પૃષ્ઠ:Sardar Vallabhbhai Part II.pdf/૩૬૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૬૧
દેશી રાજ્યોમાં પ્રજાકીય લડતો — ૨
રાજ્યના રાહુ છે એમ જાણતાં સર પેટ્રિકે આવતાંવેંત એજન્સીની મદદથી એમને રાજ્યમાંથી હદપાર કર્યા. આ પછી દરબાર વીરાવાળા આવા દીવાનને સાંખે તેમ ન હતું. છતાં પોતે રાજ્યકર્તા કોમના છે એ ગુમાન રાખીને સર પેટ્રિક ન ચાલ્યા હોત તો તેમને કદાચ રાજકોટ છોડવા વખત ન આવત.
“દરબાર વીરાવાળાને દેશવટો મળ્યા છતાં બગસરા બેઠાં એણે રાજખટપટ ચાલુ રાખી. તેમના દીકરા ભોજવાળા અને ભત્રીજા વાલેરાવાળા તો હજુ રાજકોટ ઠાકોરસાહેબ પાસે જ છે. પોતે સમાધાન નહીં અટકાવી શકે એમ લાગતાં જ દરબાર વીરાવાળાએ મિત્રનો સ્વાંગ ધારણ કર્યો અને સમાધાનમાં મદદગાર બનવાનો દેખાવ કર્યો. સર પેટ્રિક રાજકોટ છોડવાની તૈયારીમાં હતા. તેવામાં દરબાર વીરાવાળા રાજકોટમાં પહોંચ્યા અને પોતાનાં કારસ્તાન શરૂ કર્યાં, જે હજુયે ચાલુ જ છે.
“સમાધાનની શરતો પ્રમાણે નીમવાની કમિટી મુજબ સાત સભ્યોનાં નામો લડતના સંચાલકો જોડે મસલત કરી પસંદ કરતાં અને સૂચવતાં મને થોડા દિવસ વીત્યા. તા. ૪–૧–’૩૯ના રોજ મેં સાત નામો મોકલી આપ્યાં.
“આ પછી સમિતિ નિમાયાની જાહેરાત વગર વિલંબે થવી જોઈતી હતી. પણ દિવસો વીત્યા, છતાં કશું થયું નહીં. દરમ્યાન તા. ૨૮મી ડિસેમ્બરે રેસિડેન્ટ તથા ઠાકોરસાહેબ અને તેમની કાઉન્સિલ વચ્ચે મંત્રણા થઈ. આ મંત્રણાની તે વેળાએ હાજર રહેલા એક જણે લીધેલી સત્તાવાર નોંધ મારી પાસે છે. (અગાઉ અપાઈ ચૂકી છે.)
“આ પ્રસંગે રેસિડેન્ટે કૉંગ્રેસ તથા મારે વિષે કાઢેલા ઉદ્‌ગારો વાંચવા લાયક છે. થયેલા સમાધાન વિશે તેમ જ કૉંગ્રેસ તથા મારે વિષે પોતાનો અણગમો વાતચીત દરમ્યાન રેસિડેન્ટ છુપાવી શક્યા નથી.
“એમ જણાય છે કે ઠાકોરસાહેબે પોતાની પ્રજાને આપેલી ખોળાધરીનો ભંગ કરવામાં રેસિડેન્ટ તથા દરબાર વીરાવાળા જ જવાબદાર છે. વળી, હાલમાં રાજ્ય તરફથી કાઢવામાં આવેલું જાહેરનામું પણ સમાધાનની રૂએ અગાઉ કાઢવામાં આવેલા જાહેરનામા જોડે સરખાવી જોવા જેવું છે. આ બીજી વારના જાહેરનામામાં મેં સૂચવેલાં સાત નામોમાંથી ચાર બાતલ કરવામાં આવ્યાં છે. સમિતિના કાર્યક્ષેત્રને પણ તે રદ કરે છે અને મોઘમ છે, જ્યારે અગાઉના જાહેરનામાની ભાષા અસંદિગ્ધ અને ચોક્કસ હતી. અગાઉના જાહેરનામામાં એમ કહેવામાં આવ્યું હતું કે સમિતિનો રિપોર્ટ તા. ૩૧મી જાન્યુઆરી પહેલાં બહાર પડશે અને ઠાકોરસાહેબ તરફથી તેનો અમલ થશે. જ્યારે હાલના જાહેરનામામાં સમિતિનો રિપોર્ટ બહાર પાડવાની બાબતમાં કશી મુદત ઠરાવવામાં આવી નથી.
“આ છેલ્લા જાહેરનામા અગાઉ રા. સા. માણેકલાલ પટેલ તરફથી મને એક કાગળ મળેલો. નોંધ લેવા જોગ બીના એ છે કે, આ કાગળમાં મારાં સૂચવેલાં સાત નામોમાંથી ચાર કબૂલ રાખવામાં આવ્યાં છે. જ્યારે છેલ્લા જાહેરનામામાં એ ચારમાંથી પણ એક નામ વળી પાછું કમી કરવામાં આવ્યું છે, અને ત્રણ જ બાકી રહ્યાં છે.