પૃષ્ઠ:Sardar Vallabhbhai Part II.pdf/૪૯૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૮૬
સરદાર વલ્લભભાઈ

“અહીં બાળા સાહેબ, મંગળદાસ, અને હું ત્રણ મળી નિયમિત કાંતવાની ક્લબ કાઢી બેઠા છીએ, પણ હવે ગઈ વખતના જેટલું કાંતવાનું બનતું નથી. કારણ કે હવે શરીર એટલું કામ આપવાની ના પાડે છે.
“બાકી તો બધાંની ખાવાપીવાની બરાબર સંભાળ રાખું છું. આઠ જણ ભેળા થયા છીએ. મુંબઈના છ માજી પ્રધાન, એક કાઉન્સિલના પ્રમુખ અને એક સેન્ટ્રલ ધારાસભાના opposition લીડર (ભૂલાભાઈ) એટલા ભેળા પડ્યા છીએ. એટલે અમારો સંસાર ઠીક ચાલી રહ્યો છે. ઈશ્વરકૃપાથી બધાંની તબિયત સારી રહે છે.”

છતાં મુલાકાતો વિષે મુશ્કેલી હતી તે નીચેના ર૭-૧-’૪૧ના કાગળ પરથી જણાય છે :

“તમે મળવા માગો છો એને વિશે રજા મેળવવા ડાહ્યાભાઈએ કાગળ સુપરિન્ટેન્ડેન્ટને લખેલો. પણ અમારી મુલાકાતનો નિર્ણય તો સી. આઈ. ડી. નો વડો જેને ડી. આઈ. જી. કહે છે તેના હાથમાં છે. એની સાથે પત્રવ્યવહાર ચાલતો હશે. એનું છેવટ હજી કઈ આવ્યું નથી. એટલે આ પખવાડિયાની મુલાકાત પડી. તમને રજા નહીં મળે તો હું મુલાકાત લેવાનું બિલકુલ બંધ કરવાનો છું. તમારે મળવાનું શું કારણ છે એ જાણવા માગે છે. એનો અર્થ એ કે દરેક વખતે જે કોઈ પણ મિત્ર કે સંબંધી મળવા માગે તો પેલાને લખવું અને એ પછી ઈચ્છામાં આવે તો રજા આપે. સગાઓને મળવાની રજા સુપરિન્ટેન્ડેટ આપી શકે. એટલો અધિકાર હવે એને આપ્યો છે. પણ મારા તો સગા જ મારી જિંદગીના સાથી રહ્યા, અથવા સગા કરતાં પણ એ વધારે. તેને મળવામાં વાંધો આવે તો બીજાઓને મળીને શું કરવું ? બાપુની તબિયત સારી હશે. વળી છાપામાં પાછા એમના અપવાસ વિશે વાત આવી એટલે એ તો ભય હજી ઊભા જ રહ્યો છે.”

બાપુજી ઉપરનો તા. ૨૩–૪–’૪૧ના કાગળ પણ નીચે આપ્યો છે :

“પૂ. બાપુ,
“મહાદેવ સાથે આપે મોકલેલો કાગળ ગઈ કાલે મળ્યો. મારા કાગળ સીધા અહીંથી મળતા નથી. એ તો છૂપી પોલીસનો વડો સેન્સર કરીને પછી મોકલે ત્યારે મળે એટલે એક ગઈ કાલે મળ્યો. અક્ષર જોઈને જ બધાને ખૂબ આનંદ થયો. ઘણે લાંબે વખતે હસ્તાક્ષર જોવાના મળ્યા એટલે મળ્યા જેટલો જ આનંદ થયો. હું લખવાનો વિચાર ઘણા વખતથી કરતો હતો, પણ તમારા ઉપર એટલે બધા કામનો બોજો છે તેમાં વધારો કરવાના ડરથી મહાદેવને જ લખીને સંતોષ માનતો હતો. મહાદેવને પણ લખવાનું માંડી વાળ્યું હતું. કારણ તો મહાદેવ જાણે છે. આ વખતે અઠવાડિયે બે કાગળ લખવાની રજા છે, પણ તે બે કાગળ વખતસર મળે નહી અને એક કાગળની અંદર બીજા કોઈ ને જુદી કાપલી પણ ન લખી શકાય, એટલે કાગળ લખવાની કંઈ ઇચ્છા પણ થતી નથી. ડાહ્યાભાઈને લખુંં તો સાથે બાબાને કે એની વહુને પણ લખાય નહીં અને લખું તો એ કાગળ ગણાય એવા નિયમો હોવાથી અને વખતસર કાગળો ન મળવાથી એ છૂટ બહુ ઉપયોગી નથી. મુલાકાતમાં પણ આ વખત બહુ મુશ્કેલી છે, એટલે એમાં પણ જેલનો વડો કંઈ કરી શકે નહીં. સરકારની રજા મેળવવી જોઈએ અને એ