પૃષ્ઠ:Sardar Vallabhbhai Part II.pdf/૪૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૦
સરદાર વલ્લભભાઈ


અઢાર કેદીઓને રાખેલા હતા. આ પાંજરામાંથી તેમને દિવસમાં એક વાર અર્ધા પોણા કલાક માટે મોં ધોવા અને જાજરૂ જવા માટે કાઢવામાં આવતા.”

દરમ્યાન તા. ૧ર-૧૧-’૩૦ના રોજ લંડનમાં ગોળમેજી પરિષદ બાદશાહી ઠાઠ સાથે મળી. કૉંગ્રેસની ગેરહાજરીમાં એ પરિષદમાં કશી વાસ્તવિક્તા તો નહોતી જ, છતાં બ્રિટિશ મુત્સદ્દીઓએ બધો ડોળ સારો ભજવ્યો. તા. ૧૯-૧-’૩૧ના રોજ બ્રિટિશ વડા પ્રધાને હિંદના રાજ્ય-બંધારણ વિષે બ્રિટિશ સરકારની નીતિ અને ઈરાદા જાહેર કર્યા અને પરિષદ મુલતવી રાખી. પોતાના ભાષણમાં તેણે છેવટે ઉમેર્યું : “દરમ્યાન જેઓ અત્યારે સવિનય ભંગની લડતમાં જોડાયા છે તેઓ વાઈરૉયે કરેલી અપીલને અનુકૂળ થશે તો તેમની સેવાઓ સ્વીકારવાની વ્યવસ્થા કરવામાં આવશે.” આ ઉપરથી તા. ૨૧-૧-’૩૧ના રોજ અલ્લાહાબાદ સ્વરાજ ભવનમાં કૉંગ્રેસની કારોબારીએ મળીને ઠરાવ કર્યો કે ગોળમેજી પરિષદમાં થયેલા કામકાજને કૉંગ્રેસ જરા પણ માન્યતા આપતી નથી અને ઇંગ્લંડના વડા પ્રધાન મિ. રામ્સે મૅકડોનલ્ડે બ્રિટિશ સરકારની જે નીતિ જાહેર કરી છે એના ઉપર પુખ્ત વિચાર કરીને ઠરાવે છે કે એ નીતિ એટલી ગોળગોળ છે કે તેથી કૉંગ્રેસને કશો સંતોષ થાય એમ નથી.

એટલામાં લંડનથી શ્રી શાસ્ત્રી, સપ્રુ તથા જયકરનો પં. મોતીલાલજી ઉપર તાર આવ્યો કે અમે જ્યાં સુધી હિંદુસ્તાનમાં આવીને તમારી સાથે મસલત કરીએ નહીં ત્યાં સુધી બ્રિટિશ વડા પ્રધાનના ભાષણ ઉપર કશો ઠરાવ ન કરવાની કૉંગ્રેસને અમારી વિનંતી છે. તે ઉપરથી મોતીલાલજીએ બધા સભ્યોને સૂચના આપી કે આ ઠરાવની હકીકત બહાર કોઈ જાણે નહીં અને ઠરાવ છાપાંમાં આવે નહીં એની સૌએ કાળજી રાખવી. છતાં ઠરાવ તો છાપાંમાં પહોંચી ગયો. ગોળમેજી પરિષદ મુલતવી રાખતી વખતે બ્રિટિશ મુત્સદ્દીઓની એવી ઇચ્છા હોવી જોઈએ કે કૉંગ્રેસને ગોળમેજીમાં લાવવાનો હજી એક પ્રયત્ન કરી જોવો. તે ઉપરથી વાઇસરૉયે તા. ર૫-૧-’૩૧ના રોજ જાહેરનામું બહાર પાડીને ગાંધીજીને અને કૉગ્રેસ કારોબારીના તમામ સભ્યોને બિનશરતે છોડી મૂક્યા, જેથી તેઓ અંદર અંદર મસલત કરી શકે. લડત દરમિયાન જેઓને કૉંગ્રેસ કારોબારીના સભ્યો બનાવવામાં આવ્યા હતા તેમને પણ છૂટા કરવામાં આવ્યા. આ જાહેરનામાને પરિણામે કુલ છવ્વીસ માણસોને છોડવામાં આવ્યા. છૂટનારા સભ્યોમાં સરદાર પણ હતા.

કારોબારીના સભ્યોના છૂટવાથી લડતનું એક નવું પ્રકરણ શરૂ થાય છે.