પૃષ્ઠ:Sardar Vallabhbhai Part II.pdf/૩૯૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૮૫
દેશી રાજ્યોમાં પ્રજાકીય લડતો — ૨

 તા. ૫મી તથા ૬ઠ્ઠીએ ગાંધીજીને બહેન ઍગથા સાથે મહત્ત્વની વાતચીત થઈ. એમને ગાંધીજીએ જીવન વિષેનું પોતાનું તત્ત્વજ્ઞાન સમજાવ્યું. સાથીઓ પ્રત્યેના પક્ષપાતને કારણે પોતે તેમના દોષ ન જુએ એ કેટલું અશક્ય હતું તે સ્પષ્ટ કર્યું. સાધનની શુદ્ધતા ઉપર પોતે કેટલો બધો ભાર મૂકે છે એ સમજાવતાં કહ્યું :

“શેતાનની પાંખે ચડીને સ્વર્ગમાં પહોંચાતું હોય તો પણ સત્યાગ્રહી તેમ ન કરે. કેટલીક વાર મારી અને સાથીઓની વચ્ચે ભેદ કરવામાં આવે છે. મને સાચો અને સાથીઓને ખોટા ચીતરવામાં આવે છે. આ દ્વેષમૂલક અને ગેરવાજબી છે. (સરદારનો દાખલો આપીને કહ્યું :) એમને વિષે ગેરસમજનો પાર નથી. આનું કારણ પણ હું સમજું છું. તેમના ગમા–અણગમા બહુ મજબૂત છે. વળી તેઓ ભારે આખાબોલા માણસ છે. તેથી જ બધી મુશ્કેલી ઊભી થાય છે. પણ હું કહું છું તે ગળા સુધી માનો કે કોઈ વાતે તેમાં ખોટ્ટાઈ નથી. હું કહું છું કે કોઈ પણ એની સામે ચોક્કસ આરોપ આણે અને એની નિષ્પક્ષ તપાસ કરાવે તો એની સાથે ઊભવા કે જમીનદોસ્ત થવા હું તૈયાર છું. એવા આરોપોની કિંમત હું જાણું છું. મારા પોતાના ઉપર આજે ગલીચમાં ગલીચ હુમલાઓ વરસી રહ્યા છે.”

આ અનશન શા સારુ ? શું બીજો માર્ગ ન હતો ? ઍગથા આગળ પોતાની મનોવ્યથા વ્યક્ત કરતાં કહ્યું :

“કાઠિયાવાડને હું ઓળખું છું. શૂરા કાઠીઓની એ ભૂમિ છે. તેની સાથે ખટપટ અને સડાથી પણ એટલી જ ભરેલી છે. આ ગંદકી બલિદાન વગર શે સાફ થાય ? જો હું ઇચ્છું છું તેવો હોત તો આવા અનશનની જરૂર ન હોત, કઈ જોડે દલીલ કરવાની જરૂર ન રહેત, મારો શબ્દ સાંસરો ઊતરી જાત; સાચે જ શબ્દનો ઉચ્ચાર કરવાની પણ જરૂર ન પડત; ઇચ્છામાત્રથી જોઈતું પરિણામ નિપજાવી શકાત. પણ મારી મર્યાદાઓનું દુઃખદ ભાન મને છે. તેથી જ તો મારો અવાજ સંભળાવવા માટે આ બધું સહેવાનું છે.
“બીજો રસ્તો સવિનય કાયદાભંગનો છે. પણ અત્યારે મેં તે ઇરાદાપૂર્વક રદ કર્યો છે. કારણ હું જોઉં છું કે, એમાંથી જેઓ સત્તાધારી છે તેમના અંતરમાં વસતો પશુ જ જાગી શકે છે. સત્યાગ્રહીની નેમ તો દરેકના હૈયામાં રહેલા એ પશુને ઉખેડી જ દેવાની હેાય. સવિનય ભંગ શરૂ કરીને જે બધું કષ્ટ ખમવાનું લોકોને સારુ અનિવાર્ય થઈ પડત, તે મેં જાતે આ કષ્ટ માથે લઈને ટાળી દીધું છે. કશાથી પણ ન અકળાવાનો હું અવિરત પ્રયત્ન કરી રહ્યો છું. દરબાર વીરાવાળા પ્રત્યે પણ મારા અંતરમાં સદ્‌ભાવ ભરેલો છે. મારા ઉપવાસથી તેમના તેમ જ ઠાકોરસાહેબના દિલમાં જવાબદારીનું ભાન જાગે તો ઉપવાસને હું સાર્થક થયેલા ગણું.”

વાઈસરૉય તે વખતે પ્રવાસમાં હતા. પોતાનો પ્રવાસ રદ કરી તા. ૬ઠ્ઠીએ તેઓ દિલ્હી પહોંચ્યા. આખો દિવસ અને મધરાત સુધી રાજકોટ અને નવી