પૃષ્ઠ:Sardar Vallabhbhai Part II.pdf/૫૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૯
કરાંચી કૉંગ્રેસના પ્રમુખ


છેવટે કરાંચી કોંગ્રેસના થોડા દિવસ અગાઉ જ ભગતસિંગ અને તેના સાથીઓને ફાંસી દેવાઈ. નવજુવાનો ખૂબ ઉશ્કેરાયા. ગાંધીજી અને સરદાર કરાંચી સ્ટેશને પહોંચ્યા તે વખતે નવજુવાનો તેમની આગળ કાળા વાવટા અને કાળાં ફૂલો ધરી પોતાનો વિરોધ દર્શાવવા ઇચ્છતા હતા. ગાંધીજીએ કૉંગ્રેસના બધા સ્વયંસેવકોને સૂચના કરી કે એમને રોક્યા વિના મારી પાસે આવવા દે. પહેલાં મારે એમનું સ્વાગત સ્વીકારવું છે. તેઓ આવ્યા એટલે ગાંધીજીએ કહ્યું કે આ કાળાં ફૂલ મારી અને સરદારની ઉપર નાખવાં હોય તો તેમ કરો નહીં તો અમને હાથમાં આપો. તેમને એ પણ કહ્યું કે અમને કાળાં ફૂલથી વધાવવાનો તમને હક છે, તમને અમારા ઉપર રોષ કરવાનો પણ હક છે. યુવાનોએ ફૂલો માથા ઉપર વેરવાને બદલે હાથમાં આપ્યાં. ગાંધીજીએ કહ્યું તમારા આ વિનય માટે હું તમારો બહુ આભારી છું. ગાંધીજીનું આવું શાંત અને વાત્સલ્યપૂર્ણ વર્તન જોઈ યુવાનો શરમાયા. તેમના દિલમાં ગાંધીજી કે સરદાર પ્રત્યે અનાદર તો નહોતો જ, માત્ર પોતાની લાગણીનો ઊભરો તેમની આગળ તેઓ ઠાલવવા માગતા હતા.

સરદારનું પ્રમુખ તરીકેનું ભાષણ બહુ ટૂંકું હતું. પોતાને કૉંગ્રેસના પ્રમુખ નીમવામાં આવ્યા છે તે પોતાની નહીં, પણ ગુજરાતની કદર કરવા માટે છે એમ કહેતાં તેમણે જણાવ્યું :

“મારા જેવા સીધાસાદા ખેડૂતને તમે દેશના પ્રથમ સેવકના પદને માટે ચુંટ્યો તે મારી સ્વલ્પ સેવાની કદરના કરતાં ગુજરાતે ગયા વર્ષના યજ્ઞમાં જે અદ્‌ભુત બલિદાન આપ્યાં છે તેની કદર કરવાને અર્થે છે, એ હું સારી રીતે સમજી છું. ગુજરાત પ્રાંતને એ માનને માટે તમે પસંદ કર્યો એ તમારી ઉદારતા છે. બાકી સાચી વાત તો એ છે કે આ જમાનાની અપૂર્વ જાગૃતિના ગયા વર્ષમાં કોઈ પ્રાંતે બલિદાન આપવામાં કશી કચાશ રાખી નથી. દયાળુ પ્રભુનો પાડ છે કે એ જાગૃતિ એ સાચી આત્મશુદ્ધિની જાગૃતિ હતી.”

ભગતસિંગની ફાંસી વિષે બોલતાં કહ્યું :

“નવજુવાન ભગતસિંગ, સુખદેવ અને રાજગુરુને થોડા જ દિવસ ઉપર ફાંસી મળી છે તેથી દેશને પારાવાર ઉકળાટ થયો છે. એ યુવકોની કાર્ય પદ્ધતિની સાથે મારે નિસ્બત નથી. બીજા કોઈ પણ હેતુને માટે ખૂન કરવું તેના કરતાં દેશને માટે કરવું એ ઓછું નિંદ્ય છે એમ હું માનતો નથી. છતાં ભગતસિંગ અને તેના સાથીઓની દેશભક્તિ, હિંમત અને બલિદાન આગળ મારું શિર ઝૂકે છે. આ યુવાનોને થયેલી ફાંસીની સજા બદલીને દેશનિકાલની કરવામાં આવે એવી લગભગ આખા દેશની માગણી છતાં સરકારે એમને ફાંસી દઈ દીધી છે, એ હાલનું રાજતંત્ર કેટલું હૃદયશૂન્ય છે એ પ્રગટ કરે છે.”

સંધિ વિષે બોલતાં કહ્યું :