પૃષ્ઠ:Sardar Vallabhbhai Part II.pdf/૩૪૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૩૩૮
સરદાર વલ્લભભાઈ

આવ્યો. કંઈક કરવું જોઈએ એમ મને લાગ્યું. પણ લોકોના નેતા ઢેબરની સાથે દીવાન કૅંડલે બહુ ઢીલી રીતે કામ લીધું, એટલે સુધી કે તેણે ધૃષ્ટતાપૂર્વક કરેલા કાયદાભંગ માટે તેને માત્ર પંદર દિવસની સાદી કેદની સજા કરવામાં આવી. મારે આપને જણાવવું જોઈએ કે ઢેબરને તત્કાલ પકડવાને બદલે બીજે દિવસે પકડવામાં આવેલ. વળી ચળવળિયાઓ ગામડાંમાં પહોંચીને ત્યાં ધમાલ કરી મૂકે તેની સામે યોગ્ય અને ચાંપતા ઇલાજો તો લેવામાં આવ્યા જ નહીંં. એને લીધે તેઓ મોટા ભાગનાં ગામડાંના ખેડૂતોના દિલમાં ઝેર રેડી શક્ચા. પરિણામે તેઓ રાજ્યના અમલદારોની સામે ઉદ્ધત બન્યા અને રાજ્ય સામે લડવાને તથા તેને શક્ય તેટલું નુકસાન કરવાને કટિબદ્ધ થયા. રાજ્યની બેંક, વીજળીઘર, તથા બીજાં ખાતાંઓ ઉપર પણ તેઓ હુમલા કરવાનું ચૂક્યા નથી. ચળવળ આટલે દરજજે પહોંચે તે પહેલાં મજબૂત હાથે કામ લેવાની જરૂર હતી. પરંતુ સર પેટ્રિકે કશું જ કર્યું નહીં. તેને લીધે જ જે રૈયત પહેલાં વફાદાર હતી તે આજે રાજ્યની સામે થઈને બેઠી છે, અને ખુલ્લી રીતે બેવફા હોવાના પોકાર કરતી થઈ છે. મનાઈ હુકમના અભાવે રાજ્યમાં સભાઓ તો રોજની થઈ પડી છે. ચળવળનું જોર બહુ જ વધી ગયું એટલે મેં રાજ્યના અમલદારોને ભેગા કર્યા અને લોકોને અમુક રાહત આપવાનું નક્કી કર્યું. રાહત આપવાનું કબૂલ કરતી વખતે મેં સર પેટ્રિકને ખાસ જણાવેલું કે મારી રૈયતને આવી છૂટછાટ આપવાની હું વિરુદ્ધ નથી, પણ હું ઢેબરને છોડવાના મતનો નથી. કારણ એને છોડીશું તો એ વધારે તોફાન ઊભું કરશે અને ચાલે છે એ કરતાં પણ વિશાળ પાયા ઉપર અને વધારે ગંભીર પ્રકારની ચળવળ ચલાવવા માટે સૂચનાઓ લેવા વલ્લભભાઈ પટેલ પારો દોડશે. પણ સર પેટ્રિક મારી સાથે સંમત થયા નહીં. તેમનું કામ સરળ કરી આપવાની ખાતર નાખુશીથી તેમની નીતિને મેં ટેકો આપ્યો. દશેરાને દિવસે (૩ ઓકટોબરે ) શું બન્યું તે આપે સાંભળ્યું હશે. તે દિવસે રાજ્યનો જે ફેસ્તો થયો તેની કલ્પના કરવી પણ મુશ્કેલ છે. સર પેટ્રિકે નજરોનજર તે જોયું છે. ઢેબરને તા. ૧૧મી ઓકટોબરની રાત્રે છોડી મૂકવામાં આવ્યા. તેમનું સ્વાગત કરવાને માટે દસ હજાર માણસોની મોટી સભા થઈ. રૈયત ઉપર રાજ્યનો કોઇ કાબૂ જ નથી રહ્યો એવો દેખાવ થયો. આમ મુક્ત ઢેબર રાજ્યને વધારે નુકસાનકર્તા નીવડવ્યો. એ બધા વેપારીઓને મળ્યો અને જકાતની તમામ આવક બંધ થઈ જાય એવી ગોઠવણ કરી. રાજ્યના દાણા ( ખેડૂતો પાસેથી ભાગમાં મળેલા) કોઈ માણસે ખરીદવા નહી અને રાજ્યની મિલનું કપડું કોઈ માણસે ખરીદવું કે વેચવું નહીંં એવી તેણે વ્યવસ્થા કરી છે. જે વેપારીઓની દુકાનમાં રાજ્યની મિલનું કપડું હોય તેના ઉપર તેણે સીલ મરાવ્યાં છે અને લોકોની પાસેથી એવી કબૂલાત લીધી છે કે રાજ્યની આવકનાં તમામ સાધન બંધ થઈ જાય. ૧લી નવેમ્બરથી રાજ્યની મિલ પણ બંધ કરવી પડશે.

“ આપના જાણવામાં આવ્યું હશે કે લોકો એટલા બધા ઉદ્ધત અને બેકાબૂ બની ગયા છે કે તેની કશી હદ રહી નથી. ઉઘાડી રીતે તેઓ રાજ્ય પ્રત્યે બેવફાઈ અને અપ્રીતિના પોકારો કરે છે. જો સર પેટ્રિકે વખતસર પગલાં લીધાં