પૃષ્ઠ:Sardar Vallabhbhai Part II.pdf/૫૧૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૫૦૮
સરદાર વલ્લભભાઈ

સોંપવામાં આવે ત્યારે જ તેમનામાં યુદ્ધપ્રયાસ વિશે ઉષ્મા પ્રગટે. હિંદુસ્તાનની અત્યારની સરકાર તેમ જ તેમના પ્રાન્તિક આડતિયાઓમાં કાર્યક્ષમતાનો અભાવ છે અને હિંદુસ્તાનના રક્ષણનો બોજો ઉઠાવવાની શક્તિ નથી. હિન્દુસ્તાનના લોકો જ પોતાના માનીતા પ્રતિનિધિઓ મારફત આ બોજો યોગ્ય રીતે ઉપાડી શકે એમ છે. પણ એમને તત્કાળ સ્વતંત્રતા આપવામાં આવે અને રક્ષણની પૂરી જવાબદારી એમને માથે નાખવામાં આવે ત્યારે જ એ બની શકે.”

હિન્દુસ્તાનના બીજા પક્ષોએ પણ ક્રિપ્સ સાહેબની દરખાસ્તોનો અસ્વીકાર કર્યો. મુસ્લિમ લીગ, હિંદુ મહાસભા, દેશી રાજ્યોની પ્રજા પરિષદ, મોમિન પરિષદ, દલિત વર્ગોના અને વિનીત વર્ગના નેતાઓએ લાંબા ઠરાવો કરી અથવા લાંબી યાદીઓ મોકલી જુદાં જુદાં કારણોસર કિપ્સની દરખાસ્તો નકારી. એટલે ક્રિપ્સ સાહેબ વિલાયત ઊપડી ગયા. ત્યાં ગયા પછી તેમણે જે પ્રચાર કરવા માંડ્યો એમાં તો જૂઠાણાની હદ વાળી. તા. ૨૮મી એપ્રિલે પાર્લમેન્ટમાં લાંબુ ભાષણ કરી વિષ્ટિ નિષ્ફળ જવાનો બધો દોષ તેમણે કૉંગ્રેસ ઉપર ઢોળ્યો. એક ભાષણમાં એઓ એવું બોલ્યા કે, “કૉંગ્રેસની કારોબારી સમિતિએ તો આ દરખાસ્ત સ્વીકારવાનો ઠરાવ પણ કર્યો હતો પરંતુ મિ. ગાંધી વચ્ચે પડ્યા અને કારોબારી સમિતિએ પોતાનો ઠરાવ ફેરવ્યો.” રેડિયેા ઉપર અમેરિકા જોગું ભાષણ કરતાં તેઓ બોલ્યા કે, “અમે તો હિંદુસ્તાનના પ્રતિનિધિત્વ ધરાવતા રાજદ્વારી નેતાઓને વાઈસરૉયની કાઉન્સલમાં સ્થાન આપવાનું કહ્યું હતું. તમારા પ્રમુખને સલાહ આપનારા પ્રધાનોના જેવું તે સ્થાન હતું.” આ જૂઠાણાના ગાંધીજીએ, રાષ્ટ્રપતિએ તથા પં. જવાહરલાલજીએ જડબાતોડ જવાબ આપ્યા. તેમાં ઊતરવાની જરૂર નથી. સરદારે આ યોજના અને વાટાઘાટો વિષે ગુજરાતનાં કેટલાંક ભાષણોમાં જે ઉદ્‌ગારો કાઢ્યા છે તે નીચે આપી આ પ્રકરણ પૂરું કરીશું :

“ત્યાર બાદ બ્રિટિશ સલ્તનતના પ્રતિનિધિ સર સ્ટેફર્ડ ક્રિપ્સ હિંદમાં આવ્યા. કૉંગ્રેસના ઘણા નેતાઓના તે મિત્ર હતા. તેથી તે નેતાઓને અને બીજા ઘણા માણસોને એમ લાગ્યું કે એ પ્રગતિકારી વિચારના માણસ છે એટલે એને મોકલવામાં હિંદ સાથે સમજૂતી કરવાની સરકારની દાનત શુદ્ધ હશે, એમ માનીને ક્રિપ્સે આણેલી દરખાસ્તો ઉપર વિચાર કરવાનો અમે નિર્ણય કર્યો. કૉંગ્રેસના પ્રમુખ મૌલાના સાહેબને તેની સાથે વાટાઘાટો કરવાનો અને ઠીક લાગે તો તે કારોબારી સમિતિ આગળ રજૂ કરવાનો અમે અધિકાર આપ્યો. પણ સર સ્ટેફર્ડને લાગ્યું કે કૉંગ્રેસને પછીથી બાલાવીશું તો ચાલશે. પણ ગાંધીજી વિના ગાડું આગળ ચાલવાનું નથી. એટલે તાર કરી ગાંધીજીને બોલાવ્યા. ગાંધીજીએ જણાવ્યું કે, આમાં મારું કાંઈ કામ નથી. હું પોતે તો દરેક હિંસક યુદ્ધનો વિરોધી છું, અને કૉંગ્રેસથી છૂટો થઈ ગયેલો છું. છતાં તમારો આગ્રહ છે તો મળવા આવીશ.