પૃષ્ઠ:Sardar Vallabhbhai Part II.pdf/૩૭૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૭૦
સરદાર વલ્લભભાઈ
રાજકોટનો મિત્ર હોવાનો દાવો કરનાર આ બુઢ્ઢા ડોસાની વાત ઉપર તમે ધ્યાન આપશો.”

તા. ૨૩મીએ કાઉન્સિલના પહેલા સભ્યે ઉપરના તારનો નીચે પ્રમાણે જવાબ આપ્યો :

“સરધારના કેદીઓ પ્રત્યે ખરાબ વર્તાવના આક્ષેપોમાં રજ પણ તથ્ય નથી. આખી વાત તદ્દન બનાવટી છે. રોજનો ખોરાક, બિસ્તરા વગેરેની સગવડ લગભગ રાજકોટની જેલ પ્રમાણે જ ગોઠવવામાં આવેલી છે. ત્યાંના ઉપવાસ ઉપર ઊતરેલા કેદીઓને એ પ્રમાણે મેં લેખી ખબર આપેલી છે. તેમ છતાં તેઓ ખોટી રીતે ઉપવાસ ચાલુ રાખે છે. તમને ખાતરી આપું છું કે તેમના પ્રત્યે સારું વર્તન ચલાવવાને માણસથી શક્ય હોય તે બધું કરવામાં આવે છે. કૃપા કરીને કશી ચિંતા કરશો નહીં.”

ગાંધીજીએ તા. ર૪મીએ નીચે પ્રમાણે તાર કર્યો :

“મને મળેલા બધા હેવાલો બનાવટી જ હોય તો એ મારે માટે અને મારા સાથીઓ માટે બહુ ગંભીર બીના છે. જો એ હેવાલમાં વજૂદ હોય તો રાજના અમલદારો ઉપર એ ગંભીર ટીકા રૂપ છે. દરમ્યાન ઉપવાસ તો ચાલુ જ છે. મારી ચિંંતા અસહ્ય થતી જાય છે. એટલે આવતી કાલે રાત્રે સાથે એક પરિચારક દાક્તર, સેક્રેટરી અને ટાઇપિસ્ટને લઇને હું રાજકોટ આવવા નીકળું છું. હું ત્યાં સત્યશોધક તરીકે અને સુલેહ કરનાર તરીકે આવું છું. જેલ વહોરવાની મારી ઇચ્છા નથી. બધી હકીકત હું નજરે જોવા આવું છું. મારા સાથીઓ જો બનાવટી વાત ઊભી કર્યાના અપરાધી માલૂમ પડશે તો તે માટે હું પૂરતું પ્રાયશ્ચિત્ત કરીશ. લોકો પ્રત્યે જે વિશ્વાસઘાત થયો છે તે સુધારી લેવાને પણ હું ઠાકોરસાહેબને સમજાવીશ. કોઈ પણ જાતના દેખાવો ન કરવાની હું લોકોને વિનંતી કરું છું. સરદાર પટેલને પણ હું લખું છું કે રાજકોટમાં મારા પ્રયત્નો ચાલુ રહે ત્યાં સુધી રાજકોટના લોકોનો તેમ જ બહારથી આવનારાઓનો સત્યાગ્રહ બંધ રાખે. દરમ્યાન કોઈ પણ રીતે ઠાકોરસાહેબ અને કાઉન્સિલ, કમિટીનાં નામોમાં ફેરફાર કરવા પૂરતો અપવાદ રાખી, થયેલી સંધિ પૂરેપૂરી અમલમાં મૂકવા તૈયાર થાય, કેદીઓને તરત જ છોડી મૂકવામાં આવે, કરવામાં આવેલા દંડ માફ કરવામાં આવે અને વસૂલ થયેલા પાછા આપવામાં આવે તો સ્વાભાવિક રીતે મારું ત્યાં આવવાનું હું બંધ રાખીશ. સભ્યોનાં નામો વિષે વાટાઘાટ કરવાની પૂરી સત્તા સાથે કોઈ અમલદારને અહીં મોકલી શકો છો. સરદાર પટેલનાં નામોની બહુમતી રહે એ એક જ શરત રહેશે. ભગવાન ઠાકોરસાહેબ અને તેના કાઉન્સિલરોને સન્માર્ગે દોરે. આનો જવાબ તાકીદના તારથી મળવાની હું આશા રાખું ?”

તે જ દિવસે કાઉન્સિલના ફર્સ્ટ મેમ્બરે નીચે પ્રમાણે તારથી જવાબ આપ્યો :

“તમે તાર કર્યા પછી તમને ખબર મળી હશે કે, ગઈ કાલે રાત્રે ઉપવાસ છોડી દેવામાં આવ્યા છે. નાનાલાલ જસાણી તથા મોહનલાલ ગઢડાવાળાએ તમને