પૃષ્ઠ:Sardar Vallabhbhai Part II.pdf/૩૮૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૭૬
સરદાર વલ્લભભાઈ


“ ૫. આપ હુકમ કાઢો કે સમિતિને કાગળો, આંકડાઓ વગેરે જે જે સામગ્રી તથા મદદ જોઈએ, તે સ્ટેટના તે તે ખાતાના અધિકારીઓ આપે. સમિતિને સારુ દરબારગઢમાં બેઠક કરવાની યોગ્ય જગ્યા આપ મુકરર કરો.
“ ૬. મારી સલાહ છે કે ઉપરની કલમ ચોથીની રૂએ આપ જેને સલાહકાર નીમો તેને જ આપનું કારભારી મંડળ બનાવો, અને તેની ઉપર આપની તા. ૨૬મી ડિસેમ્બરની જાહેરાતના હેતુને અનુસરતા કારભાર ચલાવવાનો તેમ જ એ જાહેરાતના હેતુને વિઘાતક એવું કોઈ પણ પગલું ન ભરવાનો ભાર મૂકો. આ સલાહકારમાંના એકને તે મંડળના પ્રમુખ નીમો ને તે મંડળ જે નિવેદનો, હુકમો વગેરે કાઢે તેમાં આપ વગર સંકોચે સહી કરશો એવું જાહેર કરો. જો સમિતિના સલાહકારને કારભારી મંડળ બનાવવાનું આપ પસંદ ન કરો તો જે કારભારી મંડળ નીમો તે પણ મારી સાથે મસલત કરીને નીમો.
“ ૭. સમિતિ પોતાનું કામ તા. ૭–૩–’૩૯ને રાજ શરૂ કરે ને તા. ૨૨-૩-’૩૯ને રોજ પૂરું કરે.
“ ૮. સમિતિની ભલામણનો અમલ, તેનું નિવેદન આપના હાથમાં આવે ત્યાર પછી સાત દિવસની અંદર કરવાનું જાહેર કરો.
“આવતી કાલે સત્યાગ્રહી કેદીઓને છોડી મૂકો. તેઓના ઉપર થયેલા દંડ, જપ્તીઓ વગેરે માફ કરો. તેમ જ વસૂલ કર્યા હોય તે પાછા આપો.
“મિ. ગિબ્સન સાથે વાત કરતાં તેમણે જણાવ્યું છે કે તા. ૨૬ મી ડિસેમ્બરની જાહેરાતને લગતું આપ જે કઈ કરશો તેમાં તે વચ્ચે નહીં આવે.
“જો આપ મારી આટલી વિનંતી આવતી કાલ બપોરના બાર વાગ્યા પહેલાં કબૂલ નહીં કરો તો તે વખતથી મારા ઉપવાસ શરૂ થશે, અને તે કબૂલ કરો ત્યાં સુધી ચાલુ રહેશે.
“આપ મારી ભાષાને કડક નહીં માનો એવી આશા રાખું છું. જો કડક હોય તો આપના પ્રત્યે કડક ભાષા વાપરવાનો ને કડક થવાનો મને અધિકાર છે. આપના પિતામહનું મારા પિતાશ્રીએ લૂણ ખાધું હતું. આપના પિતાશ્રી મને પોતાના પિતા તુલ્ય માનતા. મને તો તેમણે જાહેરમાં ગુરુપદ આપ્યું હતું. હું કોઈનો ગુરુ નથી એટલે મેં એમને શિષ્યરૂપે માન્યા ન હતા. હું આપને પુત્રવત માનું છું. આપ મને પિતાતુલ્ય ન ગણો એ બને. જો મને પિતાતુલ્ય ગણો તો મારી વિનંતીને આપ ક્ષણમાં સહેજે સ્વીકાર કરો ને ૨૬મી ડિસેમ્બર પછી પ્રજા ઉપર વીતી છે તેનું દુઃખ જાહેર કરો.
“મને સ્વપ્ને પણ આપનો કે રાજ્યનો દુશ્મન ન ગણશો. હું કોઈનો દુશ્મન ન થાઉં. જિંદગીભરમાં થયો નથી. મારો દૃઢ વિશ્વાસ છે કે મારી વિનંતીના હાર્દિક સ્વીકારમાં આ૫નું હિત છે, ભૂષણ છે, આપનો ધર્મ છે.
“આપને એમ લાગશે કે મારી સૂચનાઓમાંની કોઈ મેં તા. ૨૬મી ડિસેમ્બરના નિવેદનની બહાર જઈને કરી છે. ઉપર ટપકે વિચારતાં એમ કહી શકાય. આપ જોશો કે પરિષદની બહારના સભ્યોને સ્વીકાર કરવામાં મેં આપના સ્વમાનનો જ ખ્યાલ રાખ્યો છે. એટલે એ તો રાજ્યપક્ષની જ વસ્તુ થઈ. બીજી