પૃષ્ઠ:Sardar Vallabhbhai Part II.pdf/૫૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૪
સરદાર વલ્લભભાઈ


સૌથી વધારે મહત્વનો પ્રશ્ન રાજ્યબંધારણને લગતો હતો. એ બાબતમાં લાંબી વાટાઘાટો પછી, અલબત્ત કારોબારીની મંજૂરીની અપેક્ષાએ, ગાંધીજીએ સ્વીકાર્યું કે, “હવે પછીની ચર્ચા ગોળમેજી પરિષદમાં ચર્ચાયેલી બંધારણની યોજનાનો વિચાર આગળ ચલાવવાના હેતુથી કરવામાં આવશે. જે યોજનાની રૂપરેખા ત્યાં આંકવામાં આવી છે તેનું ફેડરેશન (સમૂહ તંત્ર) એ એક અનિવાર્ય અંગ છે. તે જ પ્રમાણે કેટલીક બાબતો દા. ત. દેશનું રક્ષણ, પરદેશ સાથેના સંબંધો, લઘુમતી કોમોની સ્થિતિ, હિંદના દેવા લેણાની પતાવટ, વગેરેમાં હિંદુસ્તાનના હિત માટે સલામતીઓ તથા હિંદીઓની જવાબદારીઓ એ પણ એનાં અનિવાર્ય અંગો છે.” જેમ જમીનના પ્રશ્ન વિષે સરદારના મનનું સમાધાન નહોતું થતું તેમ આ રાજબંધારણી પ્રશ્ન વિષે જવાહરલાલજીને સંતોષ નહોતો થતો. કેદીઓના છુટકારાની બાબતમાં એકલા સત્યાગ્રહી કેદીઓને જ છોડવાના હતા. બીજાઓ જેમને અટકમાં લેવાયેલા હતા તેમના કે વ્યક્તિગત રીતે વિચારવાના હતા, તથા જે સોલ્જરો અને પોલીસો ઉપર ઉપરીના હુકમના ભંગને સારુ કેસો થયા હતા તેમને કશી રાહત આપવામાં આવી નહોતી. આવી બધી બાબતોમાં કારોબારીના સભ્યોને સંતોષ નહોતો. ગાંધીજીનું કહેવું એમ હતું કે આપણે જ્યારે સમાધાન કરવા જઈએ છીએ ત્યારે બધું આપણી મરજી પ્રમાણે થતું નથી. છતાં કોઈ એક મુદ્દા ઉપર અથવા તો બધા મુદ્દા ઉપર તમારે વાટાઘાટો તોડી નાખવી હોય તો હું તેમ કરવા તૈયાર છું. છેવટે બધા સભ્યોએ ગાંધીજીની સલાહ માની, અને જવાહરલાલજી જેઓને આ સમાધાની જરાયે ગમતી નહોતી તેઓ પણ ગાંધીજી ઉપર શ્રદ્ધા રાખી સમાધાન કબૂલ કરવા તૈયાર થયા.

બારડોલી અને બોરસદ તાલુકાના જે ખેડૂતોના ઊભા પાક લૂંટાઈ ગયા હતા, જપ્તીઓમાં જેમનો કીમતી માલ કોડીની કિંમતે વેચાઈ ગયો હતો તથા જેમની લાખો રૂપિયાની જમીન ખાલસા થઈને બીજાઓને વેચાઈ ગઈ હતી તેમને આ સંધિથી નિરાશા થાય એ સ્વાભાવિક હતું. તેમને સમાધાનીનું રહસ્ય સમજાવતાં ગાંધીજીએ કહ્યું :

“આ સંધિ એ લડતનો અંત નથી. લડતનો અંત તો સ્વરાજ મળ્યા પછી જ આવશે, અને કદાચ સ્વરાજ મળ્યા પછી પણ ન આવે. કારણ સ્વરાજ સરકાર સામે પણ સત્યાગ્રહ કરવાને પ્રસંગ આવે. આજે તો જે સંધિ થઈ છે તે સ્વરાજની મજલમાં એક આગળ પગલું છે. હવે જે લેવાનું રહ્યું છે તે વાતચીત, ચર્ચા, વાટાઘાટથી લેવાનું છે. તમને થયેલા નુકસાનનો બદલો તમને અપાવવાની મેં તમને વાત કરી હોય કે સરદારે કરી હોય એવું મને સ્મરણ