પૃષ્ઠ:Sardar Vallabhbhai Part II.pdf/૩૭૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૬૭
દેશી રાજ્યોમાં પ્રજાકીય લડતો — ૨
થાય એવો રસ્તો છે. બાને એટલી પીડા થતી લાગે છે કે અત્યારે આઠ વાગ્યા છે તોયે દાતણ કર્યા વગર પડી રહ્યાં છે. હમણાં જ કાંઈ આંખ મળી લાગે છે.”

તા. ૭–ર–૩૯ના કાગળમાં લખે છે :

“જોવા આવનાર બંને અમલદારોને મેં તો સારી પેઠે કહ્યું છે કે તમે બાને અહીં વગડામાં લાવીને નાખ્યાં છે તેમાં ભારે જોખમ ખેડી રહ્યા છો. હું તમને અગાઉથી ચેતવી દઉં છું.”

દેવદાસભાઈ એક વખત બાને મળવા આવ્યા. તેમણે ત્યાંની હાલતનો રિપોર્ટ બહાર આપ્યો હશે તે ઉપરથી એક દાક્તર બાને તપાસવા આવ્યા અને તેમની સારવારમાં એક નર્સને મૂકવામાં આવી (તા. ૯–૨–’૩૯). દાક્તરે મણિબહેનને કહ્યું કે તમને સ્ટેટ જેલમાં કેદી તરીકે રાખવાનાં છે. અને મારી સાથે તમને લેતા જવાનો મને હુકમ છે.

મણિબહેન લખે છે :

“મને કેદી ગણવામાં આવી એટલે દાક્તર સાથે ગયા વિના મારે છૂટકો નહોતો. ચાર વાગ્યે રાજકોટની સ્ટેટ જેલમાં પહોંચી. સાંજે મેં કાંઈ ખાધું નહીંં. બીજે દિવસે સવારે ખાવાનું આવ્યું ત્યારે પણ એ ખાવાની ના પાડી. મેં કહ્યું કે બાને આવી રીતે એકલાં રાખો ત્યાં સુધી હું ખાવાની નથી. કોઈ પણ બીજી બહેન, જેને બા ઓળખતાં હોય તેને એમની પાસે રાખવાં જોઈએ. જેલરે મને બહુ સમજાવી. તેમણે કહ્યું કે કાઉન્સિલના સભાસદોને વાત કરીશું અને એક બે દિવસમાં બધી વ્યવસ્થા થઈ જશે. બીજે દિવસે સવારે જેલરે મને કહ્યું કે તમે નથી ખાતાં એ વાત કેદીઓમાં પહોંચી ગઈ છે અને તમે અત્યારે પચાસ માણસને ભૂખે મારો છે. પછી ઢેબરભાઈને મારી પાસે લાવવામાં આવ્યા. તેઓ માંદા હતા. તેમને મેં ખાવાનું કહ્યું પણ એમણે ના પાડી. તેમણે કહ્યું કે બે ખેડૂતો માંદા છે તેમને હું ખવડાવીશ. હું તો મારા નિશ્ચયમાં મક્કમ રહી. રાતે નવ વાગ્યે દાક્તરે આવીને કહ્યું કે આવતી કાલે સવારે આઠ વાગ્યે તૈયાર થઈ રહેજો. તમને બા પાસે હું લઈ જવાનો છું. ત્યાંથી તમને બંનેને બીજી જગ્યાએ ખસેડવામાં આવશે. બીજે દિવસે સવારે આઠ વાગ્યે દાક્તર સાથે મોટરમાં મને સણોસરા લઈ જવામાં આવી. ત્યાંથી બાને અને મને ત્રંબાના ગેસ્ટ હાઉસમાં પહોંચાડ્યાં. આગલે દિવસે મૃદુલાબહેન પકડાયાં હતાં. તેમને લઈને વાલેરાવાળા ત્રણેક વાગ્યે ત્રંબા આવ્યા.
“તા. ૧૪મીએ સાંજે પાંચ વાગ્યે કાઉન્સિલના ફર્સ્ટ મેમ્બર ફત્તેહમહમદખાન ઠાકોર સાહેબનો લેખી સંદેશો લઈને આવ્યા. તેમાં લખ્યું હતું કે બાપુજીની તબિયત બહુ ખરાબ છે એવું અમારા જાણવામાં આવ્યું છે, માટે આપ ઇચ્છો તો અત્યારે સાડા સાતની ટ્રેનમાં તમને વર્ધા પહોંચાડવાનું કરીએ. અમે મસલત કરીને ટેલિફોન કરવાનું ઠરાવ્યું. ફત્તેહમહમદખાનની સાથે બા અને હું પબ્લિક ટેલિફોન ઉપર ગયાં. વર્ધાના ટેલિફોન ઉપર પ્યારેલાલજી જ મળી ગયા. તેમણે કહ્યું કે બાપુજી તો સેવાગ્રામ છે, પણ તેમની તબિયત તદ્દન સારી છે. આમ અમે ત્રણ જણ ત્રંબામાં રહ્યાં. ત્યાં સગવડ સારી હતી.”