પૃષ્ઠ:Sardar Vallabhbhai Part II.pdf/૩૯૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૮૪
સરદાર વલ્લભભાઈ

શરતો લઈને આ મધ્યસ્થ આવ્યા હતા તેમાં ઉપલી શરત સામેલ હતી. તા. ૧૯મીએ મેં મારા તરફથી જે સામો મુસદ્દો મોકલ્યો તેમાં પણ આ શરત સામેલ હતી.
“તા. ૨૬મીને દિવસે રાજકોટમાં જ્યારે શરતો ચર્ચવામાં આવી ત્યારે પરિષદની બહુમતીની આ શરત જ સમાધાનના પાયા રૂપે ગણવાની હતી એ વાત સૌને મંજૂર હતી. આ બહુમતી ઓછી કરવાને સારુ મને બહુ બહુ વિનંતીઓ કરવામાં આવી હતી, જે મારે નકારવી પડેલી. મેં તેમની એક જ સૂચનાનો સ્વીકાર કર્યો કે મારા તરફથી સૂચવવામાં આવતાં સાતે નામો રાજ્યના વતનીઓનાં હોવાં જોઈએ. કાઉન્સિલ મારા તરફનાં સાતે નામો તે જ ઘડીએ ત્યાં ને ત્યાં મંજૂર કરવા રાજી હતી. પણ મારે જેમની સલાહ લઈને તે નક્કી કરવાં જોઈએ એ બધા તે વેળાએ જેલમાં હતા. તેથી મારે પાછળથી મોકલવાં એમ ઠર્યું.
“એ ભુલાવું ન જોઈએ કે, એ સમાધાની એક તરફથી ઠાકોર સાહેબ અને તેમની કાઉન્સિલ અને હું તથા મારી સાથેના બીજા ત્રણ જણા એવા બે પક્ષ વચ્ચે આઠ કલાકની ચર્ચા પછી થઈ હતી. સાત સભ્યોની સંખ્યા ઘટાડી ત્રણની કરી નાખીને, પ્રજાપરિષદના સભ્યોની લઘુમતી કરી મૂકવાની ઠાકોરસાહેબને છૂટ રહેશે, એવું મને કહેવામાં આવ્યું હોત તો મેં એ વાટાઘાટમાં કદી ભાગ લીધો ન હોત. એ સમાધાનીના એક ભાગ તરીકે ઠાકોરસાહેબે મને જે કાગળ આપેલો તે પરથી નિઃશંક જણાઈ આવે છે કે સાતની બહુમતી ઘટાડવાનો એમનો ઇરાદો તે વેળા મુદ્દલ ન હતો. જો ઠાકોરસાહેબની લહેર પ્રમાણે આ સંખ્યામાં ઘટાડો કરવાનો હોત તો આ સમાધાન કરવાનો અથવા તો તેને પવિત્રપણે લેખબદ્ધ કરવાનો કશો અર્થ જ ન હતો.
“સમાધાનનું કરારનામું થયા પછી તરત જ ગાંધીજીને મેં તાર કર્યો કે,
“આઠ કલાકની લંબાણ વાટાઘાટ પછી આજે મળસકે બે વાગ્યે પ્રભુકૃપાથી સમાધાનના કરાર થયા છે. મુખ્ય શરતો આપના મુસદ્દા મુજબ મુદ્દે સ્વીકારાઈ છે. કરારનામું મોકલું છું.”
“તે જ દિવસે મોડેથી ગાંધીજીને મેં કરારની શરતો તારથી મોકલી, જેમાં જણાવ્યું હતું કે,
“પ્રજા તરફના સાત પ્રતિનિધિઓ મારી ભલામણ મુજબ ઠાકોરસાહેબે નીમવાના છે. જાહેરાતમાં આની સ્પષ્ટતા નથી પણ આને સારુ જુદી લેખી કબૂલાત લીધી છે.”
“આ ઉપરથી એ વિષે મુદ્દલ શક નથી રહેતો કે સુધારા સમિતિ ઉપર પરિષદના પ્રતિનિધિઓની બહુમતી રહેવી જોઈએ એ કરારનામાનો પાયો હતો. તેની વિરુદ્ધનો જે અર્થ કરવામાં આવ્યો છે, તે થયેલા કરારમાંથી છટકી જવા ખાતર પાછળથી ઊભો કરેલ છે. જો ઠાકોરસાહેબને પ્રજાના પ્રતિનિધિઓની સંખ્યા ઘટાડીને લઘુમતીમાં મૂકી દેવાની સત્તા રાખી હોત, તો પ્રજાની લડત, વાટાઘાટો, તેમ જ કોલકરાર, બધું જ અર્થ વગરનું થઈ પડત. આવા કટોકટીના મામલામાં તકરારના મુદ્દાઓને અસ્પષ્ટ કરી મેલવાના પ્રયત્નો અત્યંત દુઃખદ ગણાય.”