પૃષ્ઠ:Sardar Vallabhbhai Part II.pdf/૪૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૭
સબરસ સંગ્રામ


તા. ૧૩-૧૦-’૩૦ ના કાગળમાં લખે છે :

“તમારો તા. ૭-૧૦-’૩૦નો કાગળ મળ્યો છે. તાવ મટ્યો અને તબિયત સારી રહે છે જાણી આનંદ થયો. ચિ. ડાહ્યાભાઈ પાછા ગયા શુક્રવારે મળી ગયા. આ વખતે રામદાસ અને મીરાબહેન પણ આવેલાં હતાં. તેમની પાસેથી તમારા સમાચાર મળ્યા હતા. એક રીતે તો તમને ત્યાં જ રાખેલાં છે એ ઠીક થયું છે. બીજાં બધાંને સગવડ થઈ પડશે.

“ખુરશેદબહેનની તબિયત નાજુક છે અને વળી સગવડ કંઈ જ નથી એટલે અડચણ તો પડશે. પણ એ તો નિભાવી લેશે. જેટલી સગવડ કરી આપી શકાય એટલી કરી આપીએ એટલે બસ. એમને અ વર્ગ માં મૂકેલાં છે. એટલે નિયમ પ્રમાણે કમોડ મળવું જોઈએ છતાં કેમ નથી મેળવી શક્યાં એ હું સમજી શકતો નથી. મને લાગે છે કે એમને અ વર્ગ ના નિયમોની માહિતી પણ ન હોય.

“મહાદેવભાઈને તો રામદાસ સાથે સંદેશો કહેવડાવી દીધો છે. એટલે હવે તમારે કંઈ ચિંતા ન કરવી. મારે પણ હવે ફક્ત ત્રણ અઠવાડિયાં જ બાકી રહ્યાં છે. તે પછી એક વખત અમદાવાદ આવી મળી જવા પ્રયત્ન કરીશ. તે વખતે વળી શી સ્થિતિ હશે તેની આજથી શી ખબર પડે ?

“મેજર સાહેબ બહુ ભલા છે. એટલે એમનાથી બનશે એટલી સગવડ આપશે. પણ એ ધારે તેટલું કરી શકે તેમ નથી. એટલે આપણે તો જેટલું વેઠવાનું આવી પડે તેટલુ વેઠવું. બંગડીને માટે લડવું પડે એ નવાઈની વાત છે. *[૧] છતાં તમે બધાં ત્યાં જે ઠીક લાગે તે કરજો. બાકી એ વિષય એવો છે કે સરકાર એમાં લડવા વખત ન આવવા દે.

“સૌ બહેનોની સંભાળ રાખજો. અને સૌને બહાદુર બનાવી બહાર મોકલજો.

“વાંચવાનો વખત ન મળે તેની કશી ચિંતા કરવાનું કારણ નથી. કાંતવાને માટે પણ વખત મળે તો જ કાંતજો. ત્યાંનાં બીજાં કામમાં જેટલો વખત આપવો પડે તેટલો વખત આપવો.

“મારી પાસે તો પૂણી ખૂબ આવી પડેલી છે અને કાંતવાનું પણ ખૂબ ચાલી રહેલું છે. રોજ બે હજાર વાર કાંતવાનું રાખ્યું છે. હવે પૂણીની જરૂર નથી. વખત પણ હવે થોડો જ રહ્યો છે. વળી બધા આશ્રમો અને સમિતિઓ ઉપર ધાડ આવી છે. એટલે કોઈને પૂણીના કામ માટે રોકવા એ પણ પાપ કરવા જેવું છે. મને તો બાપુ પણ પૂણી મોકલી આપતા હતા. પણ એમને કાંતવું રહ્યું તે માટે જોઈએ, તે ઉપરાંત મારે માટે પીંજવાનું કામ કરતા હતા. એટલે મેં ના પાડી.

“મારી તબિયત સરસ છે. સાબરમતીમાં જેટલું વજન ગુમાવ્યું હતું તેટલું પાછું મેળવી લીધું છે. અહીં તો અ વર્ગનો ખોરાક જ લેવાનું રાખ્યું


  1. *સાબરમતી જેલમાં બહેનોની કાચની બંગડી પણ ઉતારી લેતા અને કહેતા કે તમારે પહેરવી હોય તો સૂતરની બનાવીને પહેરો. આની સામે ત્યાંની બહેનોએ વિરોધ ઉઠાવેલ. પત્રવ્યવહારથી જ એ પ્રકરણ પતી ગયું હતું અને બહેનોને બંગડી પહેરવાની છૂટ મળી હતી.