આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૮૦
સરદાર વલ્લભભાઈ
- કર્યા વિના રહેવાય એમ નથી. બ્રિટિશ પ્રજા સામે તેમને કશો દ્વેષ હોઈ શકે નહી. તેને સંકડામણમાં નાખવાના ઇરાદાથી કાંઈ પણ કામ કરતાં કૉંગ્રેસને તેની સત્યાગ્રહની ભાવના રોકે છે. પણ આ સ્વેચ્છાએ સ્વીકારેલો સંયમ એટલી હદ સુધી ન લઈ જઈ શકાય કે જેથી કૉંગ્રેસની હસ્તી જ નાબૂદ થવા પામે. અહિંસા ઉપર રચાયેલી પોતાની નીતિને અનુસરવાની પૂરેપૂરી છૂટ પોતાને હોવી જોઈએ એવો આગ્રહ કૉંગ્રેસે રાખવો જ જોઈએ. છતાં જો અહિંસક પ્રતિકારની લડત અનિવાર્ય જ થઈ પડે તો તેને પ્રજાના સ્વાતંત્ર્યની રક્ષાને માટે આવશ્યક એટલી હદથી આગળ લઈ જવાને હાલ તુરત કૉંગ્રેસનો જરાયે ઇરાદો નથી.
- “કૉંગ્રેસની અહિંસાની નીતિને વિષે અમુક ગેરસમજ પેદા થઈ છે તે જોતા આ મહાસમિતિ ફરી વાર સાફ સાફ કહેવા માગે છે કે આ ગેરસમજ જેના પરથી થવા પામી તે અગાઉના ઠરાવમાં ગમે તે કહેવાયું હોય તોપણ અહિંસાની નીતિ ચાલુ છે. આ સમિતિ દૃઢતાપૂર્વક માને છે કે અહિંસાની નીતિ અને તેનું આચરણ કેવળ સ્વરાજની લડત માટે જ આવશ્યક છે, એમ નથી, સ્વતંત્ર હિંદુસ્તાનમાં પણ જેટલે અંશે તેનો પ્રયોગ શક્ય હોય તેટલે અંશે કરવાનો જ છે. આ સમિતિની દૃઢ પ્રતીતિ છે, અને જગતના તાજેતરના બનાવોએ એ બતાવી આપ્યું છે, કે જગતે જ જાદવાસ્થળી કરીને આત્મનાશ ન કરવો હોય ને પાછા રાનટી દશાને ન પહોંચવું હોય તો જગતમાં સંપૂર્ણ શસ્ત્રસંન્યાસ અને નવી વધારે ન્યાયી એવી રાજકીય અને આર્થિક સમાજરચના આવશ્યક છે. તેથી સ્વતંત્ર હિંદુસ્તાન, જગતના શસ્ત્રસંન્યાસની તરફેણમાં જ પોતાનું બધું વજન નાખશે. તેણે જાતે આ કામમાં પહેલ કરવાને અને આગેવાની લેવાને તૈયાર રહેવું જોઈએ. બેશક, એવી આગેવાનીનો આધાર બહારની અને અંદરની પરિસ્થિતિ ઉપર તો રહેશે જ. પણ હિંદુસ્તાનની રાષ્ટ્રીય સરકાર શસ્ત્રસંન્યાસની આ નીતિનો અમલ કરવાને પોતાથી બનતો બધો પ્રયત્ન કરશે. અસરકારક શસ્ત્રસંન્યાસનો અને રાષ્ટ્રો વચ્ચેના વિગ્રહનો અંત આણીને વિશ્વશાંતિની સ્થાપના કરવાનો આધાર છેવટે તો એ વિગ્રહોનાં અને રાષ્ટ્ર રાષ્ટ્ર, વચ્ચેના સંઘર્ષનાં કારણોના નિવારણ ઉપર રહે છે. એક દેશની બીજા દેશ ઉપરની શિરજોરી અને એક પ્રજા કે વર્ગને હાથે થતું બીજાનું શોષણ અટકાવીને જ આ કારણો મૂળમાંથી નાબૂદ કરી શકાય. એ ધ્યેયની સિદ્ધિ માટે હિંદુસ્તાન શાંતિપૂર્વક મહેનત કરશે. એ ધ્યેયની સિદ્ધિ માટે જ હિંદુસ્તાનની પ્રજા મુક્ત અને સ્વતંત્ર રાષ્ટ્રનું પદ પ્રાપ્ત કરવા ઇચ્છે છે. જગતની શાંતિ અને પ્રગતિની સિદ્ધિને અર્થે જગતનાં સ્વતંત્ર રાષ્ટ્રોના સંઘમાં નિકટપણે ભળવામાં હિંદની એ સ્વતંત્રતા મંગળાચરણરૂપ થઈ પડશે.”
ઉપરનો ઠરાવ પંડિત જવાહરલાલે રજૂ કર્યો અને સરદારે તેને ટેકો આપ્યો. પણ બેમાંથી એકેયે તેના ઉપર ભાષણ ન કરતાં, તે ઉપર બોલવા ગાંધીજીને વિનંતી કરી. ગાંધીજીએ બહુ લંબાણ વિવેચન કરીને લડાઈ શરૂ થઈ ત્યારથી અત્યાર સુધીનું કૉંગ્રેસનું વલણ બરાબર સમજાવ્યું. પોતે