પૃષ્ઠ:SasuVahuniLadhai.pdf/૧૫૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૪૦
सासुवहुनी लढाई
 

માત્ર ૩૦૦) રૂપીઆ ડંડને એક વરસ કેદની સજા કરું છું.”

હરિનંદને સિપાઈ લઈ ગયા પછી સોનારણનું તથા હવાલદારનું કામ ચલાવ્યું. સોનારણના ઉપર ચોરી કરાવ્યાનું તથા ચોરીનો માલ રાખ્યાનું તોહોમત સાબિત છે, એવું ઠેરવી તેને રૂ. ૫૦૦) ડંડને ત્રણ માસ કેદની શિક્ષા કરી. હવાલદારે સાંકળું રૂશ્વત દાખલ લીધું એવું ઠેરવી તેને રૂ. ૧૦૦) ડંડને, ડંડ, નહીં આપે ત્યાં સુધી કેદમાં રહે એવો હુકમ કર્યો. એ બંને કેદીઓને પગે હધ હધમણની બેડીઓ પહેરાવી; સેકેલા ચણાને પાણી સિવાય બીજું કાંઈ ખાવા આપે નહીં. એક માસ એમ ભોગવ્યા પછી સોનારણના સગાંએ ત્રણસેં રૂપીઆ જાફરખાને આપી તેને છોડાવી. મુગલાઈ ૨ાજના દસ્તુર પ્રમાણે એ રૂપીઆ જાફરખાના નહીં પણ પાદશાહી ખજાનામાં મોકલવાના હતા, માટે તેને રૂશ્વતના રૂ. ૨૦૦) ઉપરાંત આપવા પડ્યા. હવાલદારના સગાતો ગરીબ તે રૂપીઆ ક્યાંથી લાવે. એનો છોકરો, એની મા, ને એની બાયડી એ ત્રણ જણા બંધીવાનને છોડાવવાને ભીખ માગવા નિકળ્યા. એને કારણે ભીખ માગનારા જે ચિન્હો ધારણ કરતા (ને દેશી રાજમાંથી એવા ભીખારી વખતે હજીએ આવે છે) તે પહેર્યાં એટલે કોટે બાંધ્યું કોડીયું, ને હાથે બેડીને સાટે સાંકળ પહેરી, ને બંધીવાનનો બંધ છોડાવો, કોઈ દયા કરી છોડાવો, વગેરે બોલતાં ગામે ગામ ફર્યાં, ને બે મહિનામાં જે મળ્યું તે સરકારમાં ભરી હવાલદારને છોડાવ્યો. હરિનંદનું કામ મોટું માટે અમદાવાદ મંજુરીને સારૂં મોકલવાનો કાયદો હતો તેથી ત્યાંના હુકમ વિના સજામાં ફેરફાર થઈ શક્યો નહિ.

વિજીઆનંદ ઘરમાં આવી રોઈ પડ્યો. અનપુણા અને કમળાએ મોહો વાળ્યું ને રમાનંદ પંડ્યાએ પોક મૂકી. મનની અકળામણ ઓછી થયા પછી વિજીઆનંદ કહે હું લોકને મોહોડું કેમ દેખાડી શકીશ. હવે જીવ્યાં કરતાં મરવું ભલું. હું તારે પેટે અવતર્યો ન હોત તો સારું થાત. આ બધાનું મૂળ તમે મા દીકરી છો. ધીકાર છે તમને' ! આ વાત ચાલે છે એવામાં ચંદાનો ભાઈ આવ્યો ને બોલ્યો કે દેવનારાયણ શાસ્ત્રીને ઘેર કેટલાક બ્રાહ્મણોએ મળી ઠરાવ કર્યો કે રમાનંદ પંડ્યાને ત્યાં કોઈ ક્રિયા કરાવવા જાય નહીં, ને જેઓ સુંદરને બાળવા ગયા હતા તેઓ મુછ મુડાવે ને દશ દશ ગોદાન આપે તો તેઓની જોડે જમવું.

એ ખબર સાંભળી સહુ એક એકની સામું જોવા લાગ્યાં. વિજીઆનંદે પોતાના કાકાને, સસરાને, તથા મામા સસરાને બોલાવા મોકલ્યું. એમણે પણ ઉપર પ્રમાણે હકીગત કહી. વીજીઆનંદ કહે ઘંટી તળે હાથ આવ્યો તે કળે નિકળે, બળ કરતાં