પૃષ્ઠ:Sardar Vallabhbhai Part II.pdf/૩૮૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૮૦
સરદાર વલ્લભભાઈ
અને તેના ઉપર તમારે જે કઈ ટીકા કરવી હોય તે સાથે ના. વાઈસરૉયને તારથી મોકલી આપવાની તમને વિનંતી કરવી.
“મને લાગે છે કે ઠાકોરસાહેબને જવાબદાર અને વિચારવાન રાજા તરીકે ગણવામાં હું અથવા તો મને કહેવા દો કે આપણે બધા એક ઢોંગ ચલાવી રહ્યા છીએ. આ વસ્તુ મારી સુચનાઓવાળો કાગળ મેં તમને પરમ દિવસે લખ્યો ત્યારે જ મને જણાઈ હતી. મને ખબર નથી કે મારો કાગળ તેમને વાંચવા દેવામાં આવ્યો હશે કે કેમ ? અને વાંચવા દેવામાં આવ્યો હોય તો પણ તેને પૂરો અર્થ તેઓ સમજી શક્યા હશે કે કેમ ? હું આશા રાખતો હતો કે મારા પોતાના તેમ જ મારા બાપદાદાના, ઠાકોરસાહેબના પિતા તથા પિતામહ સાથેના સંબંધને લીધે તેમનામાં પોતાની ફરજનું ભાન હું જાગ્રત કરાવી શકીશ. પણ રાજકોટના ખરા રાજા દરબાર વીરાવાળા છે. ઠાકોરસાહેબ ઉપરના મારા કાગળમાં મેં જણાવ્યું છે કે તેઓ બિલકુલ ભરોસાપાત્ર નથી. તેમને ઠાકોરસાહેબનું પહેલું જાહેરનામું ગમતું નથી. તેમનું ચાલે તો સુધારા સમિતિ ઉપર પોતાનાં નામની બહુમતી કરી દઈ તેને રદ કરાવે. હાલ રાજ્યમાં તેઓ કશો હોદ્દો ધરાવતા નથી. છતાં તેની મરજી એ છેવટનો કાયદો છે. તેઓ લેખી હુકમો પણ આપે છે. દરબારગઢમાં પોતાના ભત્રીજાને તેમણે રાખેલા છે. તે એકલા જ ઠાકોરસાહેબ પાસે કોઈ પણ વખતે જઈ શકે છે. તમે જાણો છો કે સર પેટ્રિક કૅંડલનો તેમના (દ. વીરાવાળા) ઉપર જરા પણ વિશ્વાસ નહોતો અને તેમણે રાજકોટમાં રહેવાની અથવા તો ઠાકોરસાહેબ સાથે કશો સંબંધ રાખવાની તેમને મના કરી હતી. તેમ છતાં પહેલી લડત દરમ્યાન તેઓ રાજકોટમાં દાખલ થયા તે માટે કર્નલ ડેલીને તેમને ઊધડા લેવા પડ્યા હતા. આજે રાજકોટમાં જેવું અંઘેર ચાલી રહ્યું છે તેનો નમૂનો મને જડતો નથી. મને ચોકસ લાગે છે કે આ કેસ એવો છે, જેમાં ઠાકોરસાહેબના વચનનું પાલન કરાવવાને માટે ચક્રવર્તી સત્તાએ તત્કાળ વચ્ચે પડવું જોઈએ.
“સુધારા સમિતિ ઉપર જે બિનઅમલદારોનાં નામ સરદાર પટેલ સૂચવે તેની નિમણૂક ઠાકરસાહેબે કરવી જોઈએ. એ ૨૬મી ડિસેમ્બરની કારવાઈનું એક અંગ છે. ઠાકોરસાહેબ ઉપરના ગઈ કાલના કાગળમાં મેં જણાવ્યું છે કે આવી કોઈ જાતની કાળજી ન રાખવામાં આવે તો એ જાહેરાતને સહેલાઈથી નિરર્થક બનાવી શકાય એમ છે. આ સાથે હું ઠાકોરસાહેબના કાગળની અને તેમને મેં આપેલા જવાબના તરજુમાની નકલ આપને મોકલી આપું છું.

તમારો
મો. ક. ગાંધી”

 


તે દિવસે બપોરે મિસ ઍગેથા હેરિસન રાજકોટ આવી પહોંચ્યાં. પોતે કેટલા નાછુટકે ઉપવાસ આદર્યા હતા તે એમને સમજાવતાં ગાંધીજીએ જણાવ્યું કે, “સાચે જ મારે માથે આ અનશન આવી પડ્યું છે. ઉપવાસથી હું સાવ થાકી ગયેલો છું. મારા ઉપવાસોમાં હંમેશાં આવતી મોળ અને બેચેનીની કલ્પના આવતાં જ હું કમકમી ઊઠું છું.”