પૃષ્ઠ:Sardar Vallabhbhai Part II.pdf/૫૧૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૫૦૯
ક્રિપ્સ વિષ્ટિ

“એમ ગાંધીજી દિલ્હી ગયા. પણ ત્યાં તેમણે જે જોયું તેથી તેમને ચીતરી ચડી. અને સરકાર તથા બ્રિટિશરો પ્રત્યે તેમને જે ભાવ હતો તે સાવ ઊડી ગયો. એમણે સર સ્ટેફર્ડને ચોખ્ખું સુણાવી દીધું કે એમરી જેવો કોઈ નાગો માણસ આવી દરખાસ્તો લઈને આવ્યો હોત તો સમજી શકાત. પણ તમે તો હિંદના અને રશિયાના પણ મિત્ર ગણાવ છો. તમે આગળપડતા વિચાર ધરાવનારા છો. તમને આ શું સૂઝ્યું? આ પાપ, આ ઝેર હિંદને ગળે ઉતારવા તમે ક્યાંથી આવ્યા?
“પછી ગાંધીજી તો ચાલ્યા ગયા. પણ કૉંગ્રેસે ક્રિપ્સની દરખાસ્તોની સ્વતંત્ર પરીક્ષા કરવા અને એ શું છે તે જાણવા એક નહીં, બે નહીં, ત્રણ નહીં, પંદર દિવસ સુધી વિચાર ને વાટાઘાટો કરી. પ્રથમ તો સર સ્ટેફર્ડે મીઠી મીઠી વાતો કરી એમ પણ કહ્યું કે જેવી રીતે ઇંગ્લંડમાં શહેનશાહ રાજ કરે છે તેવી રીતે વાઈસરૉય પણ હિંદમાં વર્તશે. એની દરખાસ્તોની બીજી વાતો, જેવી કે હિંદના ટુકડા કરવા, રાજાઓને હિંદીસંઘમાં ભળવા ન ભળવાનું પૂછવું, વગેરે બાબતને બાજુ પર રાખવા કૉંગ્રેસે કહ્યું. અત્યારે તમે શું કરવા માગો છે, તે જાણવા માગ્યું. કારણ ભવિષ્યમાં તમે સ્વતંત્રતા આપશો તેની અત્યારે શી વાત કરવી ? ભવિષ્યમાં તમારી પાસે સ્વતંત્રતા આપવા જેવું કંઈ રહેશે તો આપશો ને ? તે વખતે એની વાત કરીશું. પણ આજે શું આપો છો ? મરી ફીટીએ એવી લાગણી લોકોમાં પેદા કરી શકીએ એવું કંઈ તમે આપતા હો તો કહો. આટલે લગી મીઠી મીઠી વાતો કરીને છેલ્લે દિવસે તેમણે મૌલાના આઝાદ પર કાગળ લખ્યો કે અત્યાર લગી કરેલી વાતમાં તમે ફરી ગયા છો. કારણ કે તમે તો નેશનલ ગવર્નમેન્ટ માગો છો. ખરી વાત તો એ હતી કે પોતે ફરી ગયો હતો છતાં એણે કૉંગ્રેસ પર જૂઠો આરોપ મૂક્યો.”

“યુદ્ધ પછી છેલ્લામાં છેલ્લી ઑફર થઈ છે તે ક્રિપ્સ ઑફર છે. એના જેવી ખોટી અને ધોખાબાજ યોજના આજ સુધી બીજી કોઈ આવી નથી. એ યોજનાની અંદર લડાઈ પછી બ્રિટિશ સત્તા હિંદમાં કાયમ રહે એ પ્રકારની પ્રપંચી સગવડ ભરેલી છે. કૉંગ્રેસના (હિંદ છોડી જાઓના) નિર્ણય માટે એ યોજના જ જવાબદાર છે. જો હિંદ ઉપર નજીકમાં આક્રમણનો ભય ઊભો થયો ન હોત તો હજી અમે થોભત, પણ હિંદ પર જે ભય ઝઝૂમી રહ્યો છે તે જોતાં તેનો સામનો કરવા ખાતર હિંદની પ્રજાને પૂરેપૂરી છૂટ, પૂરેપૂરી સ્વતંત્રતા મળવી જોઈએ. અંગ્રેજો હિંદના બચાવ માટે નહીં પણ પોતાની સત્તા કાયમ રાખવા માટે લડે છે. જો હિંદના બચાવ માટે લડતા હોય તો કૉંગ્રેસની માગણી સ્વીકારવામાં એમને કશી અડચણ ન પડવી જોઈએ.

“ક્રિપ્સ મિશન તો એક ખોટો સિક્કો હતો. એના ઘડનારાઓની દાનત કાળી હતી. એમાં અપ્રામાણિકતા અને ધોખાખાજી હતી. જતે જતે ક્રિપ્સ પોતે જ