પૃષ્ઠ:Sardar Vallabhbhai Part II.pdf/૩૯૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૮૮
સરદાર વલ્લભભાઈ

ઉપર જ આધાર રાખે. સત્યાગ્રહી હમેશાં પોતાના મનને કહે કે જેને નામે સત્યાગ્રહ માંડ્યો છે તે જ તેને પાર ઉતારશે. રાજકોટના કાર્યકર્તાઓએ આમ વિચાર્યું હોત તો મોટાં સરઘસો અને દેખાવો યોજવાની લાલચમાંથી તેઓ બચી જાત અને પરિણામે જે જુલમાટો થયા તેનાથી રાજકોટ પણ બચત. ખરા સત્યાગ્રહી પોતાના વિરોધીને અભયદાન આપે. તેના કાર્યથી વિરોધીની છાતીમાં કદી ગભરાટ પેદા ન થાય. ધારો કે સત્યાગ્રહના નિયમોના આવા કડક અમલને લીધે ખોબા જેટલા સત્યાગ્રહીઓ સાચા સત્યાગ્રહી જુસ્સાથી અંત સુધી લડવા નીકળ્યા હોત તો તેઓ ખરેખરી નમૂનેદાર લડતનો દાખલો પૂરો પાડત.”

તા. ૧૩મી માર્ચે ગાંધીજી દિલ્હી જવા ઊપડ્યા. ફેડરલ કોર્ટના વડા ન્યાયાધીશ સર મોરીસ ગ્વાયર આગળ બંને પક્ષે પોતાનો કેસ રજૂ કરવાનો હતો. વડા ન્યાયાધીશે દોરેલી કાર્યવાહીને અનુસરીને સરદારે પોતાની કેફિયત પશ્ચિમ હિંદનાં દેશી રાજ્યોના રેસિડેન્ટને ત્યાં તા. ૧૭મીએ દાખલ કરી. તેમાં તા. ર૬–૧ર–’૩૮ના રાજ ઠાકોરસાહેબ સાથે થયેલી સમજૂતી તથા ઠાકોરસાહેબે સરદારને લખેલી આપેલી ચિઠ્ઠી વગેરે રજૂ કર્યા. રાજકોટ ઠાકરસાહેબનો જવાબ તા. ૨૬ મી માર્ચે દાખલ કરવામાં આવ્યા. છાપેલાં ચાલીસ ફૂલસ્કૅપ પાનાંનો એ જવાબ હતો. તેમાં મુખ્ય મુદ્દા તો બે જ હતા. તા. ર૬ મીના કરારનામા વિષે પ્રપંચ, દબાણ અને દગાબાજીના આક્ષેપો હતા. બીજો મુદ્દો, સરદાર જે સાત નામો આપે તેમાંથી ઠાકોરસાહેબે પૂરી તપાસ કરી પોતાને યોગ્ય લાગે એમની નિમણૂક કરવાની બાબતનો હતો. પ્રપંચ અને દગાબાજીના આક્ષેપો વાંચી સરદારની સાથે ગાંધીજી પણ ઊકળી ઊઠ્યા. વળી તેમણે અંતરખોજ ચલાવી : “મારો ઉપવાસ આટલો નિષ્ફળ કેમ થયો હશે ? દરબાર વીરાવાળા આટલું કેમ નથી જોઈ શકતા કે પ્રપંચથી મેળવેલા દસ્તાવેજના જોર ઉપર હું કદી ઉપવાસ ન આદરું ?”

કેસની દલીલ કરવા દરબાર વીરાવાળા જાતે દિલ્હી ગયા. તેમણે બહુ લંબાણથી દલીલો કરી. સરદારે વાટાઘાટની શરૂઆતથી તે તા. ૨૬મી ડિસેમ્બરનું કરારનામું થયું ત્યાં સુધીની વિગતો ટૂંકમાં રજૂ કરી.

બંનેની દલીલો સાંભળી તા. ૩જી એપ્રિલે હિંદના ચીફ જસ્ટિસ સર, મોરીસ ગ્વાયરે પોતાનો ચુકાદો આપ્યો. તેમાંથી વધારે મહત્ત્વના ફકરા અહીં ટાંકીશું:

“એમ સૂચવાયું છે —જોકે બેઉ પક્ષને હું રૂબરૂ મળ્યો ત્યારે એ બાબત મુદ્દલ આગ્રહ ધરવામાં ન આવ્યો — કે આ કાગળ ઠાકોરસાહેબ પાસેથી કંઈક દબાણપૂર્વક મેળવવામાં આવ્યો હતો. મને સોંપવામાં આવેલા આ કેસની તપાસને અંગે ઠાકોરસાહેબે આપેલી સંમતિ ધ્યાનમાં લેતાં એવા સૂચનનો વિચારસરખો હું કરી શકું કે કેમ એ વિશે મને શંકા છે. પણ એટલું જ કહેવું યોગ્ય થશે કે