પૃષ્ઠ:Sardar Vallabhbhai Part II.pdf/૪૦૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૯૫
દેશી રાજ્યોમાં પ્રજાકીય લડતો — ૨

જો અહિંસાનો મારો અર્થ તમને કબૂલ હોય તો દરબાર વીરાવાળાને કાઢવાનો ખ્યાલ મેલી દઈ તેનો હૃદયપલટો કરવાનો સંકલ્પ તમારે કરવો રહ્યો.
“પોતાને આ નવો લાગતો સિદ્ધાંત મારે મોઢેથી કાર્યકર્તાઓએ સાંભળ્યો તો ખરો. પણ તેમને ગળે ઊતર્યો કે કેમ તે મેં ન પૂછ્યું. તેઓ મને વાજબીપણે સામું પૂછી શકતા હતા: ‘વડા ન્યાયાધીશના ચુકાદાને ફગાવી દઈને કેવળ દરબાર વીરાવાળાના હૃદયમાં રહેલી ભલમનસાઈ ઉપર વિશ્વાસ મૂકવાની ભલામણ કરનારી તમારી આ સૂચનાના વાજબીપણા વિષે તમારી પોતાની ગળા સુધી ખાતરી છે ખરી ?’ જો તેમણે આવો સવાલ કર્યો હોત તો મને કહેવાની ફરજ પડત કે એટલે લગીની હિંમત હજી હું મારામાં ભાળતો નથી.”

મહાસમિતિની બેઠક પૂરી કરી કલકત્તાથી ગાંધીજી બિહારના વૃંદાવન ગામે ગાંધી સેવા સંઘનું અધિવેશન મળવાનું હતું ત્યાં ગયા. આપણે શુદ્ધ અહિંસાનું કેટલું ઓછું પાલન કરી શકીએ છીએ તેની જ વાત ત્યાં મુખ્યત્વે તેમણે કરી. એમના દિલમાં રાજકોટના પ્રયોગમાં પોતાની ઊણપને લીધે પોતે કેવા નિષ્ફળ નીવડ્યા હતા એ જ વાત ઘોળાયાં કરતી હતી. તા. ૧રમી મેએ ફરી રાજકોટ આવ્યા. દરબાર વીરાવાળા, રેસિડેન્ટ ગિબ્સન તથા મુસલમાન અને ભાયાતો સાથે ફરી ચર્ચાઓ ચાલી. તેમાં એમને ચોક્કસ ઊગી ગયું કે પોતે હિંમત કરીને સાચો નિર્ણય હવે કરી જ નાખવો જોઈએ. તા. ૧૭મી મે એ મનનો નિર્ણય થઈ ગયો અને ‘એકરાર અને પશ્ચાત્તાપ’ નામનો નીચેનો લેખ તેમણે લખી કઢાવ્યો :

“ગયા માસની ૨૪મી તારીખે કલકત્તા જતી વેળાએ મેં કહ્યું હતું કે મારે સારુ રાજકોટ કીમતી પ્રયોગશાળા રૂપ નીવડ્યું છે. હું અત્યારે જે પગલાંની જાહેરાત કરી રહ્યો છું તેમાં એનો છેલ્લા પુરાવો રહેલા છે. સાથીઓ જોડે પૂરી ચર્ચા કર્યા બાદ આજે સાંજના છ વાગ્યે હું એવા નિર્ણય ઉપર આવ્યો છું કે રાજકોટ પ્રકરણમાં હિંદના વડા ન્યાયાધીશને હાથે મળેલ ચુકાદાના લાભ મારે છોડી દેવા.
“હું મારી ભૂલ જોઈ શક્યો છું. મારા ઉપવાસને અંતે મેં એમ કહેવાની છૂટ લીધી હતી કે અગાઉના કોઈ પણ ઉપવાસ કરતાં આ ઉપવાસ વધુ સફળ થયા હતા. હવે જોઉં છું કે મારા એ કથનમાં હિંસાનો રંગ હતો.
“અનશન લેવામાં ચક્રવર્તી સત્તા પાસેથી ઠાકોરસાહેબને સમજાવીને તેમની પાસે આપેલું વચન પળાવવા સારુ મેં તેની તાત્કાલિક દરમ્યાનગીરી ઇચ્છી હતી. આ અહિંસાનો કે હૃદય પરિવર્તન કરાવવાનો માર્ગ નહોતો. એ માર્ગ હિંસાનો અથવા દબાણનો જ હતો. મારું અનશન શુદ્ધ હોત તો તે કેવળ ઠાકોરસાહેબને જ અનુલક્ષીને લેવાવું જોઈતું હતું. જો એનાથી ઠાકોરસાહેબનું અથવા કહો કે એમના સલાહકાર દરબાર વીરાવાળાનું હૈયું ન પીગળત તો મારે મરીને સંતોષ માનવો જોઈતો હતો. મારા માર્ગ આડે અણધારી મુશ્કેલીઓ ન આવી હોત તો મારી આંખો ન ઉઘડત.