પૃષ્ઠ:Sardar Vallabhbhai Part II.pdf/૩૮૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૭૫
દેશી રાજ્યોમાં પ્રજાકીય લડતો — ૨


“ મહેરબાન ઠાકોરસાહેબ,
“આ કાગળ લખતાં સંકોચ થાય છે. પણ ધર્મ થઈ પડ્યો છે.
“મારું અહીં આવવાનું કારણ આપ જાણો છે. ત્રણ દિવસ દરબાર વીરાવાળા સાથે વાતો થઈ. એમનાથી મને ભારે અસંતોષ થયો છે. એકેય વાત પર કાયમ રહેવાની શક્તિ એ ધરાવતા નથી, એવો આ ત્રણ દિવસના પરિચચ પરથી બંધાયેલા મારો અભિપ્રાય છે. મને લાગે છે કે એમની દોરવણીથી રાજ્યનું અહિત થાય છે.
“હવે આ કાગળના હેતુ ઉપર આવું. વર્ધા છોડતાં મેં એ નિશ્ચય કર્યો હતો કે આપે કરેલી પ્રતિજ્ઞાનું પાલન કરાવ્યા વિના હું રાજકોટ નહીં છોડું. પણ મારે અહીં એકબે દિવસ કરતાં વધારે રહેવું પડશે અથવા મારી ઉપર જે વીતી છે એ વીતશે એમ મેં નહોતું ધાર્યું.
“હવે મારી ધીરજ ખૂટી છે. જો બની શકે તો મારે ત્રિપુરી જવું જોઈએ. હું ન જાઉં તો હજારો કાર્યકર્તાઓ નિરાશ થાય અને લાખો દરિદ્રનારાયણ વ્યાકુળ બને. એટલે આ વેળા મારે સારુ વખતની બહુ કિંમત છે.
“તેથી આપને વીનવું છે કે, આપ નીચેની સૂચનાનો હૃદયપૂર્વક સ્વીકાર કરી મને ચિંતામુક્ત કરો અને અહીંથી કાલે વિદાય કરો.
“૧. નં. ૫૦. ૨૬–૧૨–’૩૮ના ગૅઝેટમાં આપની જાહેરાત છે તે કાયમ છે એમ ફરીથી પ્રજાની આગળ જાહેર કરો.
“૨. આપના નં. ૬૧ તા. ૨૧–૧–’૩૯ના ગેઝેટની જાહેરાત રદ કરો.
“૩. સુધારાસમિતિનાં સાત નામ આપે જાહેર કર્યા છે. તેમાંનાં ૨, ૩, ૫ અને ૭ રહેવા દઈને રાજકોટ પ્રજાપરિષદ વતી બીજાં નીચેનાં નામોનો સ્વીકાર કરો :
૧. શ્રી ઉછરંગરાય ન. ઢેબર
૨. શ્રી પોપટલાલ પુ. અનડા
૩. શ્રી વ્રજલાલ મ. શુક્લ
૪. શ્રી જેઠાલાલ હ. જોશી
૫. શ્રી સૌભાગ્યચંદ વી. મોદી
“આ સૂચનાના ગર્ભમાં હેતુ એ છે કે રાજકોટ પ્રજાપરિષદની બહુમતી રહે. મજકૂર નવમાંથી શ્રી ઉછરંગરાય ઢેબરને પ્રમુખ નીમો.

[રહેવા દીધેલાં નામો]

૨. જાડેજા જીવણસિંહજી ધીરુભા
૩. શેઠ દાદા હાજી વલીમહંમદ
૫. મિ. મોહનલાલ એમ. ટાંક અને
૭. શેઠ હાતુભાઈ અબદુલઅલી
“૪. ત્રણ અથવા ઓછા અધિકારીઓ જેને પરિષદની વતી હું પસંદ કરી શકું એને સમિતિના મદદનીશ અને સલાહકાર નીમો. તેમને સમિતિના કામમાં મત આપવાનો અધિકાર ન હોય.