પૃષ્ઠ:Sardar Vallabhbhai Part II.pdf/૫૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૫૦
સરદાર વલ્લભભાઈ


“આપણે આ સમાધાની ન સ્વીકારી હોત તો આપણો દોષ ગણાત અને ગયા વર્ષની તપશ્ચર્યા બધી ધોવાઈ જાત. આપણે તો સત્યાગ્રહી તરીકે હંમેશાં દાવો કરવો જોઈએ અને કર્યો છે કે આપણે હંમેશાં સુલેહ માટે તૈયાર છીએ એટલું જ નહીં પણ ઉત્સુક છીએ. એટલે જ્યારે સુલેહ માટે દ્વાર ખુલ્લું દેખાયું ત્યારે આપણે તેનો લાભ લીધો. ગોળમેજી પરિષદમાં ગયેલા આપણા દેશબંધુઓએ સંપૂર્ણ જવાબદારીવાળા તંત્રની માગણી કરી. બ્રિટિશ પક્ષોએ એ માગણી સ્વીકારી. અને તે પછી વડા પ્રધાને, વાઈસરૉયે અને આપણા કેટલાક પ્રસિદ્ધ નેતાઓએ કૉંગ્રેસના સહકારની માગણી કરી. તે ઉપરથી કૉંગ્રેસની કારોબારીને લાગ્યું કે જો માનભરી સુલેહ થઈ શકે તો અને કશીયે શરતો અને કાપકૂપ વિના પૂર્ણ સ્વરાજ માટે માગણી કરવાના કૉંગ્રેસનો હક સ્વીકારાતો હોય તો કૉંગ્રેસે ગોળમેજી પરિષદમાં જવાનું આમંત્રણ સ્વીકારવું અને બધા પક્ષ સ્વીકારી શકે એવું તંત્ર ઘડવાના પ્રયત્નમાં સહકાર દેવો. આ પ્રયત્નમાં આપણે નિષ્ફળ જઈશું અને તપશ્ચર્યાના માર્ગ સિવાય બીજો રસ્તો નહીં રહે તો તે લેવાને આપણને અટકાવનાર પૃથ્વી ઉપર એકે શક્તિ નથી.”

કૉંગ્રેસ આગળ મુખ્ય ઠરાવ ગાંધી-અર્વિન કરારથી થયેલી સંધિને બહાલી આપવાનો હતો. ઉપર કહેવાઈ ગયું છે કે આ સંધિ નવજુવાનોને પસંદ પડી નહોતી. તે વખતે કૉંગ્રેસમાં નવજુવાનોના મધ્યમમાર્ગી નેતા જવાહરલાલ નેહરુ હતા અને અંતિમમાર્ગી નેતા શ્રી સુભાષ બોઝ હતા, એમ કહેવાય. પંડિત જવાહરલાલને સંધિ પસંદ પડી નહોતી તે સંધિની શરતોને કારણે નહોતું, પણ એમના અભિપ્રાય પ્રમાણે સંધિમાં પૂર્ણ સ્વરાજના તત્ત્વનો એમને ત્યાગ થયેલો લાગતો હતો તે કારણે હતું. છતાં ગાંધીજી પ્રત્યેની ભક્તિને લીધે અને તેમની સમજાવટને કારણે સંધિની બાબતમાં એમણે પોતાના મનને મનાવી લીધું હતું. અને કૉંગ્રેસની બેઠકમાં સંધિના ઠરાવ એમણે જ રજૂ કર્યો. તે રજૂ કરતાં તેમણે પોતાની મનોવ્યથાના દરેક ક્રમનો ઈતિહાસ કહી સંભળાવ્યો. આટલી મનોવ્યથા પછી જ્યારે સંધિને બહાલી આપવાનો ઠરાવ રજૂ કરવાને પોતે ઊભા થાય છે ત્યારે એ ઠરાવમાં કંઈક રહસ્ય હશે, એમ તેમણે નવજુવાનોને સૂચન કર્યું. તેમની દર્દભરી વાણીએ શ્રોતાઓનાં હૃદય ઉપર ઊંડી અસર કરી અને ગાંધીજીનું તથા સરદારનું કામ અતિશય સહેલું કરી મૂક્યું. અંતિમમાર્ગી સુભાષબાબુએ પણ ઠરાવનો વિરોધ ન કરતાં તેને ટેકો આપ્યો. એટલે નવજુવાનો શાંત થયા, પછી ગાંધીજીએ યુવાનોને સમજાવતાં કહ્યું :

“આપણા નવજુવાન ભાઈઓ અને બહેનોને સંધિથી દુઃખ થયું છે. તેમને માટે મારા દિલમાં પ્રેમ સિવાય બીજું કશું નથી. એમનું દુઃખ હું સમજી શકું છું. એમને આ સંધિ વિશે શંકા ઉઠાવવાનો પૂરેપૂરો હક છે. મારા દિલમાં એમના વિરોધથી ચીડ નથી થતી, ગુસ્સો પણ નથી આવતો. આપણે ગોળમેજી પરિષદ