પૃષ્ઠ:Sardar Vallabhbhai Part II.pdf/૩૫૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૩૪૭
દેશી રાજ્યોમાં પ્રજાકીય લડતો — ૨

"રાજકોટમાં ચાલતી લડત વિષે રાજકોટ રાજ્ય તરફથી જે જાહેરનામું બહાર પડયુ છે તે જોઈને મને દુ:ખ સાથે આશ્ચચ થાય છે. મને એમાં વિશ્વાસભંગ થયેલો લાગે છે. નીચેની હકીકત ઉપરથી એ વસ્તુ સ્પષ્ટ થશે.

"સર પેટ્રિક કૅંડલ તા. ૨૯મી નવેમ્બરે મને મળ્યા તે પહેલાં ઠાકોર સાહેબ તરફથી કાઢવાના જાહેરનામાનો નીચેનો મુસદ્દો તેમની સમક્ષ હતો :

“ 'પોતાને થયેલા અન્યાયો દૂર કરવા માટે લોકોને સવિનય ભંગનો આશ્રય લેવો પડ્યો છે અને તેને અંગે જે હાડમારીઓ તેમને વેઠવી પડી છે તે જોઈ મને દુ:ખ થાય છે. હું જોઈ શક્યો છું કે ખરી રીતે કે ખોટી રીતે પણ મારા રાજ્યમાં ચાલતી ચળવળ એટલી લોકપ્રિય થઈ પડી છે કે તેની હું અવગણના કરી શકું નહીં. એ વસ્તુની પણ હું નોંધ લઉં છું કે આ ચળવળે આખા હિંદુસ્તાનનું અને ઇગ્લેંડનું પણ ધ્યાન ખેંચ્યું છે.પોતાનાં જે કૃત્યને લોકો નિર્દોષ માને છે તે સારુ તેમને જેલમાં પૂર્યા કરવાનું કોઈ પણ રાજ્યને પોસાય નહીં. તેથી મેં નક્કી કર્યુ છે કે જાહેર માફી આપી દઈ સવિનય ભંગના સઘળા કેદીઓને મુક્ત કરવા, તેમના દંડ માફ કરવા અને સઘળાં દમનકારી પગલાં પાછાં ખેંચી લેવાં.'
“ ' આ ઉપરાંત હું નીચેના માણસેની એક કમિટી નીમું છું, જેના પ્રમુખ તરીકે મારા દીવાન સર પેટ્રિક કૅંડલ કામ કરશે. આ કમિટી દશ સભ્યોની હશે જેમાંના સાત પરિષદના સભ્યો હશે. તેમની પસંદગી સરદાર વલ્લભભાઈ કરશે. બે સભ્ય રાજ્યના અમલદાર હશે. અને તેમની નિમણુક સમિતિના પ્રમુખ કરશે. આ કમિટીએ સુધારાની એક યોજના ઘડી કાઢવાની છે. આ યોજનામાં શહેનશાહ પ્રત્યેની મારી ફરજો તથા રાજા તરીકેના મારા વિશેષ અધિકારોની સાથે સુસંગત થાય એવી રીતે લોકોને વધારેમાં વધારે વિશાળ સત્તાઓ આપવામાં આવશે. અમારી એવી પણ ઇચ્છા છે કે અમારું ખાનગી ખર્ચ નરેન્દ્ર મંડળે ઠરાવ્યું છે તે પ્રમાણે રાજ્યની આવકના દસમા ભાગ જેટલું અમારે મર્યાદિત કરી નાખવું. મારી પ્રજાને હું વિશેષ ખાતરી આપવા ઇચ્છું છું કે સદરહુ કમિટી જે યોજના રજૂ કરશે તેનો હું સંપૂર્ણ રીતે અમલ કરીશ. આ કમિટીને જરૂરી પુરાવા લેવાની સત્તા હશે. તેમણે યોજના ઘડીને ૧૫-૧૨-'૩૮ પહેલાં મારી આગળ રજૂ કરવાની છે.'

"જાહેરનામાનો ઉપરનો મુસદ્દો ઠાકોરસાહેબ અને સર પેટ્રિક કૅંડલને માન્ય હતો. એ સાબિત કરવા મારી પાસે પુરાવો છે. પણ સર પેટ્રિક કૅંડલને કેટલીક શંકા હતી તે તેમણે લખેલી છે. તે અસલ લખાણ મારી પાસે છે. તેમણે નીચેના મુદ્દા ઉભા કર્યા હતા :

૧. જાહેરનામાંના પ્રાસ્તાવિક ભાગની ભાષા.
૨. કમિટી પોતાનું કામ ચલાવતી હોય તે દરમ્યાન ચળવળ બંધ કરવાની ખાતરી આપવામાં આવે. આ ખાતરી લેખી હોવાનું જરૂરી નથી.
૩. દીવાન જે રાજ્યનો પગારદાર નોકર છે, તે સિવાયના કમિટીના બીજા સભ્યો રાજ્યની રૈયત પૈકીના હોવા જોઈએ.