પૃષ્ઠ:SasuVahuniLadhai.pdf/૧૫૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
પ્રકરણ ૨૦ મું.

બિચારી સુંદરના મરણ પછી કેટલીક બીના બની તે જાણવા જોગ છે. એના વિષે જે અફવા ઊડી હતી, અને એની જે નિંદા ચાલતી હતી તે એના મૃત્યુથી તથા વૈદોની શાક્ષીથી અટકી અને ખોટી પડી. એના પર જોડાએલું ગીત અમર રહ્યું તેનું કારણ ફક્ત અદેખાઈ જણાય છે. ત્યારના નાગરબ્રાહ્મણ મુર્ખ જડસા નહતા; તેઓ બીજી બધી જ્ઞાતિઓથી કેટલીક બાબતમાં આગળ રહેતા, જાણે સરદાર હોયની; હરેક સુધારો તે વેળા પેહેલો એમનામાં થતો. હાલને સમે બીજી કેટલીક જ્ઞાતિઓ તેમની બરોબર આવી પોંચી છે, ને જો વેળાસર ચેતશે નહીં તો પાછળ મુકશે. તે સમે નાગરો સર્વેથી ચઢીઆતા ને મોટા હતા, માટે, બીજાઓ તેમના ઉપર દાઝે બળતા, ને એ બળાપાને લીધે તેમની ફજેતી કરવાને ઘણા રાજી હતા. બીજી ઘણીએ નાતોની બાયડીઓ નિકળી જતી ને હાલે નિકળી જાય છે, પણ તે કોઈનાં ગીતો કેમ જોડાયાં નથી ?

પઠાણે પોતાના કારભારી મોતીચંદને બોલાવી કહ્યું કે પેલીબાઈ ગત થઈ છે, એનું મડદું ઉઠાવવાને એના સગા કે જ્ઞાતિના એક પોહોરની અંદર આવશે તો તેમને એ શબ મળશે, નહીં તો ઘોરમાં હું પોતે મુકીશ.

મોતીચંદે વીજીઆનંદને, તથા તેના કાકાને તેડાવ્યા, ને થાણદારનો હુકમ કહી સંભળાવ્યો. વજીઆનંદ કહે અમે ઘેર જઈને વિચાર કરી કહી જઈએ છીએ. એમ કહી ઘેર આવ્યા, ને પોતાના મેહેલ્લાના પાંચ સાત આદમીને બોલાવી ભાંજગડ કરવા બેઠા. બેચાર બઈરાં પણ આવી મળ્યાં. કેટલાક કહે બાળવી જોઈએ, ગમે તેવું પણ આપણું માણસ, પાછળ ખરચ કર્યા વિના તો ચાલવાનું નથી. અન્નપૂર્ણા જાઓ ગમે તો બાળી આવો, પણ નાતના લોક વાંધો લેશે. હા ના કરતાં અરધો પહોર વહી ગયો, કારભારીનું માણસ બોલાવા આવ્યું. ભાયડા તેની જોડે ગયા. મોતીચંદે પૂછ્યું કેમ શું ઠેરવ્યું ? વિચાર કરતાં તમને સાંજ પડશે. અમારા સરકાર તમારી રજ જેટલી દરકાર રાખતા નથી. મારું કહ્યું માનો તો જાઓ ઉઠાવો. વિલંબ ન કરો, હજી તમારે એ સાહેબ સાથે ઘણું કામ છે; હરિનંદ એના હાથમાં છે; એમને ખીજવવામાં લાભ નથી, પછી તમારી ખુશી. કહો તો હું જઈને કહું કે નથી આવતા. હું વાણીઓ છું માટે આટલું કહું છું.

એવામાં ત્યાં કિસનલાલ આવ્યો. તે કહે શેઠજી તમે જાણતા નથી એ લોક પાછળથી પસ્તાશે. હાલ આપણી સહલા નહીં માને, કહ્યું છે કે 'અગમ