કામને કારોબારી સમિતિએ વખોડી કાઢ્યું ન હોત અને તેમને નાલાયક ન ઠરાવ્યા હોત તો સમિતિ પોતાની ફરજ ચૂકત.”

ડૉ. ખરેના અનુગામીઓ વિષે ગાંધીજી કહે છે :

"એમ કહેવામાં આવે છે કે ડૉ. ખરેની જગ્યાએ જે માણસો હવે આવ્યા છે તેઓ સ્વાર્થી છે, આવડત વિનાના છે, અને ચારિત્ર્યમાં ડૉ. ખરેને જરાયે પહોંચી શકે એવા નથી. ટીકાકારોએ ચીતર્યા છે એવા આ માણસો હોય તો જે ભારે જવાબદારી તેમણે ઉઠાવી છે તે પાર પાડવામાં તેઓ જરૂર નિષ્ફળ નીવડશે. પરંતુ કારોબારી સમિતિ પોતાની મર્યાદામાં રહીને જેટલું થઈ શકે એટલું જ કરી શકે. પ્રાંતના ચુંટાયેલા સભ્યોમાંથી જ તેઓ પ્રધાનોની પસંદગી કરી શકે. એમની ચૂંટણી કરવાની સત્તા તો પક્ષના સભ્યોની છે. તેઓ જો એમને ચૂંટી કાઢે તો જ્યાં લગી તેઓ શિસ્તમાં રહે અને પ્રજાના વિશ્વાસને તેઓ નાલાયક છે એમ જાણવામાં ન આવે ત્યાં લગી કારોબારી સમિતિ વચ્ચે પડી શકે નહી.”