પૃષ્ઠ:Sardar Vallabhbhai Part II.pdf/૫૧૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૫૦૭
ક્રિપ્સ વિષ્ટિ


સર સ્ટેફર્ડ ક્રિપ્સે ‘બહુમતીની જોહુકમી સત્તા’ એવા શબ્દો પોતાના છેલ્લા નિવેદનમાં વાપર્યા હતા. જવાહરલાલજીએ વર્તમાનપત્રોના પ્રતિનિધિઓની તા. ૧૨મી એપ્રિલની પરિષદમાં તેનો નીચે પ્રમાણે જવાબ આપ્યો :

“હું બિલકુલ સ્પષ્ટ કરવા માગું છું કે છેલ્લી તારીખના બે કાગળો સિવાય અમારી આખી વાતચીત અને પત્રવ્યવહાર દરમ્યાન કોઈ પણ તબક્કે બહુમતીની સત્તાના પ્રશ્નનો રજ પણ ઉલ્લેખ થયો નહોતો. કારણ એ વસ્તુ અમને પોતાને જ બહુ નાપસંદ છે. અમે તો મિશ્ર પ્રધાનમંડળની વાત જ સ્વીકારી હતી. તેમાં દેશનાં જુદાં જુદાં મંડળોની અને જુદી જુદી વિચારસરણીઓ ધરાવતી વ્યક્તિઓ આવે. મુસ્લિમ લીગના સભ્યો, હિન્દુ મહાસભાના સભ્યો અને શીખો પણ આવે. આવી રાષ્ટ્રીય સરકારને કામ ચલાવવું બહુ મુશ્કેલ પડે તે જાણતા હોવા છતાં અમે એ વસ્તુ સ્વીકારી હતી. કાઉન્સિલમાં અમુક મંડળની સંખ્યા કેટલી હશે તેની ચર્ચા કોઈ પણ તબક્કે અમે કરી નથી. તે અગત્યની હોવા છતાં અમે ચર્ચા ન કરી કારણ કે, કૉંગ્રેસ તરફથી બોલતાં કૉંગ્રેસને આ જોઈએ છે કે તે જોઈએ છે, એ વસ્તુ ઉપર અમે ભાર મૂક્યો જ નહોતો. કૉંગ્રેસને માટે કોઈ જાતની સત્તા અમે માગી જ નથી. રાષ્ટ્રીય સરકારને કેટલી સત્તાઓ હોવી જોઈએ એ શબ્દોમાં જ અમે વાત કરી છે. રાષ્ટ્રીય સરકારમાં કોણ હોય અને કયા મંડળની કેટલી સંખ્યા હોય તેની ચર્ચા થઈ નથી. અમે તો આખી રાષ્ટ્રીય સરકારની જ વાત કરી છે. અને એ રાષ્ટ્રીય સરકારને કેટલી સત્તાઓ હોય તેની ચર્ચા કરી છે. કોઈ પણ રૂપમાં કોમી સવાલની ચર્ચા થઈ નથી. સિવાય કે સર સ્ટેફર્ડ ક્રિપ્સ વારંવાર એક સૂત્ર ઉચ્ચારતા હતા ખરા કે તેમને તો ત્રણ પક્ષે — બ્રિટિશ સરકાર, કૉંગ્રેસ અને મુસ્લિમ લીગ — એમની વચ્ચે સમજૂતી થઈ જાય એ વસ્તુ સાથે નિસ્બત છે. બીજાઓ સંમત થાય કે નહીં તેની એમને પડી નહોતી. આ ત્રણમાંથી કોઈ સંમત ન થાય તો આખી વિષ્ટિ પડી ભાંગે ખરી.”

તા. ૧૦મી એપ્રિલે કારોબારી સમિતિએ પોતાનો ઠરાવ બહાર પાડ્યો. તેમાં જણાવ્યું કે,

“દરખાસ્તોમાં જે ભવિષ્યની યોજના છે તે કોમી માગણીને પહોંચી વળવાને માટે કરેલી જણાય છે. પણ તેમાંથી બીજાં ઘણાં અનિષ્ટ પરિણામો નીપજે એમ છે. જુદી જુદી કોમોમાં રાજદ્વારી દૃષ્ટિએ પ્રગતિવિરોધી અને તદ્દન જુનવાણી વિચારો ધરાવતાં મંડળો છે. તેમને મુશ્કેલીઓ ઊભી કરવામાં ઉત્તેજન આપે અને દેશ આગળ જે મહત્વના પ્રશ્નો પડેલા છે તે જતા કરી બીજી બાબતો પર લોકોનું ધ્યાન દોરે એવી એ યોજના છે. તાત્કાલિક યોજના વિષે ઠરાવમાં જણાવ્યું કે હિન્દીઓને યુદ્ધને વિષે ત્યારે જ ઉત્સાહ ચડે જ્યારે તેઓને લાગે કે તે સ્વતંત્ર છે, અને પોતાની સ્વતંત્રતાના રક્ષણને માટે પોતાને લડવાનું છે. લોકો ઉપર પૂરેપૂરો વિશ્વાસ મૂકવામાં આવે અને રક્ષણ બાબતની જવાબદારી તેમને