પૃષ્ઠ:Sardar Vallabhbhai Part II.pdf/૪૮૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૧
વ્યક્તિગત સવિનય ભંગ, કોમી રમખાણો અને સરદારની બીમારી

વર્ધા અને દિલ્હીના ઠરાવોને મહાસમિતિની બહાલી મળી ગયા પછી સરદાર અને રાજાજી તો એમ જ માનતા હતા કે બ્રિટિશ સરકાર કૉંગ્રેસની માગણીઓ સ્વીકારશે અને યુદ્ધમાં કૉંગ્રેસની સક્રિય મદદને આવકારશે. પણ તા. ૮મી ઑગસ્ટે વાઈસરૉયે પોતાનું જાહેરનામું પ્રગટ કર્યું. એમાં કૉંગ્રેસને આવકારવાનું એક પણ ચિહ્ન નહોતું. વાઈસરૉયે પોતાના જાહેરનામામાં જણાવ્યું કે હિન્દુસ્તાનના રાજદ્વારી નેતાઓ સાથે તથા ના. શહેનશાહની સરકાર સાથે સલાહમસલત કર્યા પછી મને એવું જાહેર કરવાની ફરમાસ થઈ છે કે મારી કારોબારી સમિતિમાં જોડાવાને માટે કેટલાક પ્રતિનિધિત્વ ધરાવતા હિંદીઓને મારે આમંત્રણ આપવું અને યુદ્ધની બાબતમાં સલાહ આપવા માટે મારે એક કાઉન્સિલ સ્થાપવી. લઘુમતીઓના પ્રશ્ન ઉપર તેમણે જાહેર કર્યું કે રાજ્યની જવાબદારી હું કોઈ એવી સંસ્થાને ન સોંપી શકું, જેની સત્તા વિશાળ અને બળવાન લઘુમતીઓ સ્વીકારવા તૈયાર ન હોય. એવી લઘુમતીઓને પરાણે તાબે થવાનું મારાથી કહી શકાય નહીં. ટૂંકમાં વાઈસરૉયની કારોબારી સમિતિમાં જુદા જુદા મતોનું અને વિચારોનું પ્રતિનિધિત્વ ધરાવતી વ્યક્તિઓને લઈ એને કંઈક વધુ વિશાળ બનાવવા સિવાય બીજી કશી મુદ્દાની વાત આમાં નહોતી. એ સમિતિને વાઈસરૉયને સલાહ આપવા સિવાય બીજી કશી સત્તા નહોતી. એની સલાહ વાઈસરૉયે માનવી જોઈએ એવું પણ તેમાં નહોતું. હિંદી વજીર મિ. એમરીએ આ જ પ્રકારનું જાહેરનામું તા. ૧૪મી ઑગસ્ટે બ્રિટિશ પાર્લમેન્ટમાં કર્યું. પાર્લમેન્ટમાં તેમને પુછાયેલા એક પ્રશ્નના ઉત્તરમાં તેમણે જે જવાબ દીધો તે ઉપરથી તો એમ જ જણાતું હતું કે હિન્દુસ્તાનની પરિસ્થિતિને તેઓ બિલકુલ ગંભીર લેખતા નહોતા. આ બધું કૉંગ્રેસ કારોબારી સમિતિની આંખ ઉઘાડી દેવાને માટે પૂરતું હતું.

કૉંગ્રેસ કારોબારીની બેઠક વર્ધામાં તા. ૧૮મી ઑગસ્ટે મળી. રાષ્ટ્રપતિની વિનંતીથી ગાંધીજી એ બેઠકમાં હાજર રહ્યા. પાંચ દિવસ સુધી વિચારણા કર્યા પછી કારોબારીએ એક લાંબો ઠરાવ પસાર કર્યો. તેમાં તેમણે જણાવ્યું કે,

૪૭૪