પૃષ્ઠ:Sardar Vallabhbhai Part II.pdf/૩૧૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૩૦૮
સરદાર વલ્લભભાઈ


ગવર્નરે ભજવેલા ભાગ વિષે ગાંધીજી કહે છે :

"મધ્ય પ્રાંતના ગવર્નર વિશે કારોબારી સમિતિએ જે અભિપ્રાય પ્રગટ કર્યો છે તેને કેટલાયે વર્તમાનપત્રોએ વખોડી કાઢ્યો છે. વિરોધીઓ વિષે ઉતાવળો અભિપ્રાય બાંધવાની મને ટેવ નથી. પણ આ ઠરાવની જે ટીકા થઈ છે તે પ્રમાણે એ ઠરાવથી ગવર્નરને કશો અન્યાય થયો છે એવું મારે ગળે ઊતરી શક્યું નથી. તેમણે ડૉ. ખરે અને તેમના બે સાથીઓનાં રાજીનામાં સ્વીકાર્યા, બીજા ત્રણ પ્રધાન પાસેથી રાજીનામાં માગ્યાં, તેમની પાસે તાત્કાલિક જવાબ માગ્યા, તેમણે આપેલો ખુલાસે એકદમ ફેકી દીધો અને તેમને બરતરફ કર્યા. અને આ બધું કરવાને સારુ લગભગ આખી રાત પોતે જાગતા રહ્યા, પોતાના મંત્રી વગેરેને તથા બિચારા પ્રધાનોને જાગતા રાખ્યા. આમ કરવામાં ગવર્નરે બતાવેલી ઉતાવળને માટે હું ‘ભૂંડી' એ જ વિશેષણ વાપરી શકું છું. ડૉ. ખરેનું રાજીનામું તે ક્ષણે જ સ્વીકારવાને બદલે તેમણે બે જ દિવસ પછી ભરાનારી કારોબારી સમિતિની બેઠકની રાહ જોઈ હોત તો કશું ખાટુંમાળું થઈ જવાનું ન હતું.

"બેશક ગવર્ન૨ કાયદાના અક્ષરો પ્રમાણે વર્ત્યા છે. પણ બ્રિટિશ સરકાર અને કૉંગ્રેસ વચ્ચે જે ગર્ભિત સમજૂતી થયેલી છે તેનો આત્મા તેમના આ કૃત્યથી હણાયો છે. જે કારોબારી સમિતિના ઠરાવની ટીકા કરે છે, તેઓ વાઈસરૉયે સંભાળપૂર્વક તૈયાર કરેલું ગયા વર્ષનું જાહેરનામું વાંચી જાય. એ અને બીજાં જાહેરનામાંથી કારોબારી સમિતિને હોદ્દા સ્વીકારનો અખતરો અજમાવી જોવાનું મન થયું હતું. વાઈસરૉયનું એ જાહેરનામું વાંચીને ટીકાકારો પોતાના મનને પૂછે કે કારોબારી સમિતિ, ડૉ. ખરે અને તેમના સાથીઓ વચ્ચે જે વાટાધાટે ચાલી રહેલી હતી તે ધ્યાનમાં લેવાને ગવર્નર બંધાયેલા હતા કે નહી. આ નિર્વિવાદ હકીકત જાણ્યા પછી એવા વિચાર ઉપર આવ્યા વિના રહેવાતું જ નથી કે ગવર્નરે કૉંગ્રેસને બદનામ કરવાની આતુરતામાં આખી રાત જાગરણ કર્યું અને કૉંગ્રેસને અગવડમાં મૂકવાની પરિસ્થિતિ ઊભી કરી. યુક્ત પ્રાંત, બિહાર અને ઓરિસ્સાના ગવર્નરોએ તેમની સામે વિષમ પ્રસંગ આવી પડ્યો ત્યારે કોંગ્રેસની દોરવણીની વાટ જોઈ હતી. બેશક એ ત્રણ પ્રસંગમાં એમ કરવામાં એમનો દેખીતો સ્વાર્થ હતો. ત્યારે શું એમ કહેવું જોઈએ કે મધ્ય પ્રાંતમાં કૉંગ્રેસને મૂંઝવવાને માટે વિષમ પ્રસંગ ઊભો કરવામાં બ્રિટિશ સત્તાનો દેખીતા સ્વાર્થ રહેલો હતો ? ”

હવે છેલ્લી ટીકા 'ફાસીઝમ'ની લઈએ. એ વિષે ગાંધીજીએ લખ્યું છે કે,

"કેટલાક કહે છે કે આ તો હુડહુડતું 'ફાસીઝમ' છે. પણ એમને ખબર નથી કે ફાસીઝમમાં તો નાગી તલવારનો અમલ હોય છે. એવા અમલમાં તો ડૉ. ખરે જેવાએ પોતાનું માથું ગુમાવ્યું હોય. કૉંગ્રેસ અને ફાસીઝમ વચ્ચે જમીન આસમાનનો ફરક છે. કેમ કે કૉંગ્રેસ નિર્મળ અહિંસાના પાયા પર રચાયેલી છે. એની પાસે પોતાની આજ્ઞાનું પાલન કરાવવાની જે સત્તા છે, તે કેવળ નૈતિક છે.”

ડો. ખરેએ 'મારો બચાવ એ નામનું એક ચોપાનિયું બહાર પાડીને બનેલી હકીકતો એવા વિકૃત રૂપમાં રજૂ કરી અને કેટલીક અગત્યની હકીકતો