પૃષ્ઠ:Sardar Vallabhbhai Part II.pdf/૪૦૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૯૭
દેશી રાજ્યોમાં પ્રજાકીય લડતો — ૨

ઓછું પણ નહીં.’ એમના વાંધામાં રહેલું વજૂદ મેં ઓળખ્યું. મેં તેમને કહ્યું પણ ખરું કે ચુકાદાને ફગાવી દેવાની આ ઘડીએ મારી હિંંમત નથી. પણ ભલા થઈને જાણે ચુકાદો હસ્તીમાં જ નથી અને સરદાર તથા હું પણ વચ્ચે નથી એમ ગણી પ્રજા જોડે સમાધાન કરો. એમણે પ્રયત્ન કરી જોવા વચન આપ્યું. પોતાની રીતે પ્રયત્ન પણ કર્યો. પણ તેમાં જિગરની ઉદારતા મેં ન ભાળી. હું તેમને દોષ નથી દેતો. ચુકાદાને ચીટકી રહેવાની મારી કૃપણતા એ પોતે ભાળી રહ્યા હોય ત્યાં હું એમના તરફથી દિલદાર જિગરની આશા કેમ રાખી શકું ? વિશ્વાસમાંથી જ વિશ્વાસ પેદા થાય છે. પણ એ તો મારામાં હતો નહીંં.
“છેવટે હવે મેં ખોયેલી હિંંમત પાછી મેળવી છે. મારા આ એકરારથી અને પશ્ચાત્તાપથી અહિંસાની સર્વોપરી શક્તિ વિશેની મારી શ્રદ્ધાની જ્યોત વધુ તેજથી ઝગી રહી છે.
“મારા સાથીઓને હું અન્યાય ન કરું. તેમનામાંના ઘણાનાં હૈયામાં અંદેશો ભરેલો છે. તેમને મારા પશ્ચાત્તાપને સારુ કશું કારણ દેખાતું નથી. તેમને તો લાગે છે કે ચુકાદાથી મળેલી એક મહાન તક હું ફગાવી દઉં છું. એમને એમ પણ લાગે છે કે એક રાજદ્વારી નેતા તરીકે પંચોતેર હજાર પ્રજાના — કદાચ આખી કાઠિયાવાડની પ્રજાના કિસ્મત જોડે રમત રમવાનો મને અધિકાર નથી. મેં તેમને કહ્યું છે કે તમારી ધાસ્તી અકારણ છે. આત્મશુદ્ધિનું દરેક પગલું, હિંમતનું દરેક કૃત્ય સત્યાગ્રહમાં રોકાયેલી પ્રજાના બળમાં હમેશાં ઉમેરો જ કરે છે. મેં એમને એમ પણ કહ્યું છે કે જો તેઓ મને સત્યાગ્રહનો સેનાપતિ અને વિશારદ ગણતા હોય તો મારામાં તેમને જે ધૂન જેવું દેખાય છે તે પણ તેમણે સહી લેવું રહ્યું.
“આમ ઠાકોરસાહેબને અને તેમના સલાહકારને ચુકાદાની ધાસ્તીમાંથી મુક્ત કરી દીધા પછી હવે વગર સંકોચે હું એમને અપીલ કરું છું કે તેઓ રાજકોટની પ્રજાઓની આશાઓ પૂરી કરે અને તેમની શંકાઓને દુર કરી તેમને સંતોષે.”

આ નિર્ણય વિષે ગાંધીજીએ સાથીઓ સાથે ચર્ચા કરી ત્યારે સરદાર પણ હાજર હતા. મહાદેવભાઈએ બરાબર સમજવા માટે થોડીક દલીલ કરી. પણ સરદારે – જોકે પોતે આવું પગલું લઈ શકે અથવા લે કે કેમ એ જુદો સવાલ છે પણ – ગાંધીજીની સત્યાગ્રહની અને અહિંસાની દૃષ્ટિ બરાબર સ્વીકારી લીધી અને એક શબ્દ પણ બોલ્યા વિના નિર્ણય મંજૂર રાખ્યો.

સર મોરિસ ગ્વાયરના ચુકાદાના લાભો જતા કર્યા પછી ગાંધીજીએ ઠાકોરસાહેબ તથા દરબાર વીરાવાળાને મેળવી લેવા બહુ પ્રયત્ન કર્યા. પોતાની હાર સ્વીકારી લીધા પછી ઠાકોરસાહેબે દરબાર ભર્યો તેમાં પણ તેમણે હાજરી આપી. ત્યાર પછી દરબાર વીરાવાળાએ પોતાની મેળે સુધારા ઘડવા કમિટી નીમી. તેનો રિપોર્ટ સને ૧૯૩૯ના નવેમ્બર મહિનામાં બહાર પડ્યો. તે ઉપર ગાંધીજીએ ‘હરિજનબંધુ’માં એક લેખ લખ્યો. તેમાં નીચે પ્રમાણે જણાવ્યું છે :