પૃષ્ઠ:Sardar Vallabhbhai Part II.pdf/૩૯૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૮૩
દેશી રાજ્યોમાં પ્રજાકીય લડતો — ૨

“છેક નજીવી બાબતમાં મારે અકળાવું પડે, દાક્તરની સામે થઈને વખત આપવો પડે ને આપને તકલીફ આપવી પડે એ મારે સારુ દુઃખદ પ્રકરણ છે. આવો અનુભવ જિંદગીમાં પહેલવહેલો, જેને મારું પોતાનું ઘર ગણું છું ત્યાં થાય છે ”

પછી સાંજના સાડા સાત વાગ્યે બાને ત્રંબા પાછાં મોકલ્યાં.

તા. ૬ઠ્ઠીએ સત્તાવાળાઓએ ત્રણેને બિનશરતે છોડી મૂકીને પ્રશ્નનો નિકાલ આણ્યો.

તા. ૫મીએ સરદારે ત્રિપુરીથી છાપાંજોગું નિવેદન બહાર પાડ્યું :

“રાજકોટના ઠાકોરસાહેબ અને ત્યાંની પ્રજો વચ્ચે થયેલા પવિત્ર કરારનું પાલન કરાવવાના નૈતિક પ્રશ્નને અંગે ગાંધીજીએ ઉપવાસ આદર્યા છે. એ પ્રશ્નમાં સુધારા સમિતિ પર પ્રજાના પ્રતિનિધિઓની બહુમતી હોવાના હકનો સમાવેશ થાય છે. કરારની શરતો જેમાં આપેલી છે, એ મહત્ત્વના કાગળના બે અર્થ થઈ શકે છે, એવું ‘ટાઇમ્સ ઑફ ઇન્ડિયા’એ પોતાના અગ્રલેખમાં લખ્યું છે, એ જોઇને મને ખેદ થાય છે. એ કાગળની ભાષા સ્પષ્ટ અને અસંદિગ્ધ છે. ઠાકોરસાહેબની અને મારી વચ્ચે થયેલી વાટાઘાટ દરમ્યાન સમિતિમાં પ્રજાની બહુમતી હોવી જોઈએ એ વિષે કશી શંકા કે વાદવિવાદ ઊભા થયા જ ન હતા. ઊલટું ઠાકોરસાહેબે તા. ૨૬મી ડિસેમ્બરે જે કરાર પર સહી કરી તેનો પાયો જ આ મુદ્દા પર રચાયો હતો. એવું આ લાંબી વાટાઘાટોના ઇતિહાસ પરથી જણાઈ આવે એમ છે.
“ગયા નવેમ્બરમાં ગાંધીજી પાસે સમાધાની કરી આપવાની વાત લઈ જવામાં આવી ત્યારે તેમણે સમાધાનીની શરતોનો મુસદ્દો તૈયાર કર્યો હતો. તેમાં એવી શરત મૂકેલી હતી કે પ્રજાપરિષદના પ્રતિનિધિઓની બહુમતી હોવી જોઈએ અને એ બહુમતી નક્કી કરવાનું મારા ઉપર છોડવામાં આવ્યું હતું. તે વખતે જે સજ્જન મધ્યસ્થી કરી રહ્યા હતા તે એ ખરડો લઈને તા. ૨૭મી નવેમ્બરે અમદાવાદમાં મારી પાસે આવ્યા. ત્યારે એમ નક્કી કર્યું હતુ કે સમિતિમાં સાત સભ્યો પરિષદના અને ત્રણ રાજ્યના હોવા જોઈએ. એ સજ્જનની સાથે જે શરતોનો ખરડો મેં ઠાકોરસાહેબને અને સર પેટ્રિક કૅંડલને મોકલેલો તેમાં એ કલમ હતી.
“એ કલમની સામે ઠાકોરસાહેબ કે સર પેટ્રિક કૅંડલ બેમાંથી એકેયે વાંધો લીધો નહોતો, કે તેમાં ફેરફાર કર્યો નહોતો. આ કલમને વિશે તેમણે એટલી જ સૂચના કરેલી કે, હું જે સાત સભ્યોનાં નામ આપું તે રાજકોટ રાજ્યના ખરેખરા વતની હોવા જોઈએ. પાછળથી એ વાટાઘાટ બીજાં કારણોસર ભાંગી પડી, પણ એ વાટાઘાટ દરમ્યાન કોઈ પણ વખતે આ શરતની સામે વાંધો આવ્યો ન હતો.
“ તા. ૧૫–૧૨–’૩૮ને રાજ ઠાકોરસાહેબની જોડે બીજા એક મધ્યસ્થીની મારફત વાટાઘાટ ફરી શરૂ કરવામાં આવી. આ સદ્‌ગૃહસ્થ ઠાકોરસાહેબ તથા દરબાર વીરાવાળા તરફથી સત્તાવાર કાગળ લઈને આવ્યા હતા. ચર્ચાને સારુ જે