પૃષ્ઠ:Sardar Vallabhbhai Part II.pdf/૩૭૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૬૨
સરદાર વલ્લભભાઈ


“દરબાર વીરાવાળાના ઠાકોરસાહેબ ઉપરના પ્રભાવ વિષે અને એમની ખટપટો વિષે મેં એટલું બધું સાંભળ્યું હતું કે શ્રી માણેકલાલ પટેલના જવાબમાં મારે લખવું પડ્યું હતું કે દરબાર વીરાવાળા કોઈ વાતે કમિટી ઉપર ન જ નિમાઈ શકે. મારે ક્યાંયે બહાનુંબાકોરું રહેવા દેવું નહોતું.
“પ્રતિજ્ઞાપૂર્વક કરેલા સમાધાનના રાજ્ય તરફથી થયેલા આ ભંગ પછી રાજકોટ રાજ્યની પ્રજાને માટે એક જ માર્ગ ખુલ્લો રહે છે, —સ્વેચ્છાપૂર્વકના કષ્ટસહન અને આત્મબલિદાનનો માર્ગ ફરી એક વાર ગ્રહણ કરીને પોતાની આઝાદી સ્થાપિત કરવાનો અને રાજકોટ રાજ્યને તથા ઠાકોરસાહેબને પૂરી પાયમાલીમાંથી ઉગારી લેવાનો. આ કષ્ટને માર્ગે ફરી પગલાં માંડવા હું પ્રજાને હાકલ કરું છું. આકરામાં આકરી અગ્નિપરીક્ષાની આગાહી કરવી અને તેને સારુ તૈયારી રાખવી એ ડહાપણનો માર્ગ છે. પ્રજાને વધુમાં વધુ રંજાડવાને સારુ ત્રાસ વર્તાવવામાં અને કાઠિયાવાડમાં અજાણી નથી એવી શારીરિક જુલમની ભૂંડામાં ભૂંડી રીત અખત્યાર કરવામાં છેવટની હદ સુધીના પ્રયત્નો કરવામાં આવશે. એ જ પ્રમાણે અંદરઅંદરના કોમી અને બીજા કજિયા ઊભા કરાવવાની કોશિશ થશે. તાજેતરમાં મુસલમાનભાઈઓને ઉશ્કેરીને તેમની મારફત બનાવટી કોમી આંદોલન ઊભું કરવાના જે પ્રયત્નો થયા છે તે આપણે માટે દાખલારૂપ છે. આપણે આપણી વર્તણૂકથી દેખાડી આપવું રહ્યું છે કે, પ્રજાકીય અંકુશ હેઠળ સ્થાયી રાજ્યતંત્ર સ્થપાય તેમાં બીજા સૌ કોઈના જેટલો જ મુસલમાનોનો લાભ સમાયેલો છે.
“અંધેર કારભાર અને લાંચરુશવતખોરીથી રાજકોટની તિજોરીનું તળિયું આવ્યું છે. આપસના ઝઘડા જો ચાલવાના જ હશે તો આપણી લડત લંબાશે. પણ જો તમામ આમ પ્રજા સમજી જાય, સંગઠિત થાય, ગમે તેટલાં અને લાંબા સમય દુઃખો ખમવાની તાકાત દેખાડી આપે, અને માલમતાની નુકસાની છતાં અહિંસક અસહકાર ચલાવ્યે જવાની શક્તિ બતાવે, તો તે કદી હારવાની નથી.
“વિદ્યાર્થીઓ કાયદાના સવિનય ભંગમાં અને હડતાલોમાં કોઈ વાતે ન ભળે. જો તેમનામાં શ્રદ્ધા હોય તો તેઓ રચનાત્મક કામ ઉપાડી લે. તેઓ ઘેર ઘેર ફરીને જુલમમાં સપડાયેલાઓને રાહત આપવાનાં કામ કરે. લડત ચાલતી જશે તેમ તેમ પ્રજાને અનિવાર્ય પણે અનેક કષ્ટો વેઠવાનાં આવશે.
“મન, વાચા અને કર્મથી અહિંસા જળવવાની છે. સાથીઓ જોડે તેટલી જ વિરોધીઓ અને તટસ્થ જોડે, જેલોમાં તેમ જ બહાર, બધે જ જાળવવાની છે. આપણું અહિંસાપાલન એ આપણા વિજયની પરાશીશી હશે.
“આપણી શ્રદ્ધા એવી હોવી જોઈએ કે આપણી અહિંસા અને પ્રજાથી વિમુખ થઈ બેઠેલા ઠાકોરસાહેબને પ્રજાના સામું જોવા પ્રેર્યા વિના નહીં રહે. આજે તો રાજા નામના જ રાજા છે. જુવાન રાજા પ્રજા જોડે પવિત્ર પ્રતિજ્ઞાથી બંધાય અને પછી ફરી જઈને વચનભંગ કરે એ વાત નાના મોટા દરેક પ્રજાજનને ખટકવી જોઈએ.
“દરબાર વીરાવાળાને માટે દેખીતી રીતે મેં કડવી વાતો કહી છે. સત્ય ઘણી વાર કડવું અને તીખું હોય છે. એમને વિષે જે વાતની મને ગળા સુધી