પૃષ્ઠ:SasuVahuniLadhai.pdf/૧૩૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
પ્રકરણ ૧૮ મું.

હકીમજીએ ઘણાએ ઉપાય કર્યા પણ સુંદરને સુખાકારી થઈ નહીં. એક દહાડો જરા ફેર જણાય ને બીજે દિવસ તેવુંને તેવું. ચામડી પર સોળ હતા તે રૂઝાયા, પરંતુ કાળજામાં લાતો અને મુકીઓ મારી હતી તેણે કરી તે અંદરથી સુઝ્યું, ને પછી પાક્યું. પિત્તાશયને નુકસાન થાય છે ત્યારે માણસ સાજું કોઈ જ વાર થાય છે; ઘણું કરીને કળેજું ફૂલે છે, કે પાકે છે, કે ફાટે છે તે વારે આદમી થોડા દિવસમાં મરી જાય છે. સુંદર દહાડે દહાડે ધોળી થતી ગઈ; અંગમાં લોહી રહ્યું નહીં, ને અન્ન પચે નહીં.

એનું પરિણામ શું થશે તે વૈદકશાસ્ત્ર નહીં ભણેલો હોય તે પણ કહી શકે, પરંતુ હકીમજીએ પઠાણને જુઠો રિપોટ કર્યો કે એ બાઇની તબીઅત સારી થવા આવી છે, ને ચિંતા કરવા જેવું કાંઈ નથી, થોડા વખતમાં બીલકુલ આરામ થશે.

એવો રપોટ કરવાનું કારણ પાછળથી તજવીજ કરતાં એવું માલુમ પડ્યું કે હરિનંદનો ભાઇ ને બનેવી તે હકીમજીને મળ્યા હતા ને તેમણે લાંચ આપી એમ લખાવ્યું. એમાં હેતુ એ હતો કે હકીમ કરાર થયાનું લખે તો સુંદરને માર્યા માટે હરિનંદને કાંઈ ડંડ કરી પઠાણ છોડી દે. હરિનંદ ઘેર આવે કે પાધરો નસાડી દેવો કે પછી સુંદર મરે તો તેને કાંઈ અડચણ થાય નહીં.

કીસનલાલ શિરસ્તેદાર હતો તેને તથા મોતીચંદ મુખ્ય કારભારી હતો તેને વીજીઆનંદ મળ્યો. કિસનલાલ કાએત હતો, ને મોતીચંદ વાણીઓ હતો. એ બંને રૂશવત-ખાઉ હતા. આગલા વખતમાં તેમણે ઘણા નાણાં મેળવ્યાં હતાં. આ પઠાણના આવ્યા કેડે થોડું મળતું. અજબ એ છે કે સર્વે લોકના જાણવામાં હતું કે પઠાણ આગળ તેમનું કાંઈ વળતું નથી, પોતાની નજરમાં જે વાજબી લાગે છે તે પઠાણ કરે છે, એ વાતથી કોઈ અજાણ્યું નહતું, તોપણ લોક એવા બેવકુફ હતા કે કસનલાલને તથા મોતીચંદને ઘેર જઈ લાંચ આપતા. એ લાંચીઆઓએ વીજીઆનંદને એવી સલાહ આપી કે તું હકીમજીને થોડું વધારે આપી એવો રિપોર્ટ કરાવ કે હરિનંદ માંદો છે, ને જો તેનો છુટકો કે ન્યાય જલદી નહીં થાય તો મંદવાડ વધી પડશે ને વખતે તેથી મરી જશે.

વીજીઆનંદે હકીમજીને તથા તેના ગુમાસ્તાને રાજી કરી તેવો રિપોટ કરાવ્યો; રિપોટ આવ્યો તે કીસનલાલે પઠાણની આગળ વાંચ્યો, ને સુંદરના જીવને સુખ