પૃષ્ઠ:Sardar Vallabhbhai Part II.pdf/૪૦૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૯૮
સરદાર વલ્લભભાઈ



“રાજકોટના નામદાર ઠાકોરસાહેબને તથા દરબાર શ્રી વીરાવાળાને અજાણ્યે પણ એક વાર દૂભવ્યા પછી એ રાજ્યમાં દરબારની કારવાઈઓની ટીકા રૂપે કશું કહેવા સામે મેં મારી જાતને આજ લગી રોકી છે. પણ રાજકોટની પ્રજા જેમણે નમૂનેદાર શિસ્તનું પાલન કર્યું છે તેના પ્રત્યેની મારી ફરજ વિચારતાં તાજેતરમાં રાજ્ય તરફથી જાહેર કરવામાં આવેલા સુધારા વિષે બે શબ્દ લખવાનો મારો ધર્મ થઈ પડ્યો છે. પ્રજા પણ આશા રાખે છે કે મારે મારો અભિપ્રાય જણાવવો જોઈએ.
“મારે દુઃખની સાથે કહેવું પડે છે કે આ સુધારાઓ મરહૂમ ઠાકોરસાહેબનું કર્યું કારવ્યું ધૂળ મેળવે છે. મરહુમ ઠાકોરસાહેબે આપેલો પૂર્ણ મતાધિકાર જે છેલ્લાં પંદર વર્ષથી પ્રજાને આશીર્વાદ સમાન હતો, તે ખેંચી લેવામાં આવ્યો છે અને તેને બદલે મતાધિકારને સારુ મિલકત ધરાવવાની તથા રાજ્યના વતની હોવા વિષેની કડક શરતો મૂકવામાં આવી છે. ચૂંટાયેલા પ્રમુખની જગ્યાએ દીવાનને પ્રમુખ બનાવ્યા છે. મૂળ પ્રજાપ્રતિનિધિની સભા જે આખી ચૂંટાયેલા પ્રતિનિધિઓની રહેતી તેમાં હવે ચાલીસ ચૂંટાયેલા અને વીસ નીમેલા સભ્યો રહેશે. ચૂંટાયેલા સભ્યોમાં વળી લઘુમતીઓના વાડા અને ઘોળ હશે. આમ કહેવાતી બહુમતી ખરી રીતે લઘુમતી થઈ રહેશે. સુધારાઓની સાચી દિશા પ્રમાણે તેમાં પ્રજાકીય અંકુશનો ઉત્તરોત્તર વધારો હોય. અહીં તો કશા પણ વાજબી કારણ વગર પ્રજાકીય અંકુશનું તત્ત્વ સારી પેઠે ઘટાડવામાં આવ્યું છે. મૂળ સભાને કાયદા કરવાની વિશાળ સત્તાઓ હતી, તે સત્તાઓ ઘટાડવામાં આવી છે. તારીખ ૨૬મી ડિસેમ્બરના જાહેરનામામાં શક્ય તેટલી વધુ વિશાળ સત્તાઓ આપવાનું કહેવામાં આવ્યું હતું. આ સુધારાઓ વાંચીને હું એવા નિર્ણય ઉપર આવ્યો છું કે પ્રજા પાસે હતી તે સત્તાઓ પણ ખૂંચવી લેવામાં આવી છે, એટલું જ નહીં પણ પ્રજા પાસે રહેવા દેવામાં આવેલી સત્તાઓ પણ જેટલી બની શકે તેટલી મર્યાદિત કરવામાં આવી છે. એક શબ્દમાં કહીએ તો ઠાકોરસાહેબની એટલે કે દીવાનની ઇચ્છા એ જ રાજકોટનો સર્વોપરી કાયદો ગણાશે.
“હું કબૂલ કરી ચૂક્યો છું કે, ઉપવાસ ચાલુ હતો તે દરમ્યાન ઠાકોરસાહેબની કારવાઈઓ સામે નામદાર વાઈસરૉયને મેં કરેલી અપીલ હિંંસારૂપ હતી, અને તેથી મારો ઉપવાસ દૂષિત થયો. મને લાગ્યું હતું કે મારો પસ્તાવો જાહેર કરીને મેં તેનું પ્રાયશ્ચિત્ત કર્યું હતું. પરિણામે નામદાર ઠાકોર સાહેબ તથા દરબાર વીરાવાળા અને મારી વચ્ચે મીઠો સંબંધ સ્થપાશે અને રાજકોટની પ્રજાને માટે નવું અને ઉજ્જવળ પાનું ખૂલશે એમ મેં આશા રાખી હતી. મારા જાહેર પશ્ચાત્તાપ પછી ભરવામાં આવેલો દરબાર એ પશ્ચાત્તાપના શુભ પરિણામ ઉપર મહોર રૂપ હતો એમ મેં માન્યું હતું. હું જોઉં છું કે આમ માનવામાં મેં થાપ ખાધી હતી. માણસની પ્રકૃતિ ઘડી વારમાં બદલાતી નથી. રાજકોટની પ્રજાની હું ક્ષમા માગું છું.
“મેં કરેલા પશ્ચત્તાપનું મને દુઃખ નથી. મને ખાતરી છે કે નીતિદૃષ્ટિએ જે વાજબી હતું તે રાજકીય દૃષ્ટિએ પણ બરાબર જ હતું. મારા પશ્ચાત્તાપે રાજકોટની પ્રજાને બૂરા હાલમાંથી બચાવી લીધી. કોમી કલહ અટક્ચા. મને