પૃષ્ઠ:Sardar Vallabhbhai Part II.pdf/૩૯૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૮૭
દેશી રાજ્યોમાં પ્રજાકીય લડતો — ૨



રહેલા સમાધાનને સારુ પ્રાર્થનાઓ અને બીજા પ્રયત્નો કરી રહ્યા છે તેમની ચિંતા દૂર કરવાને સારુ આપના ભલા સંદેશાને હું પૂરતું કારણ ગણું છું. મારે પક્ષે એટલું જ કહેવું ઉચિત સમજુ છું કે જે બાબતોનો આપના તારમાં ઉલ્લેખ નથી તે મારા તરફથી પડતી મુકાઈ નથી. તે બાબતમાં મને સંતોષ મળવો રહેશે. છતાં રૂબરૂ ચર્ચા થતાં સુધી તે બાબતો મુલતવી રાખી શકાય. દિલ્હી સુધી મુસાફરી કરવાની દાક્તરો રજા આપશે કે તરત જ હું દિલ્હી આવીશ.
“જેના ઉપર મારે અનશન કરવું પડ્યું તે પ્રકરણ આટલી તાકીદે અને આટલી સહાનુભૂતિથી હાથમાં લીધાને સારુ ફરી એક વાર આપનો આભાર માનું છું.”

ઉપવાસ છોડતાં પહેલાં સરકાર જોડે થયેલો પત્રવ્યવહાર પ્રગટ કરવાની સરકારની રજા મેળવી લેવા ગાંધીજી માગતા હતા. તે માટે નવી દિલ્હીને પૂછવું જોઈએ. બપોરે બે વાગ્યે જરૂરી રજાવાળી મિ. ગિબ્સનની ચિઠ્ઠી આવી પહોંચી. એટલે પ્રાર્થના વગેરેના વિધિ પછી બપોરે બે વીસ વાગ્યે ગાંધીજીએ પારણું કર્યું. બધા સત્યાગ્રહી કેદીઓને તે જ દિવસે છોડી મૂકવામાં આવ્યા.

સૌના દિલમાં આનંદ વ્યાપ્યો, અને સૌને એમ લાગ્યું કે ગાંધીજીનો ભારે વિજય થયો. પણ વિજયની ઘડી ગાંધીજીને સારુ હમેશાં આત્મનિરીક્ષણની હોય છે.

પરિષદના કાર્યકરો સાથે તેમણે અંતર ખોલીને વાત કરી અને પોતાની જાતનું પૃથક્કરણ કરીને અંતરદર્શન કરવા તેમને સૂચવ્યું. તા. ૧૦મીએ સાંજે દરબાર વીરાવાળા ગાંધીજીને મળ્યા. તેમની સાથે લગભગ કલાક વાતો ચાલી. એ વાતચીત પછી ગાંધીજી ગમગીન અને ઊંડા વિચારમાં ડૂબેલા જણાયા. તેમના દિલમાં કંઈક આવી ગડમથલ ચાલતી હતી : “મારી અહિંસામાં શો દોષ છે? મારા અનશન પછી પણ દરબાર વીરાવાળામાં કશો ફેરફાર કાં ન જણાય ?” તા. ૧૧મીએ ભાયાતો તરફથી ડેપ્યુટેશનના રૂપમાં મળવાની માગણીનો કાગળ મળ્યો. સમય બચાવવા ખાતર ગાંધીજીએ તેમને ટૂંકી ચિઠ્ઠી લખી મોકલી અને મુસલમાનો તથા તેમની વચ્ચે કશો તફાવત નહીં કરવામાં આવે એ વિષે ખાતરી આપી.

તા. ૧રમીએ કાર્યકર્તાઓ સાથે વાતચીત દરમ્યાન ગાંધીજીએ રાજકોટના સત્યાગ્રહનું પરીક્ષણ કર્યું :

“મને લાગે છે કે, આપણી પહેલી ભૂલ રાજકોટ સત્યાગ્રહમાં બધા કાઠિયાવાડીઓને જોડાવાની રજા અપાઈ એ થઈ. એથી લડતમાં નબળાઈનું તત્ત્વ પેઠું, આપણે સંખ્યાબળ ઉપર ગયા. સત્યાગ્રહી તો અસહાયના એકમાત્ર બેલી ઈશ્વર