પૃષ્ઠ:Sardar Vallabhbhai Part II.pdf/૩૬૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૩૫૮
સરદાર વલ્લભભાઈ

"મે આપેલાં નામો પ્રગટ થયાં એ ખોટું તો થયું, પણ ઘણાં માણસની સાથે જેમાં વહેવાર હોય તે વાત હંમેશાં ઢાંકી રહી શકતી નથી.

“વળી નામ પ્રગટ થયા છતાં સબળ કારણસર તેમાં કાઢઘાલ અવશ્ય થઈ શકે.

“ ભાયાતો અને મુસલમાનોનાં નામ વિષે તમે જે ભલામણ કરો છો તે મારાથી સ્વીકારી નથી શકાતી. તે સ્વીકારવા જતાં નામ આપવાની પાછળ જે વિચારસરણી રહી છે અને જે સમજી શકાય તેવી છે તે તૂટી પડે છે. આ કમિટી અમુક હેતુ પાર પાડવાને સારુ થઈ છે અને એ હેતુ તો અમુક પ્રકારના મત ધરાવતા હોય તેવા પણ પ્રામાણિક માણસોથી જ સિદ્ધ થઈ શકે. હું એટલી ખાતરી આપું છું કે જે સાત સભ્યોનાં નામ મેં સૂચવ્યાં છે તેઓ ભારતનાં અને બીજાઓનાં હિત નજરમાં રાખીને જ કામ કરશે. આથી વિશેષની આશા કઈ ન રાખી શકે.

“ કેટલાક સભ્યો રાજકેટની રૈચત ન હોવા વિશે તમે જે ઉલ્લેખ કર્યો છે તે દુ:ખદ છે. પણ તેમ કરવાનો તમને અધિકાર હતો. શ્રી ઢેબરભાઈ એ વ્યાખ્યામાં નથી જ આવતા એમ તમે ફરી વિચાર કરતાં નિર્ણચ કરશો તો એ નામ ખેંચી લેવા હું તૈયાર છું. જો શ્રી ઢેબરભાઈનું નામ કાઢવાનો આગ્રહ કાચમ રહે એને બદલે શ્રી ગજાનંદ જોષી વકીલનું નામ હું રચવું છું. શ્રી વજુભાઈ શુકલ તો એ વ્યાખ્યામાં આવે છે એમ મારો મત છે.

“ પ્રમુખ દસમાંથી ચૂંટાય એવો જ અર્થ નામદાર ઠાકોરસાહેબની જાહેરાતનો હોઈ શકે. અને એ પ્રમુખ દરબારશ્રી વીરાવાળા ન હોઈ શકે એ મારે કહેવું જોઈએ. એમણે તો મને કહેવડાવ્યું છે કે તેઓ પોતે કશો હોદ્દો લેવાના નથી. પણ કોઈ અકસ્માત થવા ન પામે એ માટે આટલું લખવું ઉચિત લાગ્યું છે.

“ મારે કહેવું જોઈએ કે કમિટીની નિમણુક થવામાં ઘણી ઢીલ થઈ છે. રિપોર્ટટ તો તા. ૩૧મી જાન્યુઆરી લગીમાં બહાર પાડવો જ રહ્યો. એટલે મારી આશા છે કે આ કાગળ પહોંચતાં તુરત કમિટી નિમાઈ જશે. પણ કમનસીબે કમિટી નહીંં નિમાય ને ઢીલ થયા જ કરશે તો લોકો તરફથી લડત ફરી થવાનો ભય છે. સાથે મારે જણાવવું જોઈએ કે ના. ઠાકોરસાહેબ અને સર પેટ્રિક કૅંડલની વચ્ચે થયેલા પત્રવ્યવહાર અને રેસિડેન્ટની સાથે તા. ર૮મી ડિસેમ્બરે થયેલી મુલાકાતની યાદી મારી પાસે છે. જો સમાધાની ભાંગી પડશે તો પ્રજાપક્ષના હિતને અર્થે એ કાગળિયાં ને એવાં જે બીજાં કાગળિયાં મારા કબ્જામાં છે તે પ્રગટ કરવાનો મારો ધર્મ થઈ પડશે, એમ મને ભાસે છે. પણ મારી ઉમેદ છે કે એવું કશું નહીંં કરવું પડે ને કમિટીની નિમણૂક તરત થશે ને બધું કામ નિયમસર ચાલુ થઈ જશે. તમારી તરફથી તારથી જવાબની આશા રાખું છું.

લિ. સેવક,
વલ્લભભાઈ પટેલ”