પૃષ્ઠ:Sardar Vallabhbhai Part II.pdf/૩૫૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૩૫૧
દેશી રાજ્યોમાં પ્રજાકીય લડતો — ૨

કબૂલ કર્યા પછી આમ ફરી જવું એ કૅંડલને શોભે કે નહીં તે એ જાણે, પણ આપને તો ન જ શોભે. જાહેરમાં વચનભંગનો આરોપ આવે અને વળી વિના કારણ રાજ્યની ખુવારી થાય અને પ્રજાને હેરાનગતિ વેઠવી પડે, એ સારું નથી.

"જે શરતો કબૂલ રાખેલી હતી તે ઉપર આજે પણ આપ કાયમ હો તો હું આપનો કાગળ મળતાંની સાથે ત્યાં આવી પ્રજાને સમજાવી લડતનો અંત લાવી શકીશ. મહાત્માજી આપના કુટુંબના સંબંધી છે. એમણે સલાહ આપી એ આપના હિતની વિરુદ્ધ તો નહીં જ હોય. મારો કે કોઇનો આ લડતમાં આપની પ્રત્યે અંગત રાગદ્વેષ નથી. અમે રાજ્યનું અને પ્રજાનું ભલું ઇચ્છીએ છીએ, એટલું પરદેશીઓ ન જ ઇચ્છે. લડતનો અંત લાવવો એ આપના અધિકારની વાત છે. એમાં કોઈ વચ્ચે આવી શકે એમ નથી. પ્રજાને રાજી કરી તેની સાથે સમાધાન કરશો તો તમારો કોઈ વાંકો વાળ કરી શકશે નહીંં. ખોટી ધમકીઓથી ડરવાનું કશું કારણ નથી. તેમ ખટપટિયા કે સ્વાર્થી માણસોની સલાહ માની નકામું લંબાવી રાજ્યની ખુવારી કરી દુ:ખી થશો નહીં, તથા પ્રજાને નકામી દુ:ખી કરશો નહી. પછી તો આપની ઇચ્છા. ઈશ્વર આપનું ભલું કરો.

લિ.
વલ્લભભાઈના વંદેમાતરમ ”
 


ઉપરનો કાગળ મળ્યા પછી ઠાકોર સાહેબે સરદારને રાજકોટ આવવાનો સંદેશો મોકલાવ્યો તે ઉપરથી તા. રપ-૧૨-'૩૮ના રોજ બપોરે વિમાનમાં સરદાર રાજકોટ પહોંચ્યા. તરત જ તેમણે ઠાકોરસાહેબને નીચે પ્રમાણે ચિઠ્ઠી મોકલાવી :

“ શ્રી રાજકોટ ઠાકોરસાહેબ,

“હમણાં જ રાજકોટ આવ્યો છું, રાજકોટની પરિસ્થિતિથી વાકેફ થયો છું. મારી અને દીવાનસાહેબની વચ્ચે મુંબઈની અમારી મુલાકાત સંબંધમાં જે જાહેર ચર્ચા થઈ તે આપે છાપાંઓમાંથી જાણી હશે. આ બધી ગેરસમજ ઇરાદાપૂર્વ કે કેટલાક ખાસ હેતુઓથી કરવામાં આવી છે, એમ માનવાને સબળ કારણો છે. અને તેથી જ સમાધાની અટકી પડી છે એમ હું માનું છું. આપને મળવાથી આ ગેરસમજૂત દૂર થવાનો સંભવ છે, એમ આપને લાગતું હોય તો ખરી વસ્તુસ્થિતિ સમજાવવા માટે હું તૈયાર છું.

લિ.
વલ્લભભાઈના વંદેમાતરમ”
 


તરત જ ઠાકોરસાહેબે નીચે પ્રમાણે જવાબ લખ્યો :

અમરસિંહજી સેક્રેટેરિયેટ,
રાજકોટ રાજ્ય
૨૫ ડિસેમ્બર, ૧૯૩૮
 


પ્રિય સરદાર વલ્લભભાઈ,

તમારી ચિઠ્ઠી હુમણાં જ મળી તે માટે આભાર. આજે સાંજે ૫ વાગ્યે આવશો અને મારી સાથે ચા પીશો તો મને આનંદ થશે.