પૃષ્ઠ:Sardar Vallabhbhai Part II.pdf/૪૮૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૭૬
સરદાર વલ્લભભાઈ

હોય તો ભલે પાડે, પણ જે રાષ્ટ્રીયત્વ ઊભું થયું છે તેનો નાશ કદી નહીં થાય. અત્યારે તો તેઓ વિરોધી બળોને એકત્રિત કરી કૉંગ્રેસને કચડી નાખવા માગે છે. પણ ધીરા ખમો. ૧૫મી તારીખે મહાસમિતિ મળશે ત્યારે નિર્ણય થશે.
“અત્યાર સુધી સરકારે જે કંઈ કર્યું તે પ્રજાને રાજી કરીને કર્યું છે કે દબાવીને કર્યું છે ? એક પણ બંધારણનો સુધારો રાજીખુશીથી નથી કર્યો. ટોટે પકડાવાનો વખત આવ્યો ત્યારે થયું છે. ગઈ લડાઈમાં મદદ કરવાને પરિણામે રોલૅટ કાયદો કરવાનું પણ તેઓ ચૂક્યા નહોતા. આ લડાઈને પરિણામે શું કરવા જેવું રહેશે તે તો ભગવાન જાણે.
“છતાંયે દેશને સ્વાતંત્ર્ય મળતું હોય તો અમે મદદ કરવા તૈયાર થયા. એ માટે તો ગાંધીજીનો વિરોધ કર્યો. આપણી ત્રીસ વરસની નીતિ છોડવા તૈયાર થયા. પણ એ તો જો તેઓ પુરાવો આપે તો, મોઢે મોઢે કહે તેથી નહીં. આપણે માગણી કરી કે મધ્ય સરકારમાં રાષ્ટ્રીય રાજ્યતંત્ર દાખલ કરો. ‘સ્ટેટ્સમૅન’ જેવા ઍંગ્લો ઇન્ડિયન છાપાએ પણ કહ્યું કે, સરકારમાં જો મુત્સદીઓ હશે તો કૉંગ્રેસની ઑફર સ્વીકારી લેશે. કૉંગ્રેસે આવી ઓફર કરી કરી નથી, હવે પછી કદી કરશે પણ નહીં. હવે તો સૌ કૉંગ્રેસીઓ કહેશે કે, ‘રાઈના પહાડ તો રાતે ગયા.’ ‘તેરા તેલ ગયા તો મેરા ખેલ ગયા.’
“હવે તો આપણે મુંબઈમાં ગાંધીજીને સરદારી આપી દેવાના અને કહેશે તેમ કરવાના. સરકાર શું કરે છે તે શાંતિથી જોયા કરીશું. ભલે કામચલાઉ સરકાર ઊભી કરે. આપણા તો પરદેશીઓ પણ દુશ્મન નથી, તો દેશીઓ દુશ્મન શાના ? જો સરકારમાં એવી સત્તા હોય કે તે ઝીણા અને સાવરકરને સાથે બેસાડી શકે તો પછી કરવા જેવું બાકી શું રહ્યું ? ઉંદર બિલાડી અંદર શું કરે છે તે આપણે તો બહાર રહીને જોવું છે. બાકી દેશમાં રાષ્ટ્રીયત્વની જે ભૂખ લાગી છે તેને મારનાર શક્તિ આખા જગતમાં કોઈ નથી.
“અત્યારની લડાઈની પાછળ કોઈનું પાપ હશે ત્યારે જ આ બધું થતું હશે ને? કૉંગ્રેસ કહે છે કે આટલું પુણ્ય કરી લો તો સારું થશે. દોઢસો વરસથી અમારા ઉપર ચડ્યા છો તે ઊતરી જાઓ. તેઓ કહે છે અમે ઊતરી જઈએ તો તમારું શું થશે ? અલ્યા ભાઈ, દોઢસો વરસ રાજ્ય કર્યા પછી આ પૂછો છો તો અત્યાર સુધી તમે શું કર્યું ? આ તો પેલા ચોકીદાર જેવું થયું. ચોકીદાર માલિકને પૂછે છે કે હું જઈશ તો તારું શું થશે ? અલ્યા ભાઈ, તું તો જા. કાં બીજો ચોકીદાર રાખી લઈશું, કાં ચોકી કરતાં શીખી લઈશું. પણ આ ચોકીદાર તો જતો નથી. ને વારે વારે લઠ જ બતાવ્યાં કરે છે.
“બીજા સ્વતંત્ર મુલક જેવી હિન્દની સ્થિતિ હોત તો અત્યારે ટાપુમાં ભરાઈ જઈને ગોળા ખાવા પડે છે તે ખાવા પડત ?
“સલ્તનતનો ટોટો પકડાયો છે, ત્યારે પણ આપણને કહે છે કે તમે તમારું સ્વતંત્ર રાજ્ય ચલાવી શકો તેમ નથી. તમારામાં કુસંપ છે. અમારી નૈતિક જવાબદારી અમે છોડી શકતા નથી. એ નૈતિક જવાબદારીના પડદા પાછળની વસ્તુ ભયંકર છે. આપણે ત્યાં કયા પક્ષો અને હિતો છે એનું તો નામ નથી