પૃષ્ઠ:Sardar Vallabhbhai Part II.pdf/૩૮૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૭૯
દેશી રાજ્યોમાં પ્રજાકીય લડતો — ૨

હવે સવિનય ભંગ ફરીથી શરૂ થવાનો નથી. વળી મારા અનશનની ખબર કેદીઓને કોઈ પણ રીતે પહોંચવાની જ. એટલે કદાચ તેઓ પણ ઉપવાસ આદરી બેસે. અને જેલમાં હોય ત્યાં સુધી તેમને રોકી કે સમજાવી કેમ શકાય ?”

પ્રથમ સભ્યે પૂછ્યું : “પણ તમારે ઉપવાસ કરવા જ જોઈએ ? બીજો કંઈ રસ્તો નથી ? તમે ઉપવાસ કરો તે કરતાં તો ગમે તેટલો સવિનય ભંગ થાય તેને હું વધુ પસંદ કરું.”

ગાંધીજી કહે : “એ હું જાણું છું. પણ આ અવસ્થાએ આવડી અંતર ખોજ પછી ખુદાને નામે લીધેલા ઉપવાસનો નિર્ણય ફેરવવાનું મન કરું તો તો સિત્તેર વર્ષનું જીવ્યું ફોગટ થાય ને ? બીજો કોઈ માર્ગ ન રહ્યો ત્યારે તો આ નિર્ણય કરવો પડ્યો છે.”

પછી ઠાકોરસાહેબના કાગળનો તેમણે જવાબ લખાવ્યો :

“મે. ઠાકોરસાહેબ,
“તમારો પત્ર વાંચી દુઃખ થયું. વચનની તમને કશી કિંમત હોય તેમ લાગતું નથી. તમારું વર્તન તો કોક મોટા દાનનું વચન આપીને એ વચનનો ભંગ કરનાર માણસ જેવું છે. તા. ૨૬–૧૨–’૩૮ની જાહેરાતથી તમે પ્રજાને કેટલું વિશાળ દાન કર્યું હતું ? ઉદારતા એ રાજવંશી ખવાસનું એક લક્ષણ છે, અને આભૂષણ પણ છે.
“એ જાહેરાતથી તમે એક ઉદાર દાન જાહેર કર્યું હતું. સુધારા સમિતિના સભ્યોનાં નામની પસંદગી કરવાનો હક જતો કરવાનો તેમાં પ્રધાન સૂર છે. અને આપણા કિસ્સામાં તો તમે સરદારને પરિષદના પ્રતિનિધિ તરીકે એક ખાસ પત્ર લખીને એ હક આપી દીધો છે. આજનો તમારો પત્ર એ દાન રદ કરે છે. હું તો એમ માનું છું કે, ગઈ કાલના મારા પત્રમાં મેં જણાવેલી શરતોનો સ્વીકાર વચનપાલન માટે જરૂરી છે. ઈશ્વર તમને એ સ્વીકારવાની સદ્દબુદ્ધિ આપે.
“ખાનસાહેબ દ્વારા આજે મેં તમારા ઉપર એક સૂચના પાઠવી છે. એનો અમલ કરવા યોગ્ય છે. અત્યારે સત્યાગ્રહ મોકૂફ રહેલો હોવાથી સત્યાગ્રહી કેદીઓને મુક્ત કરવાનો તમારો ધર્મ છે.
મોહનદાસના આશીર્વાદ”
 

તા. ૪થીએ મળસકે ગાંધીજી ખૂબ તાજા ઊઠ્યા. ઊઠીને મિ. ગિબ્સન ઉપર નીચે પ્રમાણે કાગળ લખાવ્યો, જે ના. વાઈસરૉયને તારથી મોકલવાનું જણાવ્યું :

“૪–૩–’૩૯
 
“પ્રિય મિ. ગિબ્સન,
“આજે સવારે વહેલો ઊઠીને તમને જે લખું છું તે પ્રેસને લખી મોકલવાનો વિચાર આવેલો. પછી વિચાર આવ્યો કે તેનો મજકૂર ના. વાઈસરૉચને તારથી મોકલવો. છેવટે સાચો માર્ગ મને સૂઝ્યો કે મારા વિચારો તમને લખી જણાવવા