પૃષ્ઠ:Sardar Vallabhbhai Part II.pdf/૯૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૯૩
યરવડા જેલમાં ગાંધીજીની સાથે


બાપુએ હકારદર્શી સ્મિત કર્યું. વલ્લભભાઈ કહે, “આ વખતે પણ એમ જ છે. પણ શું કરીએ ? (બ્રિટિશ સરકારનો) કારવાં આગળ ચાલ્યો જાય છે !”



બાપુ બધી વસ્તુમાં સોડા નાખવાનું કહે છે. એટલે વલ્લભભાઈને એ એક મોટા મજાકનો વિષય થઈ પડ્યો છે. કંઈક અડચણ આવે એટલે કહે, “સોડા નાખોને !”
તા. ૧૬–૩–’૩ર : મેં કહ્યું : “ભીડે શાસ્ત્રી ગીતાની સમતાનો એવો અર્થ કરે છે કે આપણે દુષ્ટને મારીએ અને સદાચારીને પૂજીએ એ સમત્વ છે, કારણ દુષ્ટને મારવામાં દયા અને ન્યાયબુદ્ધિ છે. આપણી વૃત્તિ કેવી છે એના ઉપર આધાર છે.”
બાપુ કહે : “સ્ટોક્સ પણ એમ માને છે એ તમે જાણો છો ને ? પણ હું કહું છું કે એવી રીતે દયાથી મારી જ ન શકાય.”
વલ્લભભાઈ હસતાં હસતાં કહે, “વાછડાને દયાથી મરાય તો દુષ્ટને કેમ નહીં?”
બાપુએ એ વાત તો હસી કાઢી. પણ વલ્લભભાઈએ જ્યારે સવાલ ઉઠાવ્યો કે, “કોઈની મરવાની ઇચ્છા તે હોતી હશે ?” ત્યારે બાપુએ કહ્યું, “જરૂર હોય. આપઘાત કરનારાઓ ઇચ્છા વિના આપઘાત કરતા હશે ?”



બ્રિટિશ મુત્સદ્દીઓની વાત નીકળી. વલ્લભભાઈ કહે, “સઘળા ચોરો છે. નહીં તો હોર આવી રીતે પાર્લમેન્ટમાં બોલી શકે ?”
બાપુ કહે, “ ચોર નથી. વિલાયતમાં મેં જોયું કે ચોર હોવાની જરૂર નથી. મરે જેવા અને લોવે ડિકિન્સન જેવા પ્રામાણિકપણે દલીલ કરતા હતા કે તમારાથી શું રાજ ચલાવાય ? એવી રીતે બીજા પણ પ્રામાણિકપણે માને. આપણી પાસે સત્તા હોય તો આપણે કેવી રીતે વર્તીએ ?”
વલ્લભભાઈ કહે, “આપણે પણ એમ વર્તીએ. પણ તેથી આપણે દુષ્ટ કહેવાતા મટીએ ?”
બાપુ કહે: “નહીં, પણ આપણને તે વેળા કઈ દુષ્ટ કહે તો આપણને તે ખરાબ લાગે એમાં તો કાંઈ શંકા નથી. એટલે આ લોકોને દુષ્ટ માનવાની જરૂર નથી.”
તા. ૨૪–૭–’૩૨: એક પુસ્તકની વિષયસૂચિ જોતાં બાપુ કહે, “બ્રિટિશ બાઇબલ એ શું હશે ?”
વલ્લભભાઈએ પૂછયું, “બ્રિટિશ બાઇબલ એટલે?”
બાપુ કહે: “એટલે બ્રિટિશ લોકોને મન બાઇબલ એ શું ?”
એટલે તરત જ વલ્લભભાઈએ જવાબ આપ્યો, “પાઉન્ડ, શિલિંગ અને પેન્સ.” પુસ્તકમાં ખરેખર પાઉન્ડ, શિલિંગ અને પેન્સ એ બ્રિટિશ બાઇબલ, એમ જ લખેલું હતું. વલ્લભભાઈ કહે, “જુઓ, આવું એવું મને આવડે છે ને ?”



અહીં છાપું વાંચવાનો વલ્લભભાઈનો ઈજારો. વાંચતાં એમના ઘણા ઉચ્ચારોમાં ભૂલો હોય. એની એમને જરાયે પરવા નહી. ખાસ કરીને મદ્રાસ તરફનાં નામોના