પૃષ્ઠ:Sardar Vallabhbhai Part II.pdf/૫૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૫૨
સરદાર વલ્લભભાઈ


થઈ જ નથી. આ સંધિ થઈ કારણ એ થવી જોઈતી હતી. આપણામાં લડવાની શક્તિ હોય માટે લડ્યા જ કરવું જોઈએ એમ તો ન જ કહેવાય અને આવતી સાલ સુધી લડત તોયે પાછી આવી આ જ વાત આવીને ઊભી રહેત. ત્યારે શું તમે પાછા એમ કહેત, ‘ના, અમે તો લડ્યાં જ કરવાના ?’ જે સિપાઈ એમ કહે કે હું તો લડ્યાં જ કરીશ તો તો એ મિથ્યાભિમાની કહેવાય. એ ઈશ્વરનો ગુનેગાર બને છે. એટલે જે સંધિ થઈ એ થવી જોઈતી જ હતી.”

નવજુવાનોની એક ખાસ સભા આગળ ગાંધીજીએ કહ્યું :

“ભાઈ, સંધિને સમજવાનો પ્રયત્ન કરો. મારો તો આખી જિંદગી સંધિ કરવાનો, લડવાનો, વળી પાછા સંધિ કરવાનો ધંધો રહ્યો છે. આપણે તો એ જોવાનું હતું કે આપણે સાચા રસ્તા ઉપર છીએ કે કેમ, જેથી આપણને જગતમાં કોઈ પણ ઉતાવળું અને અવળું પગલું લેવાને માટે નિંદી ન શકે. ચાળીસ વર્ષ થયાં જેણે આ જ પ્રકારનું કામ કર્યું છે અને કંઈક અંશે સફળતા મેળવી છે તેના અનુભવોનો તો જરા ખ્યાલ કરો. કરોડો લોકોમાં ચેતન આવી ગયું છે. કરોડો ખેડૂતો નિર્ભય થઈને બેઠા છે, તે શું કશા કાર્ય કે પ્રયત્ન વિના થયું ? એ મેં કર્યું એવો દાવો હું નથી કરતો. હું તો નિમિત્ત હતો. પણ જે વસ્તુ હિંદુસ્તાનની આગળ મૂકવાનો પ્રયત્ન આ પંદર વર્ષ થયાં હું કરી રહ્યો છું તે વસ્તુએ લોકોમાં ચેતન આપ્યું છે એ વિશે તો શંકા નથી જ. તમારી બહાદુરી, તમારો ત્યાગ, મને ગ્રાહ્ય છે. એ ત્યાગને અહિંસાની શક્તિ સાથે જોડો.”

બીજો ઠરાવ ભગતસિંંગને અને એના મિત્રોને અપાયેલી ફાંસી વિષે હતો. એ ઠરાવ પણ જવાહરલાલે રજૂ કર્યો. તેઓ બોલ્યા,

“આ ઠરાવ રજૂ કરવાને માટે મારે બદલે એ ઠરાવના ઘડનાર અહિંસાના પૂજારી હોત તો, જેણે હિંસાના મંત્રનું પાલન કરીને પોતાના જીવનનું બલિદાન આપ્યું છે તેની તારીફ કરનારો આ ઠરાવ ગાંધીજીએ રજૂ કર્યો હોત તો એ વૃધારે ઉચિત થાત.”

ભગતસિંગવાળો ઠરાવ નીચે આપ્યો છે :

“આ કૉંગ્રેસ કોઈ પણ રીતની અથવા કોઈ પણ રૂપની રાજદ્વારી હિંસા સાથે નિસ્બત રાખતી નથી. છતાં સરદાર ભગતસિંગ અને તેના સાથીઓ શ્રી સુખદેવ અને રાજગુરુની બહાદુરી, શૌર્ય અને બલિદાનની તારીફ કરે છે, અને મરનારનાં કુટુંબીઓ સાથે શોકમાં શામિલ થાય છે. આ ત્રણ ભાઈઓને ફાંસી દેવાનું કૃત્ય એ હડહડતા વેરથી પ્રેરાયેલું અને તેમની સજામાં ફેરફાર કરવાની રાષ્ટ્ર સમસ્તની માગણીનો ઇરાદાપૂર્વક ઠોકર મારનારું હતું એ આ કૉંગ્રેસનો અભિપ્રાય છે. આ કૉંગ્રેસ પોતાનો એ અભિપ્રાય પણ વ્યક્ત કરે છે કે બે રાષ્ટ્રો વચ્ચે સદ્‌ભાવ, જે આ ટાંકણે અતિશય આવશ્યક છે, એ પેદા કરવાની સુવર્ણ તક સરકારે પોતાના આ કૃત્યથી ગુમાવી છે. જે પક્ષ નિરાશાથી પ્રેરાઈને રાજદ્વારી હિંસાનો આશ્રય લે છે તે પક્ષને જીતી લઈ શાંતિને માર્ગે વાળવાની પણ આ સુવર્ણ તક હતી એ સરકારે ગુમાવી છે.”

કૉંગ્રેસની બેઠક દરમ્યાન જ કાનપુરમાં કોમી હુલ્લડ થયાના અને એ હુલ્લડમાં કેટલાંક મુસલમાન કુટુંબોને બચાવવા જતાં શ્રી ગણેશ શંકર વિદ્યાર્થી