પૃષ્ઠ:SasuVahuniLadhai.pdf/૧૬૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૪૪
सासुवहुनी लढाई
 

કલેશ ચાલતો એવું આપણા વખતમાં માતાજી ન થવા દે. આ પાંચ ઘરડા બેઠા છો તેઓ મળીને તોડ કાઢો કે થયું.

પટેલનું વચન સર્વેએ માન્ય રાખ્યું, ને ઠેરવ્યું કે ચંદાગવરી અંબા માતામાં સવાશેર ઘીનો દીવો કરે, હરિનંદ છૂટે ત્યારે જનોઈ બદલી દશ રૂદ્રી કરાવે, એક ગૌદાનનો રૂ ૧) નાતને ડંડ આપે ને ધાર્યા પ્રમાણે નાતો જમાડવા ઉપરાંત સુંદર વહુને નામે ૧૨૫ બ્રાહ્મણોને ૭૫ ગોરણી જમાડે.

એ વાત રમાનંદ પંડ્યાએ સ્વિકારી, ને ત્રીજે દહાડે તેરમાની નાતનાં નોતરાં ફેરવ્યાં, કેમકે સામાન બધો ઘરમાં તઈઆર હતો તે બગડતો હતો. ચુરમા (છુટા લાડુ) નું જમણ કર્યું. બારપર ત્રણ વાગવા આવ્યા કે નાતના લોકે આવવા માંડ્યું. સ્ત્રીઓ નિર્મળ અબોટી ને ઘરેણાં-ગાંઠાં પહેરી ઠમ ઠમ કરતી ચાલી આવે, મનમાં પુર હરખ કે આજતો છુટાં ઘી ખાવાનાં છે બ્રાહ્મણાનો વેશ જોવા જેવો હતો. ડોકમાં દોરા કંઠી, હાથે બંગડી કે પોંચી, કાને કડીઓને કેડે નાની સરખી વેંતીઆ જીણી પોતડી (પંચીયું) તે એવી કે અરધા નાગા જણાય, એક બગલમાં પત્રાવાળું બીજીમાં અબોટીયું. એક હાથમાં મીઠા પાણીનો ચંબુ ને પડીઆ (દડીઆ.) કોઈએ જોડે નહાવાને ઉનું પાણી પણ રાખેલું. પોળના કુવા પર રમાનંદે ઘડો દોરડું મુક્યાં હતાં, તે વડે હાથે પાણી કાઢી કેટલાક નાહ્યા. જેઓ ઘેરથી નાહાવાનું પાણી લાવ્યા હતા તેઓ એક લોટે આખું અંગ પલાળતા. એ હુનર હવે થોડાજ બ્રાહ્મણોને આવડે છે.

નાહી નાહી પોળમાં હારબંધ બેઠા, ને મીઠું અથાણું આવવા માંડ્યું કે વરસાદના છાંટા થયા, ને પવન નિકળ્યો. કેટલાક ફક્કડો કહે ઠીક મહારાજો ઘી સારાં ઠરશે ને ખાવાની મજા પડશે, ટાંકા પથરા જેવા બંધાઈ જશે. ચુરમો પીરસાયો ને ઘીની તામડીઓ (વટલોઇઓ) લઈ જુવાનીઆ નિકળી પડ્યા. નફટ ભૂદેવોનો આનંદ અંગમાં માય નહીં, ઘીને ચુરમાનો મલીદો કોસણવા મંડી ગયા ને ટાંકાં કરવાના પડીઆ જુદા ભર્યા. શાક, વડા વગેરે આવી રહ્યાં કે વીજીઆનંદ અને તેના ભાઈબંદ બુરું (ધોએલી ખાંડ) ગરમામાં લઈ પીરસવા આવ્યા; ને રમાનંદ પંડ્યા બરાબર પીરસાય છે કે નહીં તે તપાસવા નિકળ્યા. બ્રાહ્મણો તેના પાર વનાના વખાણ કરે, “અરે મહારાજ તમે દેવ સ્વરૂપ, તમારાં ઘર અસલનાં, શી આબરૂ, તમ વડે જ્ઞાતિ દીપે છે. આ ઘી ક્યાંથી મંગાવ્યાં, આ સાકેરીઆ ખાંડના શા વખાણ કરીએ” વગેરે ગપ્પો મારે, ને હરખાતા જાય, જાણે વીવાહની નાત કે ઉજાણી હોય ને. રમાનંદના ઘરની પાસે વાણીઆનું ઘર હતું, ત્યાં કેટલીક