પૃષ્ઠ:Sardar Vallabhbhai Part II.pdf/૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.



રાસ ગામે સરદારની ધરપકડ

લાહોરની કૉંગ્રેસમાં પૂર્ણ સ્વરાજ્યનો ઠરાવ પસાર કર્યા પછી કૉંગ્રેસની કારોબારી સમિતિએ નક્કી કર્યું કે ર૬-૧-’૩૦ ને રવિવારનો દિવસ પૂર્ણ સ્વરાજ દિન તરીકે ઊજવવો. દેશના એકેએક શહેરમાં અને હજારો ગામડાંમાં સભાઓ થઈ અને પૂર્ણ સ્વરાજની પ્રતિજ્ઞાની ઘોષણા કરવામાં આવી, પ્રતિજ્ઞાના આખર ભાગમાં જણાવવામાં આવ્યું હતું કે :

“આપણા દેશની આવી ચતુર્વિધ (આર્થિક, રાજકીય, સાંસ્કૃતિક અને આધ્યાત્મિક) બરબાદી જે સરકારે કરી છે, એ સરકારને વધારે વાર તાબે રહેવામાં મનુષ્યના અને ઈશ્વરના આપણે અપરાધી બનીશું એવો અમારો સ્પષ્ટ અભિપ્રાય છે. તેની સાથે અમે એ પણ માનીએ છીએ કે સ્વાતંત્ર્ય મેળવવાનો અતિશય અસરકારક રસ્તો હિંસાનો નહીં પણ અહિંસાનો છે. એટલે અમે અમારાથી બને તેટલી હદ સુધી બ્રિટિશ સરકાર સાથે સ્વેચ્છાએ ચાલતો સહકાર છોડીને એ રાજ્યમાંથી છૂટવાની પેરવી કરીશું અને સવિનય કાનૂન ભંગ, (જેમાં કર નહીં ભરવાની લડત આવી જાય છે) તેને માટે પણ તૈયારી કરીશું. અમને ખાતરી છે કે આપણે આ રાજ્યને સ્વેચ્છાએ જેટલી મદદ આપીએ છીએ તે ખેંચી લઈએ અને ગમે તેટલી ઉશ્કેરણી થાય છતાં હિંસા કર્યા વિના કર ભરવાનું બંધ કરીએ તો આ અમાનુષી રાજ્યનો અંત આપણે અવશ્ય આણી શકીશું.
“અમે આજે અંતકરણથી પ્રતિજ્ઞા કરીએ છીએ કે પૂર્ણ સ્વરાજ્ય સ્થાપવાને માટે કૉંગ્રેસ વખતોવખત જે સૂચનાઓ બહાર પાડશે તેને અમે અમલ કરીશું.”

પૂર્ણ સ્વાતંત્ર્ય દિનની ઉજવણી આખા દેશમાં એટલા બધા ઉત્સાહપૂર્વક થઈ કે તેથી, બહારથી દેખાતી નિષ્ક્રિયતા અને નિરાશાની પાછળ કેટલી તીવ્ર લાગણી અને ભોગ આપવાની તમન્ના હતી તેનો દેશને ખ્યાલ આવ્યો. તેને આગલે જ દિવસે વાઈસરૉયે વડી ધારાસભામાં ભાષણ કર્યું, અને તેમાં ગોળમેજી પરિષદના હેતુઓ વિષે સ્પષ્ટતા કરી. એથી તો આશાને માટે કશો અવકાશ ન રહ્યો. વડા પ્રધાન, ભારત મંત્રી તેમજ બીજા બ્રિટિશ મુત્સદ્દીઓએ ગોળમેજી પરિષદના હેતુઓ લગભગ એક જ જાતની ભાષામાં પ્રગટ કર્યા હતા.