પૃષ્ઠ:Sardar Vallabhbhai Part II.pdf/૫૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૫૧
કરાંચી કૉંગ્રેસના પ્રમુખ


સામે ભારે વિરોધ દર્શાવેલો. એ પરિષદમાંથી કશું ન મળે એવું પણ કહેલું. ત્યારે એવું શું બની ગયું છે કે જેથી આપણને લાગે છે કે એ પરિષદમાં જવાથી કાંઈ લાભ થવાનો છે ? મારામાં કાંઈ જાદુ નથી, કે નથી કૉંગ્રેસમાં કાંઈ જાદુ, જેથી ગોળમેજી પરિષદની વૃત્તિ બદલાઈ જાય અને બધું મળી રહે. એટલે તમે મારી પાસેથી સારી રીતે સમજી લો કે હું એવું વચન નથી આપવા માગતો કે અમે ગોળમેજી પરિષદમાં જઈશું એટલે પૂર્ણ સ્વરાજ મળી જશે. મારા મનમાં એ વિષે પૂરેપૂરો શક છે. ઘણી વાર થાય છે કે આ પરિષદમાં જઈને આપણે શું કરશું ? આજે જે આપણે માગીએ છીએ તેની અને આજ સુધી ગોળમેજી પરિષદ આગળ ધરવામાં આવ્યું છે તેની વચ્ચે એવડો મોટો દરિયો છે કે ત્યાં જઈને શું કરશું, એ શંકા દિલમાંથી નીકળતી જ નથી.
“પણ જે વસ્તુ અમુક સંજોગોમાં ધર્મ થઈ પડે છે તે જો ન કરીએ તો પાપ થાય. સત્યાગ્રહનો કાયદો છે કે જેની સામે સત્યાગ્રહ કરી રહ્યા હોઈએ તેની સાથે મસલત કરવાનો વખત આવે ત્યારે મસલત કરવી. આપણી પ્રાર્થના એ હોય કે જેને આપણે દુશ્મન માનીએ તેની સાથે પ્રેમ કરીને તેને જીતી લઈએ. સત્યાગ્રહીની પ્રતિજ્ઞા તો દુશ્મનને પ્રેમથી જીતવાની છે. જો સત્યાગ્રહમાં પ્રેમ ન હોય પણ વેરઝેર હોય તો એ સત્યાગ્રહી નહીં પણ દુરાગ્રહી કહેવાય. પણ કૉંગ્રેસના ધ્યેયમાં તો દુરાગ્રહને સ્થાન નથી, એમાં તો માત્ર સત્ય અને અહિંસાને સ્થાન છે. એટલે આપણે માનીએ કે જેની સામે સત્યાગ્રહ કર્યો તેની સાથે સંધિ થઈ જ ન શકે તો એ મોટી ભૂલ છે. એ ભૂલ દૂર કરવી જોઈએ. એટલે જોકે મને આ વસ્તુમાંથી કશું નીપજવા વિષે શંકા છે તોપણ જ્યારે આપણને નિમંત્રણ દેવામાં આવ્યું છે, જ્યારે આપણને કહેવામાં આવે છે કે તમારે શું જોઈએ છે, તે અમને આવીને સંભળાવો અને સમજાવો, લડ્યા કરવાને બદલે અમને જાણવા દો કે તમારી શી માગણી છે, ત્યારે આપણે ત્યાં જવું જ જોઈએ. …
“આ સંધિમાં આપણને શરમ લાગે એવી એક પણ વાત નથી. આ સંધિમાં અમુક વસ્તુ કેમ નથી આવી, અમુક વસ્તુ કેમ રહી ગઈ છે એ અહીં સમજાવવા નથી માગતો પણ એ સંધિ કરવાનો કારોબારી સમિતિનો કેમ ધર્મ થઈ પડ્યો હતો તે તમને સમજાવ્યું. કારોબારી સમિતિને સરકારે જ્યારે છોડી ત્યારે તેણે કાં તો સવિનય ભંગ કરીને પાછા જેલમાં ચાલ્યા જવું, કાં તો કંઈક બીજું પગલું ભરવું, એ એનો ધર્મ થઈ પડ્યો. એ પગલું આપણે ન ભર્યું હોત અને સવિનય ભંગ કરીને જેલમાં જાત તો જગતમાં આપણી નામના નહોતી થવાની, પણ આપણી બદનામી થાત.
“આપણે આ સંધિ થાકીને નથી કરી. એક ભાઈએ કહ્યું, અમે તો એક વર્ષ વધારે લડાઈ ચલાવવાને માટે તૈયાર હતા. એ વાત હું પણ માનું છું. હું તો તેથી આગળ જઈને કહું છું કે એક નહીં પણ વીસ વર્ષ આપણે લડાઈ ચાલુ રાખી શકતા હતા. સત્યાગ્રહી તો બીજા બધા થાકીને કંટાળી જાય તો પણ એકલો લડ્યા કરે. એટલે આપણે થાક્યા તેથી કારોબારી સમિતિને સંધિ કરવી પડી એ વાત બરાબર નથી. એવી રીતે થાકીને જે સત્યાગ્રહ બંધ કરે છે તે ઈશ્વરને છેતરે છે, પ્રજાને છેતરે છે, દેશને છેતરે છે. પણ એવી રીતે આ સંધિ