પૃષ્ઠ:Sardar Vallabhbhai Part II.pdf/૩૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૦
સરદાર વલ્લભભાઈ


રીતે પાર પાડ્યું, ગુજરાતમાં દારૂનાં પીઠાં ઉપર ચોકી ગોઠગાવવામાં બે પારસી બહેનો — શ્રીમતી મીઠુબહેન પિટીટ અને શ્રીમતી ખુરશેદબહેન નવરોજજી — આગેવાન હતાં એ પણ એક મોટો સુયોગ હતો.

તા. ર૬મી જૂને પોતાની સજા પૂરી કરીને સરદાર બહાર આવ્યા. એમણે ધાર્યું હતું તેમ તે વખતે વાતાવરણ ગરમાગરમ હતું. ગુજરાતમાં તો ભાગ્યે જ કોઈ આગેવાન કાર્યકર્તા બહાર હતો. બીજા પ્રાંતોમાં પણ મોટા ભાગના આગેવાનો સળિયા પાછળ પુરાઈ ગયેલા હતા. અમદાવાદમાં સરદારનું સ્વાગત કરવા જે જાહેર સભા થઈ તેમાં બોલતાં તેમણે કહ્યું :

“તમે મારી પાસે જેલખાનાની વાતો સાંભળવાની આશા જરૂર રાખી હશે. તેની તો તમને શી વાત કહું ? ત્યાં કાંઈ માથાં ફૂટતાં નહોતાં. ત્યાં કોઈ જાતનું દુ:ખ જણાતું નહોતું. જો કોઈ કહે કે જેલમાં દુ:ખ છે તો તમે તે માનશો નહીં. ત્યાં તો પરમ ચેન છે, ને તે વળી માત્ર રોજના ચાર પૈસામાં જ. એ ચાર પૈસાના ખર્ચ માં જેલમાં જેટલું સુખ મળે છે તેટલું બહાર નથી. કારણ કે આજે જ્યારે આપણી કૉંગ્રેસના પ્રમુખ જેલમાં પુરાયા છે, જ્યારે જગતના શ્રેષ્ઠ પુરુષ મહાત્મા ગાંધી યરવડાના કારાવાસમાં છે, ત્યારે જેલની બહાર રહીને આરામથી ધાન ખાવું એ ધૂળ ખાવા બરોબર છે. સો મણ રૂની તળાઈઓમાં સૂવું એ પણ ચિતા ઉપર સૂવા બરાબર છે. એટલે સાચું કહું છું કે જેલમાં જેટલું સુખ લાગે છે તેટલું બહાર નથી લાગતું.“

“આજની સ્થિતિ જોતાં મને અતિશય આશા બંધાય છે. તમારા બધાનો ઉત્સાહ જોઈ હું હર્ષઘેલો થઈ જાઉં છું. તમે હવે બતાવી દો કે આ ઉત્સાહ એ ક્ષણિક નથી, એ એક પળ માટે આવેલું પૂર નથી, પણ એક સમર્થ તપસ્વીની બાર વર્ષની પ્રખર તપશ્ચર્યાનું ફળ છે. આજે મને ઘણા સલાહ આપતા હતા કે મારે ભાષણ ન કરવું, મારે ફસાઈ ન જ પડવું. વળી કેટલાક કહેતા હતા કે મારે આજની સભામાં ન આવવું, કારણ તેમને ભય હતો કે મને આજે ને આજે જ પાછા પકડશે. પણ હું તો કહું છું કે મારા હાથની રેખામાં જેલની વાત જ નથી. જેલ જવાનું મેં જાણ્યું જ નથી. આ સરકારની જેલ એ તે કંઈ જેલખાનું છે? ખરું જેલખાનું તો માયાનું બંધન છે. આપણા આત્માને જે મોહ, માયા ને કામક્રોધનાં બંધન છે એ જ ખરું જેલખાનું છે. જે માણસે એ બંધન તોડ્યાં છે તે માણસને આ જગત પરનું બળવાનમાં બળવાન એવું કોઈ પણ સામ્રાજ્ય બંધનમાં રાખી શકવાનું નથી.”

પાંચેક દિવસ અમદાવાદ રહી તેઓ મુંબઈ ગયા. ત્યાં વર્તમાનપત્રોના પ્રતિનિધિઓએ તેમની મુલાકાત લેતાં, ગોળમેજી પરિષદમાં કૉંગ્રેસ કઈ શરતે ભાગ લઈ શકે એ વિષે પૂછ્યું. જવાબમાં સરદારે જણાવ્યું કે,

“એ સવાલ જ અત્યારે ઉપસ્થિત થતો નથી. કૉંગ્રેસના પ્રમુખને તો પકડ્યા જ છે. તે ઉપરાંત કામચલાઉ પ્રમુખને પણ ૫કડ્યા છે. વળી કૉંગ્રેસની કારોબારીને