આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૯૩
યરવડા જેલમાં ગાંધીજીની સાથે
- બાપુએ હકારદર્શી સ્મિત કર્યું. વલ્લભભાઈ કહે, “આ વખતે પણ એમ જ છે. પણ શું કરીએ ? (બ્રિટિશ સરકારનો) કારવાં આગળ ચાલ્યો જાય છે !”
✽✽✽
- બાપુ બધી વસ્તુમાં સોડા નાખવાનું કહે છે. એટલે વલ્લભભાઈને એ એક મોટા મજાકનો વિષય થઈ પડ્યો છે. કંઈક અડચણ આવે એટલે કહે, “સોડા નાખોને !”
- તા. ૧૬–૩–’૩ર : મેં કહ્યું : “ભીડે શાસ્ત્રી ગીતાની સમતાનો એવો અર્થ કરે છે કે આપણે દુષ્ટને મારીએ અને સદાચારીને પૂજીએ એ સમત્વ છે, કારણ દુષ્ટને મારવામાં દયા અને ન્યાયબુદ્ધિ છે. આપણી વૃત્તિ કેવી છે એના ઉપર આધાર છે.”
- બાપુ કહે : “સ્ટોક્સ પણ એમ માને છે એ તમે જાણો છો ને ? પણ હું કહું છું કે એવી રીતે દયાથી મારી જ ન શકાય.”
- વલ્લભભાઈ હસતાં હસતાં કહે, “વાછડાને દયાથી મરાય તો દુષ્ટને કેમ નહીં?”
- બાપુએ એ વાત તો હસી કાઢી. પણ વલ્લભભાઈએ જ્યારે સવાલ ઉઠાવ્યો કે, “કોઈની મરવાની ઇચ્છા તે હોતી હશે ?” ત્યારે બાપુએ કહ્યું, “જરૂર હોય. આપઘાત કરનારાઓ ઇચ્છા વિના આપઘાત કરતા હશે ?”
✽✽✽
- બ્રિટિશ મુત્સદ્દીઓની વાત નીકળી. વલ્લભભાઈ કહે, “સઘળા ચોરો છે. નહીં તો હોર આવી રીતે પાર્લમેન્ટમાં બોલી શકે ?”
- બાપુ કહે, “ ચોર નથી. વિલાયતમાં મેં જોયું કે ચોર હોવાની જરૂર નથી. મરે જેવા અને લોવે ડિકિન્સન જેવા પ્રામાણિકપણે દલીલ કરતા હતા કે તમારાથી શું રાજ ચલાવાય ? એવી રીતે બીજા પણ પ્રામાણિકપણે માને. આપણી પાસે સત્તા હોય તો આપણે કેવી રીતે વર્તીએ ?”
- વલ્લભભાઈ કહે, “આપણે પણ એમ વર્તીએ. પણ તેથી આપણે દુષ્ટ કહેવાતા મટીએ ?”
- બાપુ કહે: “નહીં, પણ આપણને તે વેળા કઈ દુષ્ટ કહે તો આપણને તે ખરાબ લાગે એમાં તો કાંઈ શંકા નથી. એટલે આ લોકોને દુષ્ટ માનવાની જરૂર નથી.”
- તા. ૨૪–૭–’૩૨: એક પુસ્તકની વિષયસૂચિ જોતાં બાપુ કહે, “બ્રિટિશ બાઇબલ એ શું હશે ?”
- વલ્લભભાઈએ પૂછયું, “બ્રિટિશ બાઇબલ એટલે?”
- બાપુ કહે: “એટલે બ્રિટિશ લોકોને મન બાઇબલ એ શું ?”
- એટલે તરત જ વલ્લભભાઈએ જવાબ આપ્યો, “પાઉન્ડ, શિલિંગ અને પેન્સ.” પુસ્તકમાં ખરેખર પાઉન્ડ, શિલિંગ અને પેન્સ એ બ્રિટિશ બાઇબલ, એમ જ લખેલું હતું. વલ્લભભાઈ કહે, “જુઓ, આવું એવું મને આવડે છે ને ?”
✽✽✽
- અહીં છાપું વાંચવાનો વલ્લભભાઈનો ઈજારો. વાંચતાં એમના ઘણા ઉચ્ચારોમાં ભૂલો હોય. એની એમને જરાયે પરવા નહી. ખાસ કરીને મદ્રાસ તરફનાં નામોના